“ઈતિહાસનું પુનરાવર્તન-મહમદ ગઝની આપણાં દેશમાં જ પેદા કરવા જઈ રહ્યા નથી ને ? ”

“ઈતિહાસનું પુનરાવર્તન-મહમદ ગઝની આપણાં દેશમાં જ પેદા કરવા જઈ રહ્યા નથી ને ? ”

હજુ વૈકટેશ્વરને રૂ!. 45/- કરોડનો મુગુટ ચડાવવામાં આવ્યાના સમાચારની શાહી સુકાય નથી ત્યાં આજે સમાચાર પ્રસિધ્ધ થયા છે કે વૈકટેશ્વરનું આખું મંદિર આવનારા સમયમાં સંપૂર્ણ રીતે સોનાથી મઢવામાં આવી રહ્યાનું આયોજન શરૂ થયું છે. આન્ધ્રના મુખ્યપ્રધાન અને મંદિરના વહિવટદારોએ તિરૂપતિના આખા મંદિરને સોનાથી મઢ્વાનો નિર્ણય કર્યો છે. આ જંગી પ્રોજેક્ટનું નામ “આનંદનિલયમ અનંથ સ્વર્ણમયમ પ્રોજેક્ટ” છે. આ પ્રોજેકટ હેઠળ 300 કીલો સોનું વપરાશે. પ્રથમ સ્તરના કામમાં 120 કીલો પ્યોર સોનું રૂ!.12.71 કરોડનું અને 5000 ટન કોપર શરૂઆતના સ્તરમાં વપરાશે. આ પ્રોજેકટના ખર્ચ ની રકમ ભકતોના દાનથી ઉભી કરાશે !

તિરૂપતિ મંદિરના વહિવટદારો પ્રોફેશનલ્સ છે. અને તે સર્વે કરોડો કે અબજો પતિ હોવાની ભરપૂર શક્યતાઓ છે. આ વહિવટદારોની જીવનશૈલી રાજા-રજવાડા જેવી વૈભવી અને ઠાઠ-માઠ વાળી હોવાને કારણે મંદિરો પણ આવા વૈભવ અને સંપત્તિના પ્રદર્શન રૂપ બનાવવા આયોજન કરતા હોય તેમ જણાય છે. ઈશ્વર પ્રત્યેની અસીમ શ્રધ્ધા ધરાવનારા ભક્તો પાસેથી દાન મેળવી આવા તુક્કા અને ઘેલછા પોષતા રહે છે. આ કરોડો અને અબજો પતિઓને પોતાની આજુ-બાજુના જ પ્રદેશ કે રાજ્યમાં અત્યંત દીન અવસ્થામાં વસતા અને જીવતા લોકો દેખાતા નથી.

એમ માનવામાં આવે છે કે આપણાં દેશના 60% લોકો ગરીબી રેખા નીચે જીવન વ્યતિત કરી રહ્યા છે. 60% ગામડાઓમાં જીવનની મૂળભુત જરૂરિયાત એવી પીવાના પાણીની કે પ્રાથમિક શિક્ષણની કે સારવાર માટે કોઈ સગવડતાઓ ઉપલબ્ધ નથી. આજ 62 વર્ષની આપણી આઝાદી પછી પણ આવી કરૂણ પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યારે મૂર્તિને 45 કરોડનો મુગુટ ચડાવવો કે મંદિરોને સોનાથી મઢવા તે સંપતિનું વરવું અને બિભત્સ પ્રદર્શન ગણાવું જોઈએ !

જીવનની પ્રાથમિક જરૂરિયાતના અભાવમાં પિડાઈ રહેલી પ્રજાને મૂળભુત સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા આવી રકમ ના વાપરી શકાય ? ભગવાન તિરૂપતિ આવા શુભ કાર્યોથી વધુ ખુશ ના થાય ?

