ગંદકી માટે કોણ જવાબદાર નગર પાલિકા કે નાગરિકો ? ? ?

 

 

 

 

               

               ગંદકી માટે કોણ જવાબદાર  નગર પાલિકા કે નાગરિકો ? ? ?                      

મારો એક મિત્ર પરિવાર સાથે ,મલયેશીઆ-થાઈલેંડ અને સિંગાપોરના પ્રવાસે ગયેલા, અને બે દિવસ પહેલાં જ, ફરી ,પરત આવ્યા છે. તેઓ પોતાના પ્રવાસની અને ફરવાની કેવી મજા અને આનંદ આવ્યો, તેની રોમાંચક વાતો કરી રહ્યા હતા અને ,અમે સૌ મુગ્ધ બની સાંભળી રહ્યા હતા.

આ વાતો દરમિયાન મને કહ્યું કે, ત્યાંના તમામ જાહેર કે ખાનગી સ્થળોએ અમે જે સફાઈ-સ્વચ્છતા (CLEANLINESS)  જોઈ તેવી અહીં આપણા દેશમાં ક્યારે જોવા મળશે ?  ત્યાંની સ્વચ્છતા જોયા બાદ તો એવું લાગે છે કે આપણાં દેશના લોકોને સ્વચ્છ્તા કોને કહેવાય તેની સમજ કે ખબર જ નથી. ત્યાંના જાહેર સ્થળોના,  હાઈ-વે ઉપરના, દૂર દૂર સ્થળના ટોયલેટ –રેસ્ટોરાં અને હોટેલોની સ્વચ્છતા આંખને ઉડીને વળગે તેવી અમે માણી ! અતિશયોક્તિ કર્યા વગર કહ્યું કે આપણાં પોતાના ઘરના રસોડાં કે ટોયલેટ, ત્યાંના જાહેર સ્થળોના ટોયલેટ જેટલા શુધ્ધ કે સ્વચ્છ હોતા નથી.

આ સ્વછતાની  વાત સાંભળી , મેં કહ્યું કે, તમારી ભૂલ થાય છે, કે આપણાં દેશના લોકોને સ્વચ્છ્તા કોને કહેવાય તે ખબર કે સમજ નથી તેમ નહિ, પણ  હકિકતે તો આપણને ગંદકી કોને કહેવાય તેની ખબર કે સમજ નથી ! અને જો ગંદકી જ ઓળખી ના શકાતી હોય તો સ્વાભાવિક છે, કે સ્વચ્છ્તા વિષે તો કોઈ ખ્યાલ ( IDEA ) જ ના હોય !

જરા વિચારો નીચે દર્શાવેલ વિગતોને આપણો સમાજ ગંદ્કી સમજે છે ખરો ?

 (1) આપણું આંગણું સાફ કરી પાડોશીના આંગણામાં કચરો ધકેલી દેવો !

(2) શાક-ભાજી કે ફળ-ફલાદીના છોતરા, પ્રાણી માત્ર તરફની દયા ભાવે, અને પૂણ્યના સંચય માટે, ગાય-બકરી વગેરે પશુઓની જઠરાગ્નિ ઠારવા ,જાહેર રસ્તા કે શેરીમાં ઠાલવી દેવા ! અરે ! કેટલાક તો પોલીથીન બેગમાં જ આવા છોતરા ઠાલવતા હોય છે અને પશુઓ બેગ સાથે જ આરોગે છે ! આ રીતે પશુઓને નીરતા આ દયાવાન લોકોને એ જાણ નથી, કે આ રીતે રસ્તે રઝ્ળતા પશુઓ તો કોઈની અંગત માલિકીના હોય છે અને મફતનું ખવડાવવા માટે પોતાના ઢોરોને રેઢા મૂકી દેવામાં આવતા હોય છે જે થી માલિકોનો ખર્ચ બચે અને અન્યો દયાવાન લોકોને ઘેર બેઠા પૂણ્ય સંચય થતું રહે !!!  ખરેખર પૂણ્ય જ મેળવવું હોય તો પાંજરાપોળમાં પશુઓ માટે દાન આપી શકાય ! પણ આ  છોતરા નીરવાની રીત તો આપણા પોતાના આત્મા સાથે છેતરપીંડી કરાતી હોય અને માત્ર દંભ કરાતો હોય તેવું નથી જણાતું ? આવું જ કંઈક રસ્તે રઝળતા કૂતરાઓને  પાળી-પોષી ગંદકી અને ઘોંઘાટને આવકારવામાં આવતો રહે છે.

ઉપરાંત આ દયાવાન અને પૂણ્ય સંચય કરનારા કેટલાક  સભાન નાગરિકો જો પોતાના ઘરની ગંદકીને કારણે કીડિ કે મંકોડા ઘરમાં ઉભરાય તો દવા કે અન્ય જંતુ નાશક પ્રવાહી છાંટી નેશ્ત નાબુદ કરી નાખે છે અને બાદ  બહાર કે અન્ય જગ્યાએ કીડિયારા ભરતા –કીડિ માટે લોટ છાંટતા જોવા મળે છે આ નર્યો દંભ જણાતો નથી  ?

(3) ફ્લેટના રહેવાશીઓ પોતાના ઘરનો કચરો ઉપરથી  સીધો જ  જાહેર રસ્તાની મધ્યે ફેંકે છે !

(4) પોતાનું આંગણું સ્વચ્છ રાખવા-કરવા -પાણીથી ધોનારાઓ દ્વારા  જાહેર રસ્તા ઉપર, પાણી ઠલવાતું રહે છે પરિણામે રાહદારીઓ આ પાણીના ખાડાઓ /ખાબોચીઆમાં પગ ના પડી જાય તે માટે કુદતા કુદતા ચાલે છે  અને આ રીતે વગર પૈસે શારીરિક કસરતનો લાભ મેળવે છે !

(5) બાલ્કનીમાં જ ઉભા રહી દાતણ કે બ્રશ કરનારા પાણીના કોગળા પણ સીધા જ જાહેર માર્ગ ઉપર કરતાં નજરે પડે છે !

(6) કેટલાક સવારમાં સૂર્ય નમસ્કાર પણ બાલ્કનીમાંથી જ કરી સૂર્ય દેવતાને પાણીનો અભિષેક કરતા રહે છે જે સીધો જ રાહદારીને માથાબોળ સ્નાન કરાવી જાય છે !

(7) રસોડું કે બાલ્કની એવી રીતે ધોવાય કે તેનું પાણી પણ જાહેર માર્ગ ઉપર જ સીધું રાહદારી ઉપર જ ઢોળાય ! પોતાનું રસોડું સાફ રહે તે માટે કોઈકે તો કષ્ટ ભોગવવું જ રહે ને !

