આપો…..આપો….જરૂર આપો…. અનામત…માત્ર પાટીદારો ને જ નહિ….સમગ્ર સવર્ણ/ઉચ્ચ જ્ઞાતિ ને !
આપો…..આપો….જરૂર આપો…. અનામત…માત્ર પાટીદારો ને જ નહિ….સમગ્ર સવર્ણ/ઉચ્ચ જ્ઞાતિ ને !
અંદાજે અઢી માસ થયા ગુજરાતમાં પાટીદારો પોતાને અનામતમાં સમાવવા આંદોલન ચલાવી રહ્યા છે જે કયારે ક શાંત તો ક્યારે ક આક્રમક બની રહ્યું છે.
આથી પાટીદારોને શાંત પાડવા ગુજરાત સરકારે આર્થિક પછાત લોકો માટે સહાય કરવા એક પેકેજ જાહેર કર્યું. જેનો પાટીદાર કોમના આક્ર્મક આગેવાનોએ આ પેકેજને ” લોલીપોપ ” ગણાવી સમગ્ર પાટિદારોને ” લોલીપોપ” ચખાડી ! સરકાર આર્થિક પેકેજ જાહેર કરતી વખતે એક મૂળભુત વાત કદાચ વિસરી ગઈ કે પાટીદારો આર્થિક રીતે પછાત નથી. તેઓ અત્યંત ઉંચા સ્થાને બિરાજે છે ! અને સુકા મેવા અને ઘીથી લસબસતા લાડુ ખાનારા છે. તેઓને ” લોલીપોપ ” ના ખપે ! કે ના સંતોષે !!
પાટીદારોની માંગણી અને આંદોલનથી પ્રેરાઈ અન્ય સવર્ણ/ ઉચ્ચ જ્ઞાતિઓ પણ અનામત મેળવવા ગંભીર બની છે અને કટિબધ્ધ થઈ પોત પોતાની જ્ઞાતિઓને અનામતમાં સમાવવાની માંગણી કરવા સભાઓ કરી આ આદોલનમાં જોડાઈ, વધારે તીવ્ર બનાવવા વિચાર કરી રહ્યાનું જાણવા મળે છે.
તો, સામે પક્ષે, દલિત/પછાત જાતિઓ તેમની સાથે આ ઉચ્ચ વર્ણની જાતિઓને સમાવવાનો વિરોધ કરવા તલવાર ખેંચી રહી છે.
ગંભીર રીતે વિચારીએ તો ગુજરાત વર્ગ-વિગ્રહ તરફ ધસી રહ્યું હોય તેમ જણાય છે. પરંતુ આ જ વાતને જો પૂ. ગાંધીજીના વિચારોના પરિપ્રેક્ષ્યથી વિચારીએ તો જે બાબત તેમના જીવનકાળમાં શક્ય ના બન્યું તે કદાચ, આ સમયમાં વર્ગ-વિગ્રહને બદલે, સામાજિક સમાનતામાં પરિણમે તેવી ભરપૂર સંભાવના અમોને જણાય છે.
એક વાત તો સ્પષ્ટ છે કે, જ્યાં સુધી સમાજના તમામ સ્તરે ઉચ્ચ -નીચ વર્ણ વ્યવસ્થા જન્મથી નક્કી થતી જ્ઞાતિ કે કોમનો ધ્વંસ નહિ થાય, ત્યાં સુધી ઉંચ-નીચ ટકી રહેવાના, આ પરિસ્થિતિ નાથવા અમોને પૂ.ગાંધીજીની વાત કે જે કોઈ વ્યક્તિ ગાંધી આશ્રમમાં રહેવા પરવાનગી માંગતી ત્યારે તે વ્યક્તિ સાથે ગાંધીજીની પૂર્વશરત રહેતી કે, આશ્રમમાં રહેવા આવતી વ્યક્તિએ તમામ પ્રકારની ગંદકી -પાયખાના સહિતની સફાઈ કરવાનું સ્વીકારવું ફરજિયાત હતું.