આપણાં દેશમાં અનેક ભક્તો દરેક ધર્મોમાં થઈ ગયા છે અને જેમને ઈશ્વરનો સાક્ષાત્કાર પણ થયો હોવાનું આપણે સૌ એકી અવાજે સ્વીકારીએ છીએ. જેમાના કેટલાકના નામનો ઉલ્લેખ કરવામાં આવે તો નરસિંહ મહેતા, મીરાંબાઈ, જલારામ, સાંઈબાબા, સંત કબીર, સંત તુલસીદાસ, સંત તુકારામ વગેરે ના જીવન તરફ દ્રષ્ટિ નાખતા એક વાત સર્વેમાં સમાન નજરે પડે છે. આ તમામ ભક્તો હંમેશા દીન્-દુઃખીયાની બાજુમાં ઉભા રહેલા અને એવા જ પરિવારમાંથી આવેલા જણાશે ! આમાંના કોઈ એ મંદિરો કે આશ્રમો બાંધ્યા નથી. સાદું જીવન ગુજારનારા આ સર્વે હતા ! જૈન ધર્મમાં જે તીર્થંકરો થઈ ગયા તે તમામ ક્ષત્રિયો હતા અને પોતાના રાજાશાહી વૈભવ છોડી સંન્યાસ ગ્રહણ કરતા જોઈ શકાય છે. ભગવાન બુધ્ધ પણ રાજ પાટ છોડી બુધ્ધ બની શકયા. અરે મુસ્લીમ અને ખ્રિસ્તી ધર્મના મોહમદ પયગંબર કે ઈસુ ખ્રિસ્ત પણ સાધારણ પરિવારમાંથી જ આ કક્ષાએ પહોંચેલા ! ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રધ્ધા અને ભક્તિ મહત્વની અને પાયાની જરૂરિયાત ગણાવી જોઈએ નહિ કે બાહ્યાડંબર કે બાહ્યાચાર !

આપણાં ઈતિહાસ ઉપર જરાક દ્રષ્ટિપાત કરીએ તો ભૂતકાળમાં આપણાં મંદિરોની સમૃધ્ધિએ જ મોહમદ ગઝ્ની જેવાને સતર સતર વાર આપણાં દેશ ઉપર આક્રમણ કરવા પ્રેરેલો જણાશે ! અને તે સમયે કોઈ રાજા કે રજવાડાઓ મંદિરો કે મૂર્તિઓની લૂંટ્-ફાટ કે ભાંગ ફોડ રોકી શકવા સમર્થતા નહિ દાખવી શકેલા જેની ઈતિહાસ શાક્ષી પૂરે છે !

મંદિરોને સોનાથી મઢ્વાના તુક્કાઓ હમણાં હમણાં ચો-તરફ વધી રહ્યા જણાય છે .થોડા સમય પહેલાં સાંઈબાબાને સોનાના સિંહાસન ઉપર આરૂઢ કરાવવાની વાતો આવી હતી. તો અડવાણીજીએ સોમનાથના શિખરો સોનાથી મઢ્વાની યોજના બનાવવા જણાવેલું. આમ મંદિરોને સોનાથી મઢ્વાની જાણે હરિફાઈ શરૂ થઈ હોય તેમ લાગ્યા કરે છે !! આવી યોજના કરનારાઓને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તિરુપતિનું મંદિર આંધ્રમાં આવેલું છે તો તે રાજ્યના જે વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવાની સગવડ ના હોય ,અને જ્યાં સારવાર માટે પ્રાથમિક સેવા આપી શકે તેવા દવાખાના ના હોય, તેવા પ્રદેશોમાં મંદિરને સોનાથી મઢ્વા માટે જે રકમ ફાળવવામાં આવી છે, કે આવશે તે રકમમાંથી આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે તો ભગવાન તિરૂપતિ ખુશ થશે કે નારાજ ? આ તમામ યોજનાઓને ભગવાન તિરુપતિના નામ સાથે પણ જોડી શકાય ! મને તો વિશ્વાસ છે કે આવી યોજના પૂરી કરવા માટે નિષ્ઠાવાન, ખંતીલા, પ્રામાણિક, કમીટેડ અને મીશનરી સ્પિરીટ વાળા આયોજકો દ્વારા આ યોજના શરૂ કરાય તો દાન દેવા દરેક વર્ગના લોકો સ્વૈચ્છીક રીતે આગળ આવશે !