(8) ઘેર કે પાર્ટીમાં ચા-નાસ્તા કરી, પેપર પ્લેટો અને પ્યાલા, ગમે ત્યાં પધરાવી દેવા પછી ભલે તે સ્થળ, શહેરના બાગ્-બગીચા કેમ નથી હોતા ? કદાચ આવા કચરા દ્વારા બાગ-બગીચાના ફૂલ ઝાડને ખાતર મળી રહેતું હશે ! અને આ રીતે બાગ્-બગીચાને પણ ગંદ્કીના પ્રદૂષણમાંથી બાકાત રાખવામાં આવતા નથી.

(9) શાક-માર્કીટ , ફળ ફળાદી વેચનારાના ગલ્લાઓ કે લારીઓ ઉપર ચો-તરફ માખીઓ મણમણતી હોવા છતાં પ્રેમથી શાક્-ભાજી અને ફળ્-ફળાદી ખરીદાતા રહે છે. અને વધેલા કે સડેલા શાક ફળો વગેરે દયા ભાવથી પશુઓ જેવાકે  ગાય્/બકરી વગેરે માટે જાહેર રસ્તા ઉપર જ વેરવામાં આવતા રહે છે !  જેથી રાહદારીઓને આ પશુઓના મળમુત્રમાં પોતાના ચરણો પવિત્ર કરવાનો મોકો મળતો રહે !

 (10) પાન-તમાકુ કે ગુટકા ખાનારા ગમે ત્યાં ગમે તે સ્થળે થૂકતા રહે છે. પોતાના ઘરનું મેદાન હોય કે જાહેર રાજ માર્ગ એમને માટે તો આ થૂકદાની જ છે. અરે ! પોતાના ઘરના પ્રવેશ દ્વારમાં પણ થૂકતા અચકાતા નથી, કે જે તેમના પોતાના કે  ઘેર આવનારા કે ઘર બહાર જનારાના પગમાં આવતું રહે છે !  નાક પણ ગમે ત્યાં  છીંકી શકાય ! જે હાથે જમતા હોઈએ તેજ હાથ વડે પોતાને જોઈતી  વાનગી પોતાની પ્લેટમાં પીરસવી ખૂબ જ સ્વાભાવિક ગણાતું હોય છે !

(11) રહેઠાણ કે  ઓફિસમાં, થીયેટરો ,બસ સ્ટેન્ડ કે રેલ્વે પ્લેટ્ફોર્મ્ -સીડીના ખૂણાઓ-ટેરેશ (અગાશી) અને બાલ્કનીઓ પણ આ લોકો માટે થૂકદાનીઓ જ છે !

(12) વાહન ઉપર જતાં, પછી તે સાયકલ હોય કે સ્કૂટર, વાહન ચલાવતા જ પીચકારી મારવી, કારમાંથી ચાલુ ગાડીએ ગાડી ચલાવતા દરવાજો ખોલી, પાછળ કોઈ આવે છે કે કેમ તેની પરવા કર્યા વગર પીચકારી મારવી જાણે સરકસના ખેલ કરાતા હોય તેવું જણાતું હોય છે ! અને આ રીતે માત્ર નાના વાહનો વાળા જ નહિ પણ તોતીંગ કેરીયર કે ટ્રેક્ટર ચલાવનારા પણ આવાં સાહસ કરતા રહે છે.

(13) ધ્રુમપાન કરનારાઓ પણ ગમે તે  જાહેર સ્થળે બસ-ટ્રેનમાં પણ અન્ય મુસાફરની અવગણના કરી ધુમાડો ઓક્યા કરતા રહે છે અને બીડી-સીગારેટની રાખ અને થૂંઠા વેરતા રહે છે.!

(14) જાહેર રાજમાર્ગો ઉપર શૌચાલયો હોવા છતાં તેની બહાર જ કુદરતી હાજત હળવી કરનારાઓ મોટી સંખ્યામાં મળી રહે છે ! (15) નગર પાલિકા શહેરમાં ચોક્સ્સ સ્થળોએ મોટા દસ્ટ બીન ગોઠવે છે પણ નાગરિકો તેમાં કચરો ઠાલવવાને બદ્લે તેની આજુ-બાજુ બહારના ભાગમાં કચરો  ઠાલવતા રહે છે ! કેટલાક શહેરોમાં નગરપાલિકાએ ઘરે ઘરે જઈ રોજે રોજનો કચરો ઉઠાવી લેવા વ્યવસ્થા કરી હોવા છતાં લોકો કચરો તેમને નહિ આપતાં ઘરની બહાર ઠાલવતા રહે છે !

(16) કમભાગ્યે આપણાં મંદિરો કે આશ્રમો પણ ગંદકીથી પર નથી. મુખ્ય પૂજારી કે વડાના શૌચાલયો સાફ સુથરા રહે છે પણ અન્ય લોકોના ભયંકર ગંદ્કી ઓકતા રહે છે ! મંદિરોના પરિસર પણ ગંદ્કીથી ભરપૂર રહેતા હોય છે. મહાદેવના મંદિરમાં દૂધ અને પાણી નો અભિષેક કરવામાં આવે છે તે બહાર લઈ જતી નીક એટલી દુર્ગંધ ફેલાવતી હોય છે કે દર્શનાર્થીઓ ત્યાંથી પીચ મૂકી ઝ્ડપથી મંદિર છોડી ચાલ્યા જાય છે.

(17) કથાકારો/વ્યાખ્યાન કરનારાઓ જે સ્થળે કથા કે વ્યાખ્યાન યોજતા હોય છે ત્યાં ગંદ્કીના થર ના જામે તો જ નવાઈ !  અને તે માટે કોઈ કથાકારે/વ્યાખ્યાન કર્તાએ ક્યારે ય શ્રોતાઓને ટકોર પણ કરી હોય તેવું જાણ્યું નથી !

(18) સમુહ ભોજન સમારંભ કોઈ પણ પ્રસંગે યોજાય ત્યારે સામિયાણાની કે વાડીની આજુ-બાજુ વિસ્તારમાં થતી ગંદ્કી વિષે ના તો આવા સમારંભના યોજ્કો કે ના તો જે તે સ્થળના કરતા હર્તા વિચારે છે ! કદાચ આવા સમારંભો જેમણે યોજ્યા હોય તેમની આ કચરો અન્ય લોકો જુએ તો  તેમની પ્રતિષ્ઠા/મોભો  વધતો  હોય તેમ માનતા હશે ?આવા સ્થળો કે વાડીઓ  તેની આજુબાજુ રહેનારાઓ માટે માથાનો દુખાવો બની રહેતો હોય છે !  કોઈ પણ પ્રસંગોમાં જાહેર માર્ગો  ઉપર કે  વાડીમાં બેફામ રીતે ફોડવામાં આવતા ફટાકડા  ધુમાડો, અવાજ અને કચરાથી ગંદકી ફેલાવે છે તે અંગે આપણે સભાન છીએ ખરા ? આવા પ્રસંગો વિષેનો આપણો આનંદ કે ખુશી વ્યકત/પ્રદર્શિત કરવા અન્ય વિકલ્પો ના વિચારે શકાય ?

