કચરામાંથી લાઈટ બનાવી આપશે બેકટેરિયા

કચરામાંથી લાઈટ બનાવી આપશે બેકટેરિયા

એક સમાચાર પ્રમાણે જાણવા મળે છે કે, વિજ્ઞાનીઓએ એક એવી શોધ કરી છે કે, ઘરના કચરાનું લાઈટમાં રૂપાંતર થશે.

શહેરોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને ગામડાં પણ મોટાં થતા જાય છે. તેની સાથે જ દરેક ઘરમાંથી નીકળતો કચરો હાલ સ્યુએજ પ્લાંટમાં મોકલવામાં આવે છે અને દરેક પ્લાંટની ક્ષમતા થોડાં વર્ષૉમાં ઓછી પડવા લાગે છે. હવે વિજ્ઞાનીઓએ એક એવો ઉપાય શોધ્યો છે કે, દરેક ઘરનો કચરો શુધ્ધ કરવા જે તે ઘરમાં જ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે અને એ પ્લાન્ટ ઘરમાં પ્રકાશ રેલાવી આપે.

આ કામ માટે બાયોલુમિનેસેન્ટ કહેવાતા વીજળી ગોળા પણ બનાવી લેવામાં આવ્યા છે. “ બાયો લેમ્પ” તરીકે ઓળખાતા આ ગોળામાં કચરાને ભાંગીને તેમાંથી મિથેન વગેરે વાયુઓ શોધી લેતા બેકટેરિયા ભર્યા હોય છે. એ બેકટેરિયા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે કચરાને ભાંગે અને વાયુ છુટો પાડે તે સાથે જ આગિયાની જેમ પોતે ઝ્બુકવા લાગશે. આ બધા બેકટેરિયાને આગિયાની જેમ ઝબુકવા કરવા માટે નિષ્ણાતોએ તેમને ખાસ પ્રકારના ગોળા પહેરાવ્યા છે.

આ માટે વિજ્ઞાનીઓએ લુસિફેરસ નામનું એન્ઝાયિમ ઉત્પન્ન કરતા બેકટેરિયા પસંદ કર્યા છે. આ એન્ઝાઈમ લુસિફેરિનના કણ અને પ્રાણ વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરે છે, તેથી સાવ હળવો પ્રકાશ ઝ્બુકે છે. નિષ્ણાતોએ આ ગોળા એટલા માટે બનાવ્યાછે કે, દરેક ઘરના કચરાનો નિકાલ થઈ જાય અને વીજળીની બચત થાય.
( સંદર્ભ “ અભિયાન “ સાપ્તાહિક, 17, ડિસેમ્બર,2012 )

એક બાજુ કચરામાંથી વિજળી પેદા કરવાનું સફળતા પૂર્વક સંશોધન થઈ ચૂકયું છે ત્યારે આ તરફ આપણાં દેશમાં કચરો અને કચરા પ્રત્યેનો મોટા ભાગના નાગરિકોનો અભિગમ કેવો છે તે વિષે જાણવું આવશ્યક અને રસ પ્રદ પણ છે.

પોતાના ઘરનો કચરો બાજુમાં પાડોશીના આંગણામાં ઠાલવવાની રોજ બ રોજ નવી યુક્તિઓ શોધી કાઢવામાં મોટા ભાગના લોકો કાબેલ છે. એક નો કચરો બીજાના આંગણામાં તો તેનો વળી ત્રીજાના એમ વિષચક્ર મફદ અંશે બે રોક ટોક વરસો થયા ચાલ્યા કરે છે. હા ! ક્યારે ક સુધરાઈના સત્તાધીશો કે સફાઈ કામદારો આ કચરા રૂપી દૂધપાકમાં કડછો મારી નાગરિકોના અબાધિત અધિકારને અવરોધે છે કે પડકારે છે.

કચરાના વિવિધ પ્રકારો છે, જેવા કે, સુકો કચરો, કે જેમાં ધૂળ-માટી કે બાવા જાળા વગેરેનો સમાવેશ થાય છે. તો શાક્ભાજીના છોતરા-વધેલો અને બગડી ગયેલો ખોરાક-એઠવાડ વગેરે ખાસ વિશિષ્ટ રીતે સાચવીને જીવદયા પ્રેમીઓ ગાય અને કૂતરાને ખાવા માટે જાહેર માર્ગો ઉપર છૂટો મૂકી દે છે.

મૃત્યુ પછી વૈતરણી પાર કરવાની હોય છે તેમ ધર્મશાસ્ત્રો કહે છે તેવી દ્ર્ધ માન્યતા સમાજમાં પ્રવર્તે છે.અને આ વૈતરણી પાર કરાવવા માત્ર અને માત્ર ગાય જ સહાય રૂપ બને છે. સામાન્ય લોકોની આ માનસિકતા ગાય પાળનારાઓ બરાબર જાણે અને સમજે છે. અને આવી આ ધાર્મિક લાગણીનો ભરપૂર લાભ ઉઠાવવા આ લોકો સવારમાં ગાયનું દૂધ દોહી ચરવા માટે ગામમાં છૂટી મૂકી દે છે, કે જેથી નાગરિકો ગાયમાતાને શાક્ભાજીના છોતરા,વાસી ખોરાક, એઠવાડ વગેરે પ્રેમથી ખવડાવી વૈતરણી પાર કરવા માટેનું એડવાન્સ બૂકીંગ કરી શકે ! આ ગોપાલકો ચાલાક છે અને તેથી માત્ર ગાયોને જ રેઢી છોડી મૂકે છે. ભેંસ કે ઘેંટા-બકરાને ખાવા-પીવા લોકો ધરતા ના હોય રેઢા મુકવામાં આવતા નથી..