એ તો જગ જાહેર છે કે વધુમાં વધુ નક્સલવાદીઓ આંધ્ર-ઓરિસ્સા-બેંગાલ –તામિલનાડુ વગેરે રાજ્યોમાં ફેલાયેલા છે. આ નક્સલવાદ પેદા થવાનું મુખ્ય કારણ અત્યંત ગરીબી અને બે-રોજગારી હોવાનું મનાય છે. જો બે-રોજગારી નાબુદ કરી શકાય તો ગરીબી પણ આપોઆપ ઘટવા લાગે અને નક્સલવાદ પણ આપોઆપ તેની ધાર ગુમાવી બેસે ! અને આ મંદિરને સોનાથી મઢવાની રકમમાંથી જ શક્ય બનાવી શકાય તેમ હું દ્ર્ઢ રીતે માનું છું.

જો આવા કોઈ પ્રગતીકારક પગલાં નહિ ભરાય અને આવનારા દિવસોમા મંદિરોની સમૃદ્ધિ બે લગામ વધ્યા કરશે તો મને તો ભય લાગે છે કે મોહમદ ગઝ્ની આપણાં જ દેશમાં પેદા થશે ! અગાઉના સમયમાં 20000 થી પણ વધુ અંતરેથી પગ-પાળા કે ઘોડા કે ઉંટ ઉપર આવેલા ગઝનીઓએ મંદિરો અને મૂર્તિઓની લૂંટ કરી જતા રહેતા પરંતુ હવેના દિવસોમાં બહારથી આવવાને બદ્લે આપણાં દેશમાં, આપણે જ, આપણાં ટૂકી બુધ્ધિના અને અંધશ્રધ્ધા યુકત નિર્ણયોને કારણે ગઝનીઓ પેદા કરીશું. અને જે આપણો અનુભવ પણ સુર પુરાવે છે કે આજે પણ આ નકસલવાદીઓ પાસે છેલ્લામાં છેલ્લા શોધાયેલા હથિયારો છે અને તેનાથી તેઓ સજ્જ પણ છે.

અને આવા આધુનિક હથિયારો વડે અવાર નવાર હિંસા ફેલાવતા રહે છે. આપણે અવાર નવાર સમાચારો દ્વારા જાણીએ છીએ કે નાના-મોટાં મંદિરોમાં લૂટ થયા જ કરે છે અને ભગવાને ક્યારે ય આવી લૂંટ ફાટ થતી રોકવા કોઈ ચમત્કાર કર્યાનું જાણ્યું નથી..

વિધિની વક્ર્તા તો આપણી નજર સામે છે કે ભગવાન તિરૂપતિ, શ્રીનાથજી, દ્વારકાધીશ, સોમનાથ, રણછોડરાયજી, અંબાજી, વૈશ્નોદેવી, સિધ્ધિવિનાયક વગેરે જે અમર્યાદ આવક અને સંપત્તિ ધરાવનાર મંદિરો છે તેની સુરક્ષા માટે સીક્યોરીટી રાખવી પડે છે. આ રક્ષકો ભગવાનના રક્ષણ માટે પ્રયોજવા કે રોકવા પડતા નથી.

પરંતુ જે સંપત્તિ ભગવાનની મૂર્તિ ઉપર ચડાવેલ છે તે ઉપરાંત અન્ય સંપત્તિ જે તિજોરીમાં પડેલ છે તેના માટે આ ખર્ચ કરવાની ફરજ પડે છે ! જે આપણી કહેવાતી ધાર્મિકતાની માત્ર ક્રૂર મજાક જ નથી પણ વેધક કટાક્ષ પણ છે. મંદિરને સોનાથી મઢ્વાનો નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા મારી આયોજકોને ભગવાન તિરુપતિમાં પૂર્ણ શ્ર્ધ્ધા સાથે નમ્ર વિનંતિ કરું છું. અસ્તુ !

મંદિરોની સમૃધ્ધિ ઉપર આ પહેલાં પણ મારા બ્લોગ ઉપર 2-3 લેખો વધુ વિગતો સાથે મૂકેલ છે જે વાચકોને વધુ જાણવા ઈંતેજારી થાય તેમને મારાં બ્લોગ ઉપરથી વાંચી લેવા વિનંતિ છે.