(19) હોટેલ્-લારી કે રેસ્ટોરાં પણ ગંદકી ના ઘર છે. અરે ! જાહેર શૌચાલયની બાજુમાં ઉભી રહેલી પાણી-પૂરી કે પાંઉ-ભાજીની લારીઓ તેમના સ્વાદ માટે સમગ્ર શહેરમાં પ્રખ્યાત હોય છે !  ક્યારેય કોઈ પ્રતિષ્ઠિત ગણાતી હોટેલ/રેસ્ટોરાંના રસોડાંની મુલાકાત લીધી છે ખરી ?

(20) નોન-વેજ ખાનારાઓ માટે જાહેર માર્ગો ઉપર જ કપાયેલા પશુ-પક્ષી અને દરિયાઈ જીવો ખુલ્લમ –ખુલ્લા  વેચાતા રહે છે જેના ઉપર માખીઓ મણમણતી હોય શકે અને  વાતાવરણમાં દુર્ગંધ પણ ફેલાતી રહે છે !

(21) વાહનો પણ જાહેર માર્ગો ઉપર ધુમાડો ઓકતા, વિના રોક્-ટોક, પ્રદૂષણ ફેલાવતા નજરે પડે છે ! વાહન માલિકોની કોઈ ફરજ કે જવાબદારી ખરી ?

(22) આરોગ્ય ધામ તરીકે ઓળખાતી હોસ્પિટલો પોતાનો જંતુયુકત કચરો આજુ-બાજુના જ વિસ્તારમાં ઠાલવી જાણે પોતા માટે ગ્રાહકો-દર્દીઓ ઉભી કરી રહી હોય તેમ નથી લાગતું ?

ઉપર વર્ણવેલી એક પણ પ્રકારની ગંદકી આપણને ક્યારે ય ગંદ્કી લાગી છે ખરી ?  અરે આવું બધું જાવા ના મળે તો જ આપણને આશ્ચર્ય થતું રહે છે !  ટૂંકમાં આપણને ગંદકી કોને કહેવાય તેની સમજ કે ખબર જ નથી. આવી સમજ આપવાની તકલીફ નથી કોઈ સાધુ-સંતોએ લીધી કે નથી કોઈ સંપ્રદાયના વડાઓ કે કથાકારો કે વ્યાખ્યાન કરનારાઓ એ પરવા કરી ! આપણે જાણે આ તમામ બાબતોથી એટલી હદે ટેવાઈ ગયા છીએ કે ગંદકી,  ગંદકી લાગતી જ નથી. (WE ARE USED TO IT ) અને તો સફાઈ કે સ્વચ્છ્તાનો ખ્યાલ ( IDEA ) આપણાં મગજમાં કઈ રીતે આવી શકે ?

આપણામાં પારકાના દોષો જોવાની વૃતિ એટલી હદે પ્રબળ બની ગઈ છે કે આપણે જ્યારે કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે ત્રણ આંગળી આપણા તરફ આપો આપ ચીંધાઈ જતી હોવા છતાં આપણે તેની નોંધ કે દરકાર કરતા હોતા નથી. ગંદકીને કારણે ક્યારે ક રોગ ચાળો ફાટી પડે ત્યારે, કે મચ્છ્રર/માંકણ નો ઉપદ્રવ વધે ત્યારે, સામાન્ય રીતે નગરપાલિકા અને તેના સફાઈ કામદારોને જવાબદાર ગણવામાં આવતા રહે છે. સફાઈ કામદારો કામચોર હોવાનો હોબાળો મચાવવામાં આવે છે અને નગરપાલિકા અસરકારક રીતે કામ લઈ શક્તી નથી તેવી બૂમરાણ મચાવવામાં આવે છે.

પરંતુ ઉપર દર્શાવેલી એક પણ ગંદકી નથી નગર પાલિકા દ્વારા થતી કે, નથી તેના સફાઈ કામદારો થકી કરવામાં આવતી !  આ નગરપાલિકા કે સફાઈ કામદારોના બચાવ માટે નથી કહેવાયું , પણ આપણી માનસિકતા હંમેશા દોષ અન્યો ઉપર ઠાલવી દેવાની રહી છે, તે આદત તરફ ધ્યાન દોરવા કહેવાયું છે . આપણે સગવડતા પૂર્વક ભૂલી જઈએ છીએ, કે સફાઈ કામદારો પણ આપણાં  જ સમાજમાંથી  આવે છે અને કામચોરીના સંસ્કાર શક્ય છે કે, આપણી પાસેથી જ જિલાયા હોય ! તેમનો ઉછેર, ઘડતર અને ગંદકી માટેની સમજ આપણી જ સમજનુ પ્રતિબિંબ છે. આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં કરવામાં આવતી કામચોરી,  ક્ષુલ્લ્ક કારણોસર રજા ઉપર ચાલ્યા જવું વગેરે થી આપણી જાતને મૂલવવામાં આવે અને થોડું આત્મ પરીક્ષણ કરવામાં આવે તો  આ વાત સહજ અને સરળતાથી સમજી શકાય તેવી છે.

ઉપરાંત સફાઈ કામદારો તરફ જોવાની આપણી દ્ર્ષ્ટિ, અપમાનાભરી଒, ઘૃણા સ્પદ અને અવહેલના અને અવજ્ઞા ભરી રહે છે. તે વિષે પણ ગંભીરતાથી વિચારવું જરૂરી જણાય છે. જરાક વિચારો કે, કોઈના પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર થાય અને લાંબા સમય સુધી પથારીવશ બની રહે તો તેમની સરભરા  અને સારવાર,  જેવી કે સ્નાન, તેના મળ-મૂત્ર સાફ કરવા, વસ્ત્રો ધોવા વગેરે કાર્યો માટે કોઈ નર્સ કે સફાઈ કામદારની જ સેવા લેવી પડતી હોય છે . આ કામ આપણે જાતે કરતા કે કરી શકતા નથી. જ્યારે સફાઈ કામદારો તો સમગ્ર સમાજની આ રીતની સેવા કરતા રહે છે અને જેમને આપણે સારી રીતે સંબોધન પણ કરતા નથી કે, નથી તેમનું સ્વમાન જળવાય તેવી રીતે સંવાદ કરતા !  આ વિષે આપણે સૌ એ આત્મ પરીક્ષણ કરવું જોઈએ તેમ નથી લાગતું ?

