શિબિરમાં કેટલા કલાક ધ્યાન કરાવશો ?—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા
”તમારી શિબિરમાં કેટલા કલાક ધ્યાન કરાવશો ? કઇ જાતનું (”બ્રાન્ડ”નું વાંચો) કરાવશો ? વૈષ્ણવો માટે છે કે જૈનો માટે ? દાદાવાળા છો, કનુભાઇવાળા કે માતાજીવાળા ?” ધ્યાનશિબિરના આયોજન માટે વર્તમાનપત્રમાં માહિતી છપાયા પછી જે જાતજાતના ફોન કે પૂછપરછ આવે, એ પ્રશ્નો સાંભળવાને સહન કરવા એક કારમી સજા હોય છે.
ધ્યાન, અધ્યાત્મક્ષેત્રે ચાલી રહેલા બખેડા તેનાથી બહુમતી લોકોમાં ફેલાયેલા પ્રદૂષણનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે. તમે કોઇ સુંદર પણ જૂનાં મકાનમાં રહેવા જવાનું નક્કી કરો, પણ ત્યાં પૂર્વ- તપાસ વેળાએ કરોળિયાનાં ગીચ જાળાં, ચામાચીડિયાં, ચીબરીના માળા જોવા મળે, ત્યારે તમને સમજાય કે આ ઘરને મંદિર બનાવવા મોટો પુરુષાર્થ આદરવો પડશે.
તમે પ્રત્યુત્તરમાં કહો કે ધ્યાન-શિબિરની અમારી સંકલ્પના પ્રાર્થના-સભા કે સાદડીની નથી. અમે જીવનને પ્રભુનો પ્રસાદ સમજીએ છીએ. અમારે ત્યાં સવારથી સાંજ બધા ”જલસો” કરતા હોય, તો મોટા ભાગનાને ભારે આઘાત લાગે ! ‘તો ધ્યાન- પ્રવચન માત્ર એકાદ કલાકને નિસર્ગ-દર્શન, આનંદ- પર્યટનના સાત કલાક !‘ કેમ જાણે નિસર્ગ- યાત્રા, આનંદ- પ્રમોદ કોઇ વ્યભિચાર જેવું પાપ હોય !
ઓશો જેવા ઓશો આ નમૂનાઓને જીવન- વિરોધી બનતા અટકાવવા આખી જિન્દગી ખતમ કરી ચૂક્યા, પણ આનંદ- વિરોધી, જીવન- વિરોધી સૂગાળવી જમાત વધતી રહી છે, ઘટી નથી. ધ્યાન કોઇ જ ‘કરાવી‘ન શકે
ધ્યાન ”અનુભૂતિ”નો વિષય છે. ધ્યાનને કલાકો સાથે સંબંધ નથી. ધ્યાનને ક્ષણ સાથે સંબંધ છે. ધ્યાન એ ધ્યાન છે. એ કોઇ સંપ્રદાયનાં કે કોઇ અ,બ,ક,ડ,નાં કારખાનામાં તૈયાર થતાં ”જયપુર ફૂટ”નથી કે તમે પસંદ કરીને પહેરી શકો. વાંક આપણી દોંગાઇનો છે, આપણી આત્મવંચનાનો છે. દાખલા તરીકે કોઇ વ્યક્તિ ચિત્રકળાનું શિક્ષણ આપતી શાળા શરૃ કરે. આપણે જ્યારે આપણા બાળકને આ શાળામાં મોકલીએ, પાંચ વર્ષો ત્યાં રહ્યા પછી પણ બાળકમાં ચિત્રકળાનું પ્રાથમિક સામર્થ્ય પણ જોવા ન મળે ત્યારે આપણે પેલી શાળાનો વાંક ન કાઢવો જોઇએ.
લલિતકળાની માફક આધ્યાત્મિક જાગૃતિ, ધ્યાન માટેની પૂર્વ લાયકાત બહારથી નથી આવતી, એ અંદરથી પ્રગટે છે. પણ ‘બધુ બધા માટે‘ની ”લોકશાહી- લ્હાય”માં આપણે આજે ધ્યાનને પણ બજારૃ ચીજ બનાવી દીધી. આપણે માનવાને મનાવવા લાગ્યા કે ધ્યાન પણ ‘ટેકનિક‘થી ખીલતી ‘કસરત‘ છે ! મજાની વાત એ છે કે બાળક રમકડું ના છોડે એમ આ આધ્યાત્મિક ભ્રમણાની ભૂતાવળનો ભોગ બનેલા ”ધ્યાન”કોઇ શીખાવી ન શકે એવું વળગણ છોડવા તૈયાર હોતા નથી. જાણો છો, શા માટે આ કઠોર સત્ય સ્વીકારવામાં તેમનું પેટ દુખે છે ? કારણ કે એ લોકો એક યા બીજા ધ્યાનના ”અભ્યાસક્રમ”નું પ્રમાણપત્ર ગજવામાં રાખીને ફરતા હોય, અને ધ્યાનને કલાકો, દિવસો સાથે સંબંધ નથી, ધ્યાન શિક્ષણનો વિષય નથી એવું વૈજ્ઞાાનિક સત્ય એ લોકોની માન્યતા હેઠળથી પાટિયું ખસેડી લે ! કદાચ આટલું સમજવા માટે પણ આક્રમક શિબિરોની જરૃર છે.
sundar lekh
LikeLike