14 comments

  1. આજકાલ ઘણા બધા બ્લોગો પર વી કે વોરાની ગમાર કોમેંટોનો રાફડો ફાટ્યો છે. એ માણસને પઈનું ય નોલેજ નથી એટલે જ બેફામ બફાટ કરે છે. વી કે વોરા જેવા હિન્દુઓ અને એમના ગૌરવને નીચું દેખાડવામાં હુંશિયાર સ્યુડો સેક્યુલારિસ્ટોનો આ દેશમાં ક્યાં દુકાળ છે ? અરવિંદ દાદા તમે વિગતે વાત સમજાવી તે સારું કર્યું.

    Like

    1. ભઈશ્રી કુમાર
      આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! ભાઈ વોરા સોમનાથને દેશનું કલંક ગણે છે તે તેમનો મત તેમને મુબારક ! હું સોમનાથને દેશનું ગૌરગ ગણું છું અને સરદાર પટેલ માટે હેટ્સઓફ ગણાવું છું ! સરદાર જ આવો નિર્ણય કરી શકે અને તેનો અમલ કરવા પ્રતિબધ્ધ હોય તેવાને આવું ભગીરથ કાર્યમાં જોડી શકે. ઈતિહાસ કહે છે કે સોમનાથ મંદિર 2000 વર્ષ પહેલાં બંધાયેલું અને તે સ્વાભાવિક જ છે કે હિન્દુ રાજાએ જ બનાવીને અર્પણ કર્યુ હોય ! અનેક વખત ભંગાયુ અને ફરી અને ફરી પુનઃનિર્માણ પામ્યું અને જો જે તે સ્થળે મંદિર હતુ જ તો ત્યાં ફરી બાંધવાના ઉપક્ર્મને રાષ્ટ્રની શરમ ના જ ગણી શકાય પણ ગૌરવ ગણવું રહ્યું તેમ છતાં દરેક વ્યક્તિને પોતાનો મત/અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે એટલે ભાઈ વોરા ભલે કલંક સમજે ! અસ્તુ ! આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિદ

      Like

  2. આદરણીય અરવીંદ ભાઈ, અંગ્રેજી વીકીપીડીયા ઉપર ઘણી મુલાકાત લઈ ચર્ચામાં મેં રસ પુર્વક ભાગ લીધેલ છે. ગજની અને સોમનાથ મંદીરનું અંતર વીકીમેપીયાથી માપી શકાય છે. એથેઈસ્ટ હોવાના કારણે મુર્તી પુજાઓ કોણે કેવી રીતે શરુ કરી કે વીરોધ કર્યો એના અભ્યાસમાં આ સોમનાથ મંદીર આવ્યું. મુર્તી પુજાના વીરોધીઓએ મહમ્મદ ગઝનવીને આમંત્રણ આપેલ અને હુમલા વખતે પુજારીઓએ ભક્તોને આશ્ર્વાસન આપેલ કે મંદીરની ધજા ફરકતી હશે ત્યાં સુધી ઉની આંચ નહીં આવે. મહમ્મદ અને એના લશ્કરના બધા લગભગ ૫૦૦૦ આંધળા થઈ જશે. મહમ્મદે ધજાને નીચે પાડી પાછળથી ચડાઈ કરી લગભગ ૫૦૦૦૦ ભક્તોની કતલ કરવાનો હુકમ કરેલ. પછી લુંટેલ માલ મીલકત લઈ જવા થોડાને બચાવી જાડા તંદુરસ્ત પુજારીઓ અને ભક્તોને ગુલામ બનાવી ચાબુકના સથવારે બધું ગજની લઈ ગયો. એ વખતે કોઈ રાજા મંદીરને બચાવવા આગળ આવેલ એમ નોંધ નથી. બચેલા પુજારીઓ હમેંશને માટે દક્ષીણમાં ચાલ્યા ગયા. મસ્જીદની જગ્યાએ હાલના મંદીરનું નીર્માણ ભારત સ્વતંત્ર થયું એના પછી થયું જેને હું કલંક ઘટના કહું છું. જાતી પ્રથાની કલંક ઘટનાનું આ સ્મારક છે. કુશળતા, લી. વીકે વોરા.