ટૂકમાં મારો તો સ્પષ્ટ મત છે કે સૌ પ્રથમ આપણે સૌ નાગરિકોએ  ગંદકી કોને કહેવાય તે સમજ કેળવવી જ રહી અને તો જ સ્વચ્છ્તા કોને કહેવાય તે સમજ પેદા થશે !  ઉપરાંત મને વિશ્વાસ છે કે ઉપર દર્શાવેલ ગંદકી થવાના 90% કારણો દૂર થશે અને બાકી રહેલા 10% માટે આપણે સૌ સાથે મળી સત્તાવાળાઓ અર્થાત નગરપાલિકા અને સફાઈ કામદરોને લબડ ધક્કે લઈ શકીશું !

પરંતુ યક્ષ પ્રશ્ન તો એ છે કે આપણે નાગરિકો ગંદકી અંગે સભાનતા –સતર્કતા અને સમજ કેળવવા તૈયાર છીએ ખરા ?

આ લેખ પહેલાં પણ મેં એક લેખ ગંદકી-ગીર્દી અને ઘોંઘાટ  વિષે મારા બ્લોગ ઉપર મૂકેલો છે તે પણ આની સાથે જ વાંચવા વિનતિ ઉપરાંત ગીર્દી અને ઘોંઘાટ પણ ગંદકીના બીજા પર્યાય જ છે તે સમજ પણ કેળવવાની ખૂબ જ આવશ્યકતા છે. આ લેખની નકલો મારાં અંગત ખર્ચે જામનગરની તમામ સંસ્થાઓ જેવી કે આણંદાબાવા આશ્રમ,  કબીર આશ્રમ,  પ્રણામી મંદિર,  તમામ મંદિરો, હવેલીઓ,  હોસ્પિટલો,  શાળાઓ , કોલેજો ,અને અમારી આજુ-બાજુના રહેણાક વિસ્તારોમાં ઉપરાંત નગરપાલિકાના મેયર અને કમિશ્નનરશ્રી, સ્ટેંડિગ કમિટિના ચેરમનશ્રી વગેરે  તથા  જામનગરમાંથી પ્રસિધ્ધ થતાં અખબારો જેવા કે નોબત , આજ-કાલ , દિવ્ય્-ભાષ્કર, વગેરે  તથા ટપાલ દ્વારા  બહારમાં મોરારીબાપુ,  રમેશ ઓઝા,  શંકરાચાર્યજી –દ્વારકા,  સચ્ચિદાનંદજી  વગેરેને ફેબ્રુઆરી 2009ના છેલ્લા સપ્તાહમાં મોકલી આપેલ હોવા છતાં એક અપવાદ રૂપે  શ્રી સચ્ચિદાનંદજી સિવાય કોઈએ પત્ર મળ્યા વિષે પણ જણાવવાની દરકાર કરી નથી જે  સ્પષ્ટ દર્શાવે છે કે ગંદકી  અંગે કોઈ પણ વ્યકતિ ગંભીર નથી.

હું તો મક્કમતાથી માનું છું કે  જો તમામ સાધુ-સંતો કથાકારો/વ્યાખ્યાન કરનારાઓ-શાળા/કોલેજોના સંચાલકો અને  તમામ કક્ષાના મીડીયા, ટીવી અને અખબારો અને જાગૃત પત્રકારો  વારંવાર નગર પાલિકા કે સત્તાધીશો અને સફાઈ કામદારોની ટીકાઓ કર્યા કરવાને બદલે નાગરિકોને ગંદકી કોને કહેવાય તેની સમજ આપવા માટે  નિયમીત રીતે એક અભિયાન શરૂ કરે કે એક નિશ્ચય કરી  ઝુંબેશ ચલાવે તો ધાર્યું પરિણામ મળે જ મળે ! 

અંતમા અહિ પણ હિમાલય જેવડો યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સમાજને લોકોપયોગી સમજ અને સભાન અને સતર્ક બનાવવાનું  અભિયાન શરૂ કરી હકારાત્મક રીતે લોકોને કેળવવા માટે  કર્તવ્ય  બજાવવાનુ કોઈ મીડીયા પત્રકારો કે અખબારોને રસ છે ખરો ?

 તા. ક. મારા અન્ય વિષયો ઉપરના વિચારો જાણવા કૃપયા મારા બ્લોગની મુલાકાત લેશો. મારાં બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com

32 comments

    1. આપની વાત સાચી છે. પરિવર્તન માટે વિચારોમાં માત્ર નહિ પરંતુ વર્તનમાં પણ આમૂલ પરિવર્તન કરવું રહ્યું. હું આશાવાદી છું, અને મને ખાત્રી છે કે સર્વેમાં નહિ તો પણ કેટલાકમાં તો જરૂર પરિવર્તન આવશે. આપ પણ મારી જેમ આશાવાદી બની આપણાંથી જ શરૂઆત કરી અન્યોને ઉદાહરણ રૂપ બનીએ તો અસર અવશ્ય થાય તેમ માનું છું. બ્લોગની મુલાકાત માટે આભાર. ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો મને ગમશે.

      Like

  1. શ્રી અરવિંદભાઈ,

    ગાંધીનગરથી પ્રસિદ્ધ થતા દૈનિક ગાંધીનગર સમાચારમાં લોક-જાગૃતિ માટે ‘લોક્સંસદ’ નામથી કોલમ પ્રસિદ્ધ થાય છે જેમાં હાલમાં ગંદકી-નાબુદી અભિયાન અંગે નાગરિકોના સૂચનો પ્રસિદ્ધ થાય છે.
    આના અનુસંધાને આપના ઉપરોક્ત લેખના કેટલાક અંશો આપના નામે પ્રસિદ્ધ કરવા સારું આપની અનુમતિ આપવા વિનંતી છે

    જ્યોતીન્દ્ર દવે, ગાંધીનગર

    Like

    1. ભાઈશ્રી જ્યોતિંદ્ર,

      આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપ ગંદકી નાબુદી અભિયાનમાં મારાં લેખના કેટલાક મુદાઓ પ્રસિધ્ધ કરવા ઈચ્છો છો તો આપ જરૂર કરો ! આપણા સૌનો મુખ્ય હેતુ તો ગંદકી નાબુદ કરવામાં લોકોનો પણ ફાળો હોવો જોઈએ અને તે વિષે લોકોમાં સમજ પ્રગટવી ખૂબજ આવશ્યક છે, માત્ર સુધરાઈ કે સરકાર ઉપર તમામ જવાબદારી નાખી દેવાની મોટા ભાગના લોકોની માનસિકતા દુઃખ ઉપજાવે છે. સફાઈ કામદાર સફાઈ કરા ગયા બાદ તુરત જ લોકો પોતાનો કચરો માર્ગો ઉપર ઠાલવતા રહે છે અને આ માટે સફાઈ કામદારોને દોષ દઈ ફરિયાદ કરતા રહે છે. કદાચ સફાઈ કામદાર 24 કલાક લોકોની ગંદકી સાફ કરતા રહે તેવી અપેક્ષા રાખતા હોવાની સંભાવના રહે

