મારાં બ્લોગની ત્રણ વર્ષની યાત્રા……

મારાં બ્લોગની ત્રણ વર્ષની યાત્રા……11, ઓગસ્ટ, 2011,

વ્હાલા બ્લોગર મિત્રો અને વડિલો,

મારી જીવન સંગીનીની ચિર વિદાય બાદ જીવનમાં ઉભી થયેલી એકલતા, શૂન્ય અવકાશ અને ખાલીપાને ભરવા/ટાળવા, મારી નાની દીકરી મમતા, ( લાડમાં મારાં દાદીમા ), કે જે તે સમયે, અમેરિકામાં વસવાટ કરતી હતી, તેણીના આગ્રહથી, અને વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગ શરૂ કરવાના સમાચારે, મને મારાં વિચારોને શબ્દસ્થ કરવા પ્રેર્યો અને શરૂ થઈ બ્લોગ ઉપર મારાં વિચારો પ્રગટ કરાવાની આ યાત્રા……

ગુજરાતીમાં લખવા, ગુજરાતી સોફ્ટવેર ડાઉન લોડ તો દીકરીએ કરી આપ્યું પણ ગુજરાતી ટાઈપ કોણ કરી આપે ? સૌ પ્રથમ ગુજરાતી ટાઈપ શીખવાનું ચાલુ કર્યુ અને સૌ પ્રથમ ગણપતિ વિષે બ્લોગ ઉપર મારાં વિચારો રજૂ કરી બ્લોગના શ્રી ગણેશ કર્યા ! આમે ય આપણાં સમાજમાં કોઈ પણ શુભ કામની શરૂઆત ગણપતિની સ્થાપના કર્યા બાદ જ થતી હોય છે ને ? કદાચ તે માટે જ મને સૌ પ્રથમ ગણપતિ વિષે જ લખવાનું સુજ્યું હોવા સંભવ છે.
બ્લોગ ઉપર લખવાની શરૂઆત કરતા જ અનેક મિત્રોએ મને બ્લોગની મુલાકાત લઈ આવકાર્યો અને પ્રતિભાવો દ્વ્રારા પ્રોત્સાહિત કર્યો.

પરિણામે આજે મારી બ્લોગની આ યાત્રાને 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ ત્રણ વર્ષની યાત્રા દરમિયાન મારાં બ્લોગ ઉપર અંદાજે ૧૭૩ વિષયો ઉપર મારા વિચારોની પોષ્ટ મૂકેલ હતી જેમાંથી અંદાજે ૩૩ પોષ્ટ મારાં વિચારો સાથે સામ્ય ધરાવતી હોઈ અન્ય લેખકો જેવા કે, સર્વશ્રી મોહમ્મ્દ માંકડ, ગુણવંત શાહ, અને ઉર્વીશ કોઠારી તથા મધુસુદન પારેખ, અશોક દવે, સર્વેશ વોરા, વિનોદ ભટ્ટ, વિનયદવે, મનુ શેખચલ્લી વગેરેના લેખો સંદેશ, દિવ્ય ભાષ્કર અને ગુજરાત સમાચારની સાપ્તાહિક અને અર્ધ સાપ્તાહિક પૂર્તિમાંથી આપ સૌના લાભાર્થે રજુ કરેલી. આમ ત્રણ વર્ષ દરમિયાન મારાં પોતાના સ્વતંત્ર વિચારો કુલ ૧૪૦ પોસ્ટ દ્વારા પ્રગટ કરવામાં આવ્યા. જેમાંની ૬૬ પોસ્ટ આ ગત વર્ષ અર્થાત ૧૧, ઓગષ્ટ,૨૦૧૦ થી ૧૦, ઓગષ્ટ, ૨૦૧૧ દરમિયાન રજૂ કરી.

પ્રથમ બે વર્ષ્ દરમિયાન બ્લોગ ઉપર ૨૧૦૦૦ એકવીસ હજારથી વધારે ક્લીક મળી ચૂકી હતી તો ત્રીજા વર્ષમાં અંદાજે બીજી ૨૧૦૦૦ જેટલી ક્લીક મળી છે અને કુલ ક્લીક ૪૨૦૦૦ બેતાલીસ હજાર થવા જાય છે. બ્લોગની મુલાકાત લેનારા મિત્રોમાંથી અંદાજે જે પ્રથમ બે વર્ષમાં ૧૨૮૦ આસપાસ પ્રતિભાવો મળેલા તેની સંખ્યા પણ વધીને ૨૫૩૦ આસપાસ થવા જાય છે.