    Like

    1. ભાઈશ્રી વોરા
      “મારાં ઈતિહાસનું પુનરાવર્તન——-“વિષેના લેખ ઉપરના પ્રતિભાવોમાં આપણે બંને કદાચ વિષયાંતર કરી રહ્યા છીએ. મારો હાયલાઈટ કરવાનો મુદો આજે જે રીતે મંદ્દિરોને સોનાથી મઢવાનું ગાંડપણ ઉપડ્યું છે તે આ દેશના લાખો લોકોના રોજી-રોટીના ભોગે થઈ રહ્યું હોય તેમ સ્પષ્ટ રીતે જણાય રહ્યું છેં. લોકોની અંધશ્રધ્ધા મીટાવવાને બદ્લે આ દેશના રાજકારણીઓ અને સાધુ-સંતો પોતાનું રાજ કે સત્તા યાવદ્ચંદ્ર દિવાકરૌ ચાલ્યા કરે તે માટે આવા બેહુદા ગતકડાં કરી રહ્યા હોય તેમ નથી લાગતું ? નક્સલવાદ્-માઓવાદીઓ વગેરેનો દિન પ્રતિદિન લોકો ઉપરનો પ્રભાવ વધી રહ્યો છે અને સામાન્ય લોકોને તેમની તરફ કુણી લાગણી છે તેનો કોઈ ઈંકાર કરી શકે તેમ નથી. અને જો આ રીતે મંદિરો અને આશ્રમોની સંપત્તિ અને સમૃધ્ધિ વધતી જ રહી તો એક દિવસ ચોક્કસ આવશે કે લોકો મંદિરો અને આશ્રમોમાં બેફામ લૂંટ ચલાવશે ! હવે બહારથી નહિ દેશમાં જ ગઝ્ની જેવા પેદા થશે અને મંદિરો ભાંગશે તે દિવસો મને બહુ દૂર દેખાતા નથી. આ મુદાને હાઈલાઈટ કરી તે વિષે આપના તથા અન્ય બ્લોગર મિત્રોના પ્રતિભાવોની અપેક્ષા હતી તેને બદલે આપણે તદન બીજા મુદા ઉપર ચર્ચા કરવા લાગ્યા. ખેર ! હવે આ મુખ્ય મુદા વિષે આપના પ્રતિભાવો જાણવા ઉત્સુક રહીશ ! આપની અનૂકુળતાએ જરૂર જણાવશો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. મહમદ ગજનવી ગજનીથી આવેલો પણ એનો રસ્તો ક્યાં ખબર હતી? વળી અંતર પણ લગભગ ૧૫૦૦ કીલોમીટર જેટલું હતું. આ દેશમાં આપણે પોતે જયચંદો અને અમીચંદો પેદા કરેલ. એ સીવાય છુટકો પણ કયાં હતો? ભારત સ્વતંત્ર થતાં વલ્લભ ભાઈ પટેલે આ સોમનાથ મંદીરને ફરી બાંધી આખા દેશને મંદીર મસ્જીદમાં અને સોમનાથ થી અયોધ્યાની રથયાત્રામાં ફેરવી નાખ્યો.