      Like

  2. મુરબ્બી શ્રી અરવિંદભાઈ,આપનો આ બ્લોગ અનાયાસે જ મળી ગયો અને ગંદકી વિષે નો લેખ વાંચ્યો જેની સાથે હું સમ્પૂર્ણ સહમત છું.આપણા લોકો ની મનોવૃત્તિ જ ખુબ ખરાબ છે.એવું તો ચાલ્યા કરે મને શું?મને એમાં શું ફાયદો થશે એવી જ મનોવૃત્તિ બધાની છે તે ખુબ જ દુખ ની વાત છે.હાલમાં જ મેં નવી મુંબઈની મુલાકાત લીધી.પહેલી મુલાકાત ૬-૭ વર્ષ પર લીધેલી.પહેલી મુલાકાત માં મને નવી મુંબઈ ની સ્વચ્છતા આંખે ઉડીને વળગેલી.મારી હાલની મુલકાત મેં જોયું કે નવી મુંબઈ ને આપને ભારતીયો ભારતીયો ઉકરડા માં ફેરવી દેશે.એટલી બધી ગંદી વાસ આ વખતે આવતી હતી.ઠેર ઠેર કચરાના ઢગલા.મળ મૂત્ર,થુંક..અને ગેરકાયદે બાંધકામ એ મારી નારી આંખે મેં આ વખતે જોયા.ટૂંકમાં આપને ભારતીયો ને ગમે તેટલી લકઝરી આપો પણ એની થોડા જ સમય માં પથારી ફેરવી કાઢશે.બીજી એક મહત્વ ની વાત.આટલા બધા લોકો વચ્ચે આપણા શહેરો ની મ્યુનીસીપાલીટીઓ જે પ્રકાર અને સાઇઝની કચરાપટ્ટીઓ મુકે છે એ એટલી બધી હાસ્યસ્પદ છે કે ના પૂછો વાત.એક જગ્યા એ તો મેં એક કચરા પેટી નાના અમથા કાણા સાથે જમીનમાં પરમેનેન્ટ જડી લીધેલી જોઈ.હવે એ ભરાઈ ગયા પછી એનો નિકાલ કેવી રીતે કરવો તેની જરાયે બુદ્ધી દોડાવે તો એ બીજા.આવા તો કઈ કેટલા દાખલા છે.હું તો એક જ વાત જાણું છું હવે..કે…..જ્યાં જ્યાં જાય આપણા દેશી ઓ ત્યાં ફરી જાય પથારી..

    Like

  3. એક રીતે કહું તો અતીસ્યોક્તી લાગશે,યથા રાજા તથા પ્રજા તે ઉક્તિ આપણા દેસ ને હુબહુ લાગુ પડે છે મને પણ સતત ગંદકી જોઈ ને ચીડ ચડે છે તે સતાવાળાઓ ઉપર કે જેઓ તેને દુર કરવા,અટકાવવા કે આવા પ્રયત્નો કરતા જોવા જ નથી મળતા. બેસક ગંદકી માટે સતાવાળાઓ અને પબ્લિક બંને જવાબદાર છે પણ વધારે તો તંત્ર જ જવાબદાર છે કારણ કે તંત્ર બન્યું જ આ બધી વ્યવસ્થા માટે છે,ગંદકી સાફ કરવામાં ભારત ભર ના કોઈ પણ શહેર માં તમે નિયમિતતા જોઈ છે?અરે કડક માં કડક કાયદા અજમાવો,જે ફરજ ન નિભાવતા હોય તે નાગરિક હોયકે અમલદાર બધાને ફટકારો,લોકો માં જાગૃતિ માટેના પ્રોગ્રામ્સ બનાવો,સ્કુલોમાં પ્રાયમરીથી સ્વચ્છતા વિશે ના અભ્યાસ ક્રમો લાગુ કરો,બધું થઇ સકે છે, બસ કોઈને કરવું નથી વાતો કરવી છે. જનમાનસ એવું છે તે વાત સાચી પણ ક્યારેક તો તેને બદલવાની સરુઆત કરવી પડશે ને બોલો ?કારણ કે લોકો ના જનમાનસ બદલતા વરસો લાગી જાય છે ,પણ સરુઆત કરનારો કોઈ તો લીડર જોઈએ ભાઈ

    Like

  4. Arvind bhai,
    Kem chho? Mazamaaj hasho and raho evi prabhu charane prarthanaa.
    kshama karsho. Gujarati lakhun chun pan English script maa. Gujarati type kari nathi shakto.
    Hun chella dus varsho thi maara parivaar saathe Toronto (Canada) ma rahun chhun. Vyavasaye Patrakaar chhun. Haal ma Hindi Abroad weekly no varishta samachar tantri (Sr. News Editor) chhun. Swachhta and Gandaki vishe na tamaaraa vicharo saathe sampurna sahmat chhun. Amaaraa maansho ne pardes ma rehvano moko made toy juni aadto chhodtaa nathi.
    Amuk divso pehlan hun maaraa ek mitra ne madva gayo. Bhaadana bahu maali building na bijaa made rahe chhe. Mulakaat kari pachho fari rahyo hato tyaare sidhio thi utarto hato. Maari aagad ek bhai lagbhg 60 varsh na sidhi utri rahyaa hataa. Khuno aavyo etle bhaie paan masala ni pichkari maari!! Saaf suthri deevaal ne rangi naakhi!!
    Men kahyun: Aa tame shun karo chho? Saaf deeval ne gandi kem kari?
    Emno jawab: Tame kon? Tam tamara rashte thao.
    Hun prem thi bolyo: Bhai, aapne aa desh maa rehvaano moko madyo chhe to bhagvaan no paad maani ahinni swachhta ne jaadviye. Aam game tyaan na thukaay. Paan masal ni aadat ahin to chhodo. Khavunj hoi to bhale khao pan dewaalo ne gandi naa karo.
    Emnu uvaach: Hoi kahin. Aam aapni aadat kain chhoday!!! Aatlun boli jaane maari majaak udaavtaa hoi tem ek biji pichkari maari.
    Tartmaya: Amuk loko Aadat thi majboot hoy chhe.
    Amuk loko no jeevan mantra: Gandaki karvi amaaro janma sidhha adhikaar chhe!!!