ઉપરાંત જુલાઈ ૨૦૧૧ દરમિયાન મૂકેલ પોસ્ટ્ “આત્મ મંથન યોજવા શ્રી મોરારીબાપુને અનુરોધ “ ને સૌથી ૪૦ ચાલીસ જેટલા પ્રતિભાવો મળ્યા છે. તો આજ માસ દરમિયાન અન્ય પોસ્ટ “ વાલિયો બન્યો વાલ્મીકી—હવે વાલ્મીકી વાલિયો બની રહ્યો છે “ ને પણ ૩૭ જેટલા પ્રતિભાવો મળ્યા છે. ઉપરાંત આજ માસ દરમિયાન ૨૭૧૭ જેટલી ક્લીક મળી છે જે આજ સુધી એક જ માસ દરમિયાન મળેલી ક્લીકમાં સૌથી વધુ છે. જેનાથી મને ખૂબ જ પ્રોત્સાહન તો મળ્યું જ છે અને મને નવા નવા વિષયો ઉપર વાંચવા અને વિચારી તેના ઉપર મારાં વિચારોને વ્યકત કરવા તક મળતા મારી એકલતા અને ખાલીપો અંશતઃ ભરાઈ ગયો હોય તેમ સંવેદી રહ્યો છું.

આ બ્લોગની પ્રવૃતિ મને માનસિક રીતે ખૂબ જ વ્યસ્ત રાખે છે ! જાણે મારા રોજીંદા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો ના બની ગયો હોય ! અન્ય બ્લોગર મિત્રોના બ્લોગની પણ અવર-નવાર મુલાકાત લેતો રહી મારાં પ્રતિભાવો પણ જણાવતો રહુ છું. મારાં બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવો જણાવનારા મિત્રોને શક્ય હોય ત્યાં સુધી બ્લોગ ઉપર અને મેલ દ્વારા પ્રત્યુત્તર આપી મારી કૃતજ્ઞતા વ્યક્ત કરતો રહુ છું.

કેટલાક બલોગર મિત્રો સાથે મારી અંગત લાગણીઓ પણ શેર કરી શકાય તેવી આત્મીયતા કેળવી શકાઈ છે ! આ વર્ષ દરમિયાન મારાં એક બ્લોગર મિત્ર શ્રી સુરેશભાઈ જાની અમેરિકાથી દેશની મુલાકાતે આવેલા ત્યારે ખાસ સમય ફાળવી જામનગરની મુલાકાત પણ લીધેલી અને તેમની સાથે ગાળેલો દિવસ મારાં માટે ચીર સંભારણૂં બની ચૂકયું છે. શ્રી સુરેશભાઈની મુલાકાત થકી જામનગરના જ હોવા છતાં અને બ્લોગર પણ ખરા તેવા ડૉ. મૌલિક શાહને ક્યારે ય રૂબરૂ મળવાનો પ્રસંગ નહિ બનેલો, તે શ્રી સુરેશભાઈની મુલાકાતે શક્ય બનાવ્યું ! શ્રી સુરેશભાઈ થકી જ બ્લોગર મિત્રોમાં પ્રત્યક્ષ મળવાનું ના બન્યું હોવા છતાં શ્રીવલીભાઈ, શ્રી અખિલભાઈ, શ્રી શરદભાઈ, શ્રી અતુલભાઈ વગેરેનો રૂબરૂ નહિ મળ્યા હોવા છતાં આત્મીય સંબંધ બંધાયો હોઈ તેવું અનુભવી રહ્યો છું. આ ઉપરાંત વડિલ શ્રી દયાશંકરભાઈ, શ્રી ઉત્ત્મભાઈ ગજ્જર, શ્રીભુપેંદ્ર્સિંહજી, શ્રીચંદ્રવદનભાઈ, શ્રી અશોકપટેલ અને શ્રી અશોક મોઢ્વડિયા, શ્રી વિજયભાઈ, શ્રી ગાંડાભાઈ વલ્લ્ભ, શ્રી ગોવિંદભાઈ મારૂ, શ્રી દીપકભાઈ ધોળકીયા, શ્રીઅમૃત હઝારે, શ્રી પ્રફુલ્લ ઠાર, શ્રી રાજકુમાર, બિંદીયાજી, પ્રીતિજી વગેરે તમામ મિત્રોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા છે તેમના તરફ પણ આભારની લાગણી વ્યકત કરું છું. કેટલાક મિત્રોના નામનો ઉલ્લેખ મારી નબળી સ્મરણ શક્તિને કારણે રહી ગયો હોય તો તેવા તમામ મિત્રોની ક્ષમા ચાહું છું

આજના આ દિવસે આપ સૌ બ્લોગર મિત્રો તરફ કૃતજ્ઞતા વ્યકત કરુ છું અને સાથોસાથ આવનારા દિવસોમાં પણ આપ સૌનો આવી જ રીતે લાગણી અને હુંફ ભર્યો સાથ-સહકાર અને પ્રોત્સાહન મળતા રહેશે તેવી અપેક્ષા સાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું !

આપ સૌની ક્ષેમ કુશળતા ચાહ્તો,

સ-સ્નેહ
અરવિંદ

18 comments

  1. મારી નાની દીકરી મમતા, ( લાડમાં મારાં દાદીમા ), કે જે તે સમયે, અમેરિકામાં વસવાટ કરતી હતી, તેણીના આગ્રહથી, અને વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગ શરૂ કરવાના સમાચારે, મને મારાં વિચારોને શબ્દસ્થ કરવા પ્રેર્યો અને શરૂ થઈ બ્લોગ ઉપર મારાં વિચારો પ્રગટ કરાવાની આ યાત્રા……
    With this words, you had started the Yatra…and the time went so fast.
    Your Blog completed 3 Years & now your Blog Journey enters the 4th year.
    All the Best for your Journey,
    Congatulations !
    તમામ મિત્રોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા છે તેમના તરફ પણ આભારની લાગણી વ્યકત કરું છું
    Thanks a lot for mentioning my name amongst ALL friends !
    It was a pleasure knowing you as a “person & as a Friend”…I was so happy to have talked to you on the Phone for the 1st time..it will be always remembered.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to my Blog !

    Like

  2. આદરણીય વડીલ શ્રી અરવિંદ કાકા,

    તૃતીય વર્ષની યાત્રા સંપૂર્ણ કરી ચતુર્થ વર્ષમાં ડગ માંડવા બદલ અભિનંદન.

    જોકે એકાદ વર્ષથી આપના વિચારો અને લેખન કળાને માણવાનો અનેરો

    મોકો મળ્યો. સાંપ્રત સમય સાથે કદમ મિલાવી આપના લેખ દ્વારા સમાજ

    ઉત્કર્ષ અને સમાજ સેવા સાથે સમાજને ઉદાહરણ રૂપ લેખો પીરસી આપે

    ઉતમ કાર્ય દિપાવ્યું છે. હવેના વર્ષોમાં આ યાત્રા અનંત વહેતી રહે તેવી

    શુભેચ્છા સાથે પ્રણામ અને નમસ્કાર.

    Like

  3. આદરણીય શ્રી અરવિંદભાઈ,
    ત્રણ વર્ષની ગુજરાતી બ્લોગીંગ સફરમાં આપના’પાકટ’ વિચારવૈભવને અનેક વિષય સ્વરૂપે માણવા/જાણવા
    એ એક અસ્વાદ્ય ઉપલબ્ધિ રહી છે.
    આવતા સમયમાં પણ આપના બ્લોગને અનેકગણી શુભેચ્છાઓ.

    ડૉ.મહેશ રાવલ
    http://www.drmahesh.rawal.us

    Like

  4. મુ. અરવિન્દભાઇ,

    ત્રણ વર્ષ દરમ્યાન તમારા બ્લોગનો અનિયમિત મુલાકાતી હોવા છતાં … પણ આંગળીને વેઢે આવી જાય તેટલા જ મારા ગમતા બ્લોગરોમાં તમારું ચોક્કસ સ્થાન છે. કારણકે, તમારા લેખમાં વિષયની ક્રમબધ્ધ છણાવટ, સહજ અને સરળ ભાષા અને મને (અન્યોનું ખબર નથી) બોક્ષની બહાર મોકલી દઇ વીચારવાની ફરજ પાડવાની ક્ષમતાએ મને તમારી સાથે સાંકળી રાખ્યો છે. તમને રૂબરૂ જામનગરમાં મહેમાન થઇને મળીશ કે વલસાડમાં યજમાન થઇને … તે ખબર નથી .. પણ .. તમારા તંદુરસ્ત આરોગ્ય માટે પ્રાર્થના એટલા માટે કરીશ કે જેથી આવનારા વર્ષોમાં તમારું લેખન મારા માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે. અસ્તુ.

    Like

  5. બ્લોગીંગમાં અરસપરસ હોવું જ આનંદ છે અને તમારી સાથે, તમારી યાત્રામા એ આનંદ અનેરો રહ્યો.
    ચોથા વર્ષનો આરંભ ગતવર્ષથી અદકેરો રહે તેજ અભ્યર્થના.

    Like

  6. when Shri Sureshbhai Visited Jamnagar. I actually met You. But Before that i had a telephonic talk once when my post ‘Sanjeevani ‘ was appreciated…. Sureshbhai asked do you know mr.Arvindbhai… I said not personally and he said ..” jabru lakhta hoy chhe …his blog is worth reading..” I think this is a certificate from the senior most blogger himself….
    Enjoy blogging …. bye

    Like

  7. બ્લોગીંગ આપણા સૌને એક કરનારું વહાલસોયું માધ્યમ બની ચુક્યું છે. એણે વિશ્વનાં હજારો માઈલોનાં અંતરોને મીટાવી દઈને સૌને પડોશી બનાવી દીધાં છે.

    ચતુર્થારંભે આપને ખૂબખૂબ અભિનંદનો અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ !

    Like

  8. મુ.અરવિંદભાઈ,
    ત્રણ વર્ષ પૂરાં કર્યાં તે બદલ અભિનંદન. તમારા લેખો વાંચું છું ત્યારે એક શાંત સ્વર ઊભરતો સાંભળતો હોઉં છું. તમે અંતરથી જ નિર્મળ છો અને એ તમારા લેખોમાંથી પ્રગટ થાય છે. સો શરદ જૂઓ એવી શુભેચ્છાઓ.

    Like

Leave a comment