    Like

    1. ભાઈશ્રી વોરા
      આપના પ્રતિભાવમાં કેટલીક મૂળભુત ભૂલ પ્રથમ નજરે જ જણાય છે. ગઝ્ની ગઝનીથી અંદાજે 20000 માઈલની પગપાળા અશ્વો અને ઉંટની સહાય વડે આવેલો 1500 કીલોમીટરથી નહિ.જયચંદો અને અમીચંદો આ દેશમાં પેદા થયેલા તે વાત ખરી છે. પોતાના અંગત વેર વાળવા અત્યંત સ્વાર્થી લોકો આજે પણ તેવો જ ભાગ ભજવી રહ્યા છે અને આપણાં દેશના લોકોની અમર્યાદ સહન શક્તિ અને ઈશ્વર અવતાર ધારણ કરશે અને આ પાપાચારીઓથી બચાવશે તેવી અંધ શ્રધ્ધાનું કોઈ ઓષડ નથી. સોમનાથ મોહમદ ગઝ્નીએ ભાંગેલું જેનો જિર્ણોધ્ધાર સરદાર વલ્લભ ભાઈ અને કનૈયાલાલ મુનશી એ કરવાનું શરૂ કરેલું. આપ બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ મોકલો છો તે માટે આભાર !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. મુર્તીપુજાના વીરોધીઓ મુહમદ્દ ગજનવીને સોમનાથ મંદીર ઉપર હુમલો કરવા ગજનીથી સોમનાથ લઈ આવ્યા. સ્વતંત્રતા પહેલાં હાલના સોમનાથ મંદીરની જગ્યાએ મસ્જીદ હતી. મેં લખેલ ૧૫૦૦ કીલોમીટર તો વધુ કહેવાય. રોજના ૩૦ કીલોમીટરના હીસાબે ૫૦ દીવસમાં અંતર કાપી શકાય. પૃથ્વીનો વ્યાસ માંડ ૧૨૭૪૨ કીલોમીટર છે. પૃથ્વી ઉપર અંતર કે ખેતરોનું ક્ષેત્રફળ માપવા ઈન્ટરનેટ ઉપર વીકીમેપીયા નામનો પ્રોગ્રામ છે.

        Like

        1. ભાઈશ્રી વોરા

          મારું ઈતિહાસ અને ભૂગોળનું જ્ઞાન ખૂબ જ સિમિત છે એટલે આપના પ્રતિભાવ વિષે હું કંઈ વધારે તો કહી શકું તેમ નથી. તેમ છતાં જ્યાંસુધી મારી માહિતિ છે ત્યાં સુધી મહમદ ગઝ્નીએ આપણાં દેશ ઉપર 17 વખત આક્રમણ કરેલું અને દરેક વખતે મંદિરોનો દ્વંસ કરતો રહેલો. ઉપરાંત તેને આપણાં દેશના કોઈ તત્ત્વોએ આમંત્રણ આપી આવો વિનાશ કરવા પ્રેરેલો તેવું મારી જાણમાં નથી. હા તે મંદિરોની સંપત્તિ અને સમૃધ્ધિથી આકર્ષાય મંદિરોને લૂંટવા દરેક વર્ષે આવતો ! ગઝ્ની પ્રથમ ઈરાનનો ભાગ હતું અને બાદમાં કાળક્રમે તે અફઘાનીસ્તાનમાં સમાયું. આ ગઝની 30/05/1030માં મેલેરીયાથી ગઝ્નીમાં મૃત્યુ પામ્યો. વર્ષોવર્ષના આક્રમણમાં તેણે જે તે સમયના નામથી ઓળખાતા એવા નાગરકોટ, થાણેસર, મથુરા, કનોજ, કાંલિજર અને સોમનાથ સહિત વારાણસી, ઉજ્જેન, મહેશ્વર, જ્વાલામુખી, નાટુનકોટ અને દ્વારકા વગેરે શહેરો અને મંદિરોનો ધ્વંસ કરેલો અને અસંખ્ય લોકોની મોટા પાયે કતલ કરેલી. સોમનાથની લિંગના ટૂકડા તેણે પોતે હથોડા વડે કરેલા અને આ ટૂકડા પોતાની સાથે લઈ ગયેલો અને ગઝનીની જુમામસ્જીદના પગથીયામાં જડેલા.

          વધુમાં આપની જાણ માટે મને કહેવાદો કે ગઝની સોમનાથ ઉપર આક્રમણ કરવા ઈ.સ. 1025ના ઓક્ટોબરની 18 તારીખ ને સોમવારે ત્રીસ હજાર અશ્વદળ ચોપન હજાર પાયદળ અને બીજા નોકર ચાકરો સાથે ગઝનીથી પ્રયાણ કર્યું. વચમાં રમજાન મહિનાને કારણે તેણે સૈન્ય સાથે જ મુલતાનમાં રમજાન પૂરોકરી 26/11/1025ના સોમનાથ જવા રવાના થયો.અને તે 06/01/1026ના ગૂરુવારે સોમનાથ પહોંચી ગયોં આમ ગઝનીથી પ્રભાસનો પ્રવાસ તેણે 80 દિવસમાં પૂરો કર્યો.જ્યારે તે સોમનાથ પહોંચ્યો ત્યારે તેના કાફલામાં 30000/-ઘોડે સ્વારો 50000/- ઉંટો અને 105000/- એક લાખ પાંચ હજાર માણસો હતા.