    Like

    1. શ્રી ફિરોઝ્ખાન
      આપ ઘણાં લાંબા સમય બાદ બ્લોગની મુલાકાતે પધાર્યા. એક વાત કહું ફિરોઝભાઈ આપણાં લોકોને ગંદ્કી કોને કહેવાય તે જ મૂળભુત રીતે ખબર કે સમજ નથી તો આપે કહ્યું તે વ્યક્તિ આપની વાત કે ટકોર કેવીરીતે સમજી શકવાની. હું તો ત્યાં સુધી કહું છું કે દુનિયા ભરના ભૂંડ મરે છે તે તમામ આ દેશમાં જન્મે છે. આ ભૂંડો ગંદકીનો પ્રયાય છે તે આપ જાણતા જ હશો. કોઈ પણ ભૂંડને નવડાવી ચોખ્ખુ કરી બને તો પર્ફુમ છાંટી છૂંટુ મૂકી દો કે તરત જ તે ગંદકી શોધી તેના ઉપર આળોટવા લાગશે તેવું જ કંઈક આપણાં લોકોનું માનસ ઘડતર છે. મને ગંદકી કોને કહેવાય તેની પ્રાથમિક સમજ હોય તો જ હું ગંદકીને ઓળખી શકું અને તે નિવારવા પ્રયત્ન શીલ બનું નહિ તો ગંદકીમાં ઉમેરો કરતો રહું આ સ્વાભાવિક ક્રિયા ગણાવી જોઈએ. ખેર ! આવજો ! મળતા રહીશું ! મારં અન્ય લેખો ઉપરના પ્રતિભાવો ની રાહ જોઈશ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. Dear Shri Arvind bhai,
        I fully agree with your views expressed in your response.
        I am regularly receiving your article and even read them. Yes, this was the first time I commented on any of your articles.

        I ahve started , perhaps, Canada’s First multilingual News and Views Diges. It contain good articles on different topics in Four languages, English, Gujarati, Hindi and Urdu. It’s not a Blog. It’s a compilation of articles from various languages. I send new issues twice a week week to my 3000 friends and contacts

        I wish you read Hindi Abroad weekly. It’s available at http://www.hindiabroad.com Everyweek editorial is written by me.
        Please send me youe e-mail ID.

        Wishing you good health and peace.

        Like

        1. શ્રી ફિરોઝભાઈ
          આપે કેનેડા પ્રથમ મલ્ટીલીંગ્યુઅલ ન્યુસ અને વીયુસ ડાયેજસ્ટમાં એડિટોરીયલ લખી રહ્યા છો તે જાણી આનંદ થયો. આપે મારો ગંદકી અંગેનો લેખ ન્યુસ અને વ્યુસના અંકમાં મૂક્યો છે તે જાણી ખુશી થઈ. આપ આ લેખની પીડીએફ મને મોકલવા યોગ્ય કરશો તેવી વિનંતિ. આપે હિંદી અબ્રોડ વીકલી વિષે જણાવ્યું છે તે પણ હું વાંચવા કોશિશ કરીશ. ચાલો આવજો ! મળતા રહીશું !મારી ઈ-મેલ આઈડી http://www.arvind_adalja@yahoo.com ઉપર જરૂર કોંટક્ટમાં રહેશો.
          સ-સ્નેહ
          અરવિંદ

          Like

  5. good article. But I believe that the lack of public dustbins is more responsible… Sometimes I also have to throw waste papers or some other disposables on footpath because I don’t find any dustbin nearby. And I can’t take it to my home !

    And also lack of public toilets leads to littering on roads by people. Gandhiji once told that this country needs more public toilets than temples. So true he was !

    And there is also laziness of government sweepers who doesn’t sweep roads and footpaths properly because of their job safety. Government should give contracts to private agencies to clean roads and footpaths.

    Last but not least, there is no law or penalty in India to preserve cleanliness. But it is not possible to implement one as it will further fill more pockets of our corrupt police men!!

    Like

  6. પ્રિય અરવિંદભાઈ તમારો લેખ વાચી ને આંનદ થયો તમે જે ગંદકી વિશે જે વાત કરેલ તે બાબતે એક વાત કહું. જામનગર માં કમિશનર તરીકે સોનલબેન મિશ્રા આવેલ તે સમયે પુરા જામનગર શહેર માં ક્યાય કચરો દેખાતો ન હતો,નાગરિકો તેમજ વેપારીઓ તે સમયે જે તકેદારી રાખતા હતા આજે તે નાગરિકો આજે જાહેરમાં તમે કહેલ તે દરેક કાર્ય કરે છે આ માટે નાગરિકો થી વધુ જવાબદાર સતાવારા છે કારણ કે કાયદા નું પાલન કરાવવું તે તેમની પ્રથમ ફરજ છે બીજું કે આ માટે કોઈ આગેવાન એવો નહિ હોઈ કે જેને આપણે આદર્શ માનીએ દા.ત. ગાંધીજી
    અને પત્રકાર તરીકે મેં bio-medical west ,તળાવ સફાઈ અંગે ઘણી દોડાદોડી કરેલ પણ આજ ની આ સરકારી બાબુઓ ની કામકાજ ની પદ્ધતિ આપણને થકવી દે છે અને આપણની ગણના ગાંડા તરીકે થાય છતાં પણ સ્વછતા ને મામલે કોઈ પણ સંજોગો માં સમજોતો ન કરી શકાઈ તેમ મારું માનવું છે.
    આપનો આભાર. પ્રતિભાવો જણાવતા રહેશો.ramesh bhadra
    http://www.rameshbhadra.wordpress.com

    Like

  7. Couldn’t read this article entirely – but if each one of us does there bit of keeping clean, the house can be clean, the streets can be clean, then the cities and then the country.
    i don’t know what the municipality is doing from their end but i am writing from what i have seen, the lowest level of this huge problem. I mean i have seen this attitude – to throw bin bags straight out of your house on the streets. I was aghast !!! What do you achieve – just that the dirt is not in your house but its right outside your house..giving invitation to the mosquitoes and other insects who then enter your own house and bite you…its funnily SAD !!! And worst part, the big municipal bins are just around the corner. People can’t expect their cities to become Singapore with this kind of attitude !! on the other hand, i have seen some very rural villages(with not enough water and all these luxurious soaps and cleaning aids) clean and tidy than many of the developing cities(like where you and me belong 😦 ). this is a very sad reality !! people should become more sensible and responsible when they dispose off their bins. I think the key to solving this problem is EDUCATION.
    And you don’t need degrees to face daily challenges like this. Being a degree holder and a house wife with 2 kids, i have often come to this conclusion – when it comes to day-to-day science, what they teach in Std.4, 5, 6 is all that you need in day-to-day life. simple points i still remember – 1.wash you hands before meals 2. keep food covered 3. do not litter on streets 4. do not eat food that has flies hovering on them..it is so simple and yet it can make a HUGE difference.