સુધરાઈ –સરકારના આરોગ્ય ખાતા વાળા આ કચરાને ગંદકી તરીકે ઓળખાવે છે અને સતત રોગચાળા જેવા કે મેલેરીયા-ડેન્ગ્યુ-ચીકન ગુનીયા કે પ્લેગ વગેરે ફાટી નીકળશે તેવો ભય ફેલાવ્યા કરે છે.

પણ મોટા ભાગના નાગરિકો ડરપોક કે બીકણ નથી તેથી તથા આ કચરો તો ભૂંડ જેવા પ્રાણીઓ માટે તો વિવિધ જાતની પથારી કે જુદા જુદા બાથની સગવડતા ઉભી કરતો હોય જીવદયા પ્રેમીઓનો આત્મા જો આ સગવડતા ઝૂંટવી લેવાશે તો કકળશે અને ઘોર પાપમાં ના પડવા માટે, આ જીવદયા પ્રેમીઓ સુધરાઈએ કચરો નાખવા ગોઠવેલા ડસ્ટ્બીનને બદ્લે દૂરથી ઠાલવતા રહે છે કે જેથી ડસ્ટબીનના આસપાસ ભૂંડ માટે આળોટવા પથારી તૈયાર થઈ જાય અને પૂણ્યનો સંચય થાય !

કેટલાક લોકો ઉપરાંત ફ્લેટ ધારકો પોતાના ફલેટમાંથી કચરો પ્લાસ્ટીક બેગમાં ભરી જાહેર માર્ગો ઉપર ફંગોળતા હોય છે જે રખડતી ગાયો પ્લાસ્ટીક બેગ સહિત આરોગે છે પરિણામે ગાયના મૃત્યુ બાદ તેના પેટમાંથી કીલોના હિસાબે પ્લાસ્ટીક બેગ મળી આવે છે. એક યક્ષ પ્રશ્ન આ રીતે પ્લાસ્ટીક બેગ સાથે ગાયોએ ખાધેલો કચરો વૈતરણી પાર કરાવવા ગાયોને પ્રોત્સાહિત કરે ખરી ?

રસ્તાની વચ્ચમાં ફેંકાયેલ કચરો વાહનોના ટાયરો દ્વારા સમગ્ર માર્ગ ઉપર ફેલાતો રહી અવનવી ડીઝાઈનો રસ્તા ઉપર બનાવે છે અને આંગણા ધોઈ કે અન્ય રીતે રસ્તા ઉપર વહેતું પાણી પસાર થતા રાહદારીઓને વિવિધ નૃત્યોની રીયાઝ કરાવે છે.

કચરાને વિજળીમાં રૂપાંતર કરવા સ્યુએજ પ્લાન્ટ દરેક ઘર/ફ્લેટમાં બનાવાશે પરિણામે વિજળીની અછત દૂર થતાં પરમાણુ કરાર વડે વિજળી ઉત્પાદન કરવાની જરૂરિયાત નહિ રહે તેથી આ તબક્કે મારી દેશના વડાપ્રધાન/યુપીએના ચેરપરશનને દર્દ ભરી અપીલ છે કે આ ટેકનોલોજી સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરી યેન કેન પ્રકારે મેળવી લેવી જોઈએ કે જેથી ખાડે ગયેલું અર્થતંત્ર નવો વેગ પકડે અને દેશનું કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચાવી અને દેશની હાલક-ડોલક આર્થિક પરિસ્થિતિ ને તંદુરસ્ત બનાવે !

ઉપરાંત ઘર ઘરનો કચરો વિજળી ઉત્પન કરવામાં વપરાઈ જતાં રોગચાળો પણ અંકુશમાં રહેશે ! પરિણામે લોકોને દવા-દારૂ માટે ખર્ચ નહિ કરવો પડે શક્ય છે કે ડૉકટરો બેકાર બને અને હોસ્પિટલો ખાલી રહે !

એક વિશિષ્ટ નુકશાન પણ થવાની સંભાવના છે કે હવે કચરો ગાયોને ખવડાવી પૂણ્યનો સંચય નહિ કરી શકાય પરિણામે વૈતરણી પાર કરવાની સમસ્યા સર્જાશે !

આ પ્રવર્તમાન ટેવો અને સંજોગોમાં જો કચરામાંથી લાઈટ પેદા કરાય તો કેટલાક નાગરિકોને તો પોતાના ઉપર આસમાન ત્રાટક્યું હોય તેવું જણાશે તો કેટલાક્ને વિજળી પેદા કરવા માટે પોતાના ઘરનો કચરો પર્યાપ્ત નહિ લાગતા જે આજ સુધી પોતાનો કચરો પાડોશમાં ધકેલતા તે હવે પાડોશનો કચરો પોતાના આંગણામાં કઈ રીતે લાવી શકાય તેની યુક્તિ-પ્રયુક્તિઓ વિચારતા થશે ! શક્ય છે કે કચરો મેળવવા માટે ક્યારે ક પાડોશીઓ સાથે બોલાચાલી કે ગાળાગાળી પણ થાય તો કોઈક સ્થળે મારામારી થવાની શકયતા પણ રહે !
કહો ! મેરા ભારત મહાન !

4 comments

Leave a comment