હવે જ્યારે પાટીદાર અને અન્ય ઉચ્ચ વર્ણની કોમ અનામત માંગી રહી છે ત્યારે ગાંધીજી જેવી જ પૂર્વ શરત સરકારે તમામ ઉચ્ચ વર્ણના પરિવારો કે જેઓ અનામતનો લાભ મેળવવા ઈચ્છુક હોય તેમના પરિવારના પુખ્ત વયના એક સભ્યે છ માસ માટે જાહેર માર્ગો ઉપરની ગંદકી તથા જાહેર પાયખાનાઓની સફાઈ કરવી પડશે ( અલબત્ત આવી સેવા માટે જે તે સમયે પ્રવર્તમાન વેતન સફાઈ કામદારોને ચૂકવવામાં આવતું હશે તે સરકારે આપવું રહે ) અને જે કોઈ આ ફરજ ખંત, નિષ્ઠા અને વફાદારી પૂર્વક બજાવશે તેની બે પેઢી સુધી અનામતનો લાભ મેળવવા પાત્ર ગણાશે તેવી જાહેરાત કરવી જોઈએ.
આ લખતી વેળાએ એક બીજો પ્રસંગ યાદ આવે છે, પૂ. ગાંધીજીએ, એક દક્ષિણના યુવકે આશ્રમમાં રહેવા આવવાની અનુમતિ માંગેલ, ત્યારે યુવકની અને તેના માતા પિતા તથા પરિવારની ઈચ્છા વિષે પૂરેપૂરી તપાસ-ચકાસણી કરવા સાથે, આશ્રમનું કઠિન અને કઠોર જીવન જીવવાની યુવકની તૈયારી વિષે જાણવા જણાવેલ કે આશ્રમમાં એક સુંદર કન્યા છે. આશ્રમમાં રહેવા આવ્યા બાદ તેણી સાથે મૈત્રી સંબંધ કેળવશે તો તેમને ગમશે, અને જો આ કન્યા યુવકને પસંદ કરે અને મૈત્રી લગ્નમાં પરિણમે તો વધુ ગમશે. યાદ રહે ! આ યુવક જન્મે બ્રાહ્મણ હતો અને કન્યા હરિજન હતી.
ઉચ્ચ વર્ણના કોઈ પરિવારના યુવકો કે યુવતીઓ આ રીતે દલિત વર્ણના યુવતી કે યુવાન સાથે લગ્ન જીવનથી જોડાવા તૈયાર થાય તો તેવા પરિવારોને પેઢી દર પેઢી અનામતનો લાભ મેળવવાનો અબાધિત અધિકાર સરકારે આપવો જોઈએ.
આ ઉપરાંત ઉચ્ચ વર્ણ અને દલિતો એક જ વિસ્તારમાં વસતા થાય, તેમની વચ્ચે વાટકી વ્યવહાર શરૂ થાય, જે સમય જતાં જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગરનો સામાજિક સમાનતા સાથેનો સમાજ બની રહેશે. પરિણામે ગંદકી કરનાર ઉચ્ચ વર્ણનો અને ગંદકી સાફ કરનાર દલિત/નીચ જાતિનો તેવા ભેદભાવનો ધ્વંસ થશે અને કોઈ પ્રકારનું કામ હલકું ના ગણાય તેવી સમજણ સાથે એક નવા સમાજનો સોહામણો સૂર્યોદય થવા સાથે જ પૂ.ગાધીજીએ સેવેલું સ્વપ્ન, સામાજિક સમાનતા વિષેની, ક્રાંતિનું સાકાર થાય અને આવનારા દિવસોમાં જન્મથી નક્કી થતી જ્ઞાતિ કે કોમનો ધ્વંસ સંભવ બને.
તો આવો મિત્રો ! આ આંદોલન, સમગ્ર સમાજને એક નવી દિશા તરફ દોરી જાય અને અનામતના ભૂતનો પણ હંમેશ માટે ખાત્મો થાય, તેવી સમજણ, પાટીદારોના તથા અન્ય ઉચ્ચ વર્ણના આગેવાનોમાં પ્રગટે તેવી પરમ કૃપાળૂ પરમાત્મા સૌને પ્રેરણા અને શક્તિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ.
Posted in Prakirna on ઓક્ટોબર 9, 2015. 2 ટિપ્પણીઓ › સંપાદન કરો