    Other thing that affects the attitude is what others around you are doing. thats the reason why there is such a huge prb of cleanliness in the city where u and me belong(i haven’t seen cleanliness being such a big problem in other cities where i have stayed). We have this hard core attitude ‘if he does, why shouldn’t i’ Or ‘ if he isn’t, why should i?’ we don’t hv the attitude of thinking whether its right or wrong. ‘Why should i be the only one NOT littering the streets? ‘ but if 9 out of 10 are doing the right thing, the 10th person will ultimately be tempted to do the right thing rather than being ashamed of doing the wrong thing.

    finally, we all believe that cleanliness is next to godliness. Our culture too teaches us that God dwells where there is cleanliness. I guess, we need a combination of faith and education to solve this problem.

    Like

    1. મેઘા
      વાત આપ ધારો છો તેટલી સીધી અને સાદી નથી જ્યાં સુધી આ દેશ અને આ દેશના લોકોને લાગે વળગે છે ત્યાં સુધી ! મોટા ભાગના લોકોને ગંદકી કોને કહેવાય તે જ સમજ નથી. કચરો તો ગમે ત્યાં ગમે તે સ્થળે ફેંકી દેવાય મારું ઘર મારું આંગણું સાફ થઈ ગયું પાડોશીના આંગણામાં ભલે કચરો જતો મારે શું ? તેવી માનસિકતા ગંદકીનું કારણ બને છે ! સરકાર સુધરાઈના પ્રયાસો નિષ્ફળ બનવાનું કારણ લોકોની ખરાબ આદતો છે. મંદિરો કથાકારો જ્યાં કથા કરતા હોય તેવા સ્થલો પણ ગંદકીથી ઉભરાતા હોવા છતાં કોઇને ગંદકી લાગતી નથી તે આ દેશની વિટંબણા છે કરૂણા છે જેનો કોઈ ઉપાય દેખાતો નથી.

      Like

  8. ગંદકી ગંદકી અને ગંદકી એ સમાજની મુળભૂત સમસ્યા છે.આજની ગંદકી એવા લોકો જે સુસંસ્કૃત-શિક્ષીત્-ધાર્મિક હોવા છતાં મુળભૂત આદીવાસી જેવા છે. જેમને આ ગંદકી કોઠે પડી ગઈ છે.આ આદીવાસી માનવીઓને સુધારવા ઉપદેશ આપવો વ્યર્થ છે. તેમને સુધારવા માટે એક કડક કાયદો અને તેનો અમલ અને બીજું બે-ત્રણ વર્ષના બાળકોને સારી ટેવ પાડવાનું અભિયાન સમજુ સમુહ દ્વારા ઉપાડવું જોઈએ. ભૌતિક ગંદકી એ મનની બીમારી છે.મન ગંદકી દૂર કરવા તૈયાર થતું નથી તેથી ગંદકી પોતીકી લાગે છે.ગમવા લાગે છે અને ધાર્મિક નેતાઓ-ઉત્સવો ગંદકીને છૂટો દોર આપે છે.ગંદકી નેગેટીવ છે. લોકોને નેગેટીવ વસ્તુ-વિચાર ગમે છે.ટીવી-પેપર્-લોકોના વિકૃત વિચારો માટે પ્રેરે છે.માનસિક ગંદકી વધારે છે.અને તે ભૌતિક ગંદકીમાં પરિણમે છે.

    Like

    1. ભરતભાઈ,ખુબ જ સાચું કહ્યું તમે,આપણા લોકોને સુચના અને કાયદા નો અનાદર કરવા માં અનેરો આનંદ આવતો હોય એવું જ મને તો લાગે છે.અહી પેશાબ કરવો નહિ,અહી થૂંકવા ની મનાઈ છે,અહી ગંદકી કરવી નહિ ની સુચના જ્યાં લખી હોય તો તે સ્થળે બીજા અન્ય સ્થળો કરતા અતિશય ગંદકી જોવા મળશે.કોઈ ને કાયદા નું પાલન કરવા ની કઈ પડેલી જ નથી.આવું જ ટ્રાફિક અને પ્રદુષણ નું છે.કોઈ ને પણ કારો માં કે બાઈકોમાં સ્પીડોમિટર અને બ્રેક શા માટે લગાવેલી છે કે સ્પીડ લીમીટ ના બોર્ડ શા માટે લગાવેલા છે તેનું લગીરેય ભાન નથી.એમાં શું નવાઈ કે આપણે એક્સીડન્ટ માં કેટલા લોકો મરી જાય છે તે વાંચ્યે છીએ પણ છતાં કોઈને એની અરેરાટી નથી થતી.

      Like

    1. ભાઈશ્રી
      આમતો NO COMMENT ઘણું સુચવે છે છતાં સ્પષ્ટ પ્રતિબાવ આપ્યો હોત તો વધુ ગમત. હજુ પણ આપશો તો ગમશે. આભાર.
      મળતા રહેશું ને ?
      સ-સ્નેહ
      અરવિંદ્

      Like

  9. Nice Lekh ! You had given many examples of GANDAKI in the Public places in India & raised the question ….Who is reponsible for the filthy conditions of a Residencial Place..Municipality OR the Citizens ?
    The reponsiblities are of BOTH ! I agree that the Public who had seen the “dirty enviornment ” as the NORM had eventually lost the real meaning of unhealthy /dirty nature of the things of this World…Therefore, the RE-EDUCATION of the Public is very essential ! The Municipality / legal authorty of the area has also lost the meaning of “dirty/unhygienic ” & so how can they enforce the law ? Therefore. the Municipalty must be RE-EDUCATED also.
    Now. let us take the issue of neat/nice cities of Singapor etc. It is my understanding that the authority there are VERY STRICT & the law is enforced with fines for those breaking he Law….In fact, the Public is trained to keep the place clean & so ALL accept this the NORM. Then, to keep clean & not to litter becomes a “public Habit ”
    I think in so many words I had said what I wanted to say. I will be happy to read other’s view for this Comment !
    Dr, Chandravadan Mistry ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com

    Like

    1. ભાઈશ્રી ચદ્રવદન

      આપના પ્રતિભાવ બદલ આભાર્ આપ કહો છો તેમ નાગરિકો અને નગરપાલિકાઓને ફરી કેળવવાની આવશ્યકતા છે. પણ આ દેશમાં એ કરશે કોણ ? આપની જાણ ખાતર કેટલાક શહેરો માં ગંદકી અંગે કડક કાયદાઓ અને ફાઈન પણ કરી શકાતા હોવા છતાં અમલવારી થઈ શક્તી નથી. કડકાઈથી કોઈ અધિકારી અમલવારી કરવાની કોશિષ કરેતો અનેક પ્રકારના દબાણો રાજ્કીય લોકો તરફથી શરૂ થાય અરે કોઈક સ્થળોએ તો આંદોલન પણ છેડાય તેવી માનસિકતા ધરાવનારાઓ જ્યાં વસતા હોય અને આવા દબાણો કે આંદોલનોને પ્રતિષ્ઠા પણ મળતી હોય ત્યાં કોઈ કડક કાયદાનું અમલીકરણ કરવું કોઈ અમલદાર માટે શક્ય બને નહિ. સમગ્ર દેશમાં કામચોરી એ જાણે આપની સંસ્કૃતિ બની ચૂકી છે અને સફાઈ કામદારો પણ આજ દેશના નાગરિકો છે ત્યારે તે આવી હવામાંથી કઈ રીતે બાકાત રહી શકે ?

      એક વધુ વાત મારી સહજ સમજ પ્રમાણે કામચોરી કે લાંચ્-રુશ્વત ક્યારેય નીચેથી ઉપર તરફ જતી હોતી નથી પરંતુ ઉપરથી જ નીચે તરફ વહેતી રહે છે. જો આ દેશના પ્રધાનો ચૂટણીમાં હારી જતા સરકારી મકાનો વર્ષો સુધી ખાલીતો ના કરે પણ અન્યોને ભાડે આપી આવક પણ ઉભી કરે ! હમણાં જ તાજેતરમાં રેલ્વે પ્રધાન બનેલા મમતા બેનરજી પોતાની ઓફિસ દિલ્હીમાંથી નહિ કલ્કત્તામાં થી સપ્તાહના 5 દિવસ ચાલાવે છે તેવા સમાચાર મળે છે. જે દેશના કહેવાતા નેતાઓ જ અશિસ્ત કરતા હોય કે અન્ય પ્રકારની અનેક ગેરરીતિ માટે જવાબદાર હોય ત્યારે માત્ર સફાઈ કામદારો પાસેથી જ ફરજ નીષ્ઠાની અપેક્ષા રાખવી તે કેટલું વ્યાજબી ગણાય ? અને એ નહિ ભૂલવુ જોઈએ કે તેઓ પણ આ જ સમાજ અને આજ લોકોનો જ એક ભાગ છે તો તે કઈ રીતે બાકાત રહી શકે ? હું મારી ફરજ બજાવતો નથી અને અન્ય પાસેથી નીષ્ઠા પુર્વકની ફરજ બજાવાની અપેક્ષા રાખું તે કોઈ રીતે ન્યાયી નથી. ટૂકમાં નાગરિકો પોતે જ સમજ કેળવે અથવા અખબારો-અન્ય મિડીયા અને શાળા-કોલેજોના સંચાલકો ઉપરાત સંપ્રદાયોના વડાઓ આ કાર્ય પ્રાથમિકતાને ધોરણે હાથ ધરે તો જ ગંદ્કી પ્રત્યે સભાનતા કેવવી શકાય તેમ મારુ માનવું છે.

      ફરીને આપનો આભાર. પ્રતિભાવો જણાવતા રહેશો. ફરી મળતા રહીશું

      આવજો.

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. શ્રી મહેન્દ્રભાઈ
      આભાર્ આપના કાર્ટુનો નિયમિત રીતે માણું છું. ગંદકી વિષેના હવે જોઈશ આપને મારા વિચારો ગમ્યા આભાર. ફરી મળતા રહીશું.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  10. “હકિકતે તો આપણને ગંદકી કોને કહેવાય તેની ખબર કે સમજ નથી ! ”
    તમારી આ વાત ૧૦૧% સાચી છે. ૭ વર્ષથી હુ વિદેશમા રહુ છુ પણ ભારત જ્યારે પણ આવવાનૂ થાય ત્યારે મને આ જ પ્રશ્ન થાય છે. મારા હિસાબે નગરપાલિકા કે નાગરિકો માથી કોઇ ન જ વાંક નથી. વાંક અભિગમ નો છે. અભિગમ બદલાય એ જરુરી છે. અને અભિગમ બદલવા માટે બધા જ જવાબદાર છે!

    Like

    1. તમારા લખાણ અને વિચારોની શૈલી સચ્ચિદાનંદ ના વિચારો સાથે ઘણી સમ્યતા ધરાવે છે એનુ મે અવલોકન કર્યુ. આપણા સમાજ ને તમારા જેવા લેખકોની ખરેખર જરુર છે. પણ દુઃખની વાત એ પણ છે કે, આજે ગુજરાતી સાહિત્ય/ લેખ વાચવા વાળા લોકોની સંખ્યા ઘટતી જાય છે. મારા હિસાબે આપણી પ્રજા જ દુનિયાની એક એવી પ્રજા હશે કે જેને પશ્ચિમનુ અનુકરણ ન કરવામાં નાનમ લાગે. છતા પશ્ચિમ પાસેથી સારી વાતો આપણે શીખી નથી. અને પોતાની જાત ને “ગુજ્જુ” તરીકે અળખાવવામા નાનમ લાગે એવા છે આપણા ગુજરાતીઓ. તમે સચ્ચિદાનંદનુ “ચાલો અભિગમ બદલીએ” પુસ્તકતો વાચ્યુ જ હશે. તમારા વિચારો ઘણા સામ્ય છે અને મને તમારા વિચારો વાચવા ગમ્યા.

      Like

      1. ભાઈશ્રી તેજસ
        આભાર. આપની વાત અંશતઃ સાચી છે. મેં મોટા ભાગના સચ્ચિદનંદજીના પુસ્તકો વાંચ્યા છે અને મારા અંગત વસાવેલા પુસ્તકોમાં અનેક તેમના પણ છે. મને તેમના વિચારો ખૂબજ પસંદ છે અને તેના થકી પ્રભાવિત પણ થતો રહ્યો છું. એ જ રીતે રજનીશજીના વિચારો પણ ખૂબજ પ્રભાવિત કરનારા જણાયા છે. આમ છતાં હું કોઈનો અનુયાયી નથી. મારા છેક બાલપણથી જ વાંચવાના શોખે મેં ઘણાં ખરા ગુજરાતી લેખકોના પુસ્તકો મારાં શાળા અને કોલેજોના દિવસો દરમિયાન વાંચી કાઢેલા અને કાળક્રમે મને મારાં પોતાના વિચારોનું ઘડતર કરતો કર્યો અને આચાર અને વિચાર એક સમાન બનાવવાના મારાં પ્રયાસોને મહદ અંશે સફલતા મળી છે જે માંટે ઈશ્વર્નો ઋણી છું. આપને મારાં વિચારો ગમ્યા તે જાણી આનંદ થયો.વધુ આનંદ તો આપે પ્રતિભાવ પણ જણાવ્યો તેથી થયો છે.મારાં અન્ય વિચારો ઉપર પણ આપના પ્રતિભાવો જણાવશો. ફરી આભાર્ મળતા રહેશું.
        સ-સ્નેહ
        અરવિંદ્

        Like

Leave a comment