          ગઝ્ની અને સોમનાથ વચ્ચેનું અંતર આપ કહો છો કે 1500 કિલોમીટર હતું તેનો મતલબ એમ થયો કે ગઝની દિલ્હીની આસપાસમાં જ હોવું જોઈએ કારણકે દિલ્હી અને સોમનાથ અંદાજે આજે પણ એટલું જ અંતર ધરાવે છે. જ્યારે મોહમદ ગઝનીનું ગઝની તો આજે પણ અફ્ઘાનીસ્તાનમાં જ છે. આપની વાત પ્રમાણે શક્ય છે કે આપે કહેલું ગઝની અને મોહમદ ગઝની કોઈ અન્ય જ હોઈ શકે !

          સોમનાથ વિષે થોડો ઈતિહાસ આપની જાણ માટે નીચે રજૂ કરેલ છે શક્ય છે જે આપના જ્ઞાનની ધારને વધુ તીક્ષ્ણ બનાવશે !

          ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય ઐતિહાસીક મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લીંગોમાનું એક જ્યોતિર્લીંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

          મંદીરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદીરની અડીખમ રહ્યું છે. મંદીરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવેલ છે.

          સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક જૂનાયદે તેની સેના લઈ મંદીર પર હુમલો કરી મંદીરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદીરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદીરના કીમતિ ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદીરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદીરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદીરનો નિર્માણ કર્યો. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી મંદીર તોડી પાડ્યું.

          ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદીરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદીરનું તેની મુળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. (આજના મંદીર ને સ્થાને હતી જે મસ્જીદ તેને થોડી દુર લઈ જવાઈ છે.) જ્યારે ડીસેમ્બર ૧, ૧૯૯૫નાં દિવસે આ મંદીરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદીર સમર્પિત કર્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદીરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદીરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

          ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કીનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શીલાલેખ પ્રમાણે, મંદીર તથા પૃથ્વીના દક્ષીણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લીંગની પ્રતિસ્થાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે – “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણ ના વિજય નું પ્રતિક છે.”

          આપનો આભાર આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો ! ફરી ને અવાર નવાર મુલાકાત લેતા રહેશો !

          સ-સ્નેહ

          અરવિંદ

          Like

  4. આદરણીય વડીલ અરવિંદકાકા,
    ખુબ જ વિચારવાલાયક સરસ લેખ, તે બદલ અભિનંદન!!
    મેં પોતે પણ આ વિશે લખ્યું છે. પણ આપણે જયારે કોઈ મંદિર કે ભગવાન વિશે કંઈક લખીએ એટલે લોકો ના ભવાં ખેંચાય છે. કોઈકની ધાર્મિક લાગણીને ઠેસના પહોંચે તે માટે આજ દિન સુધી હું આ વિષયનો લેખ પ્રગટ કરતો નહોતો, લો, આજે તમે મારા જ વિચારો ને તમારી કલમથી વાચા આપી દીધી!..
    મંદિરોમાં અઢળક ધન ઠલવાય છે. પૈસાઓથી દાન પેટીઓ ઊભરાય છે અને ધન જોઈ મુનિ પણ ચળે, તેમા આ સામાન્ય પ્રજામાંથી કોઈ મહંમદ ગઝની ના પાકે તો નવાઈ જ!.. મંદિરોમાં સૌથી વધુ આવક બાલજી તિરૂપતિ, બીજુ વૈશ્ણૌવદેવી અને અંબાજી -આ સ્થળોએ દરરોજનું કરોડોનું દાન આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે આમ છતાં અહીં ભકતો તથા યાત્રિકોને માટે કોઈ સદાવ્રત કે મફત ભોજનની કોઈ વ્યવસ્થા નહીં!!?…અને વીરપુર માં જલારામ બાપુને ત્યાં સદાવ્રત હંમેશા ચાલુ રહે છે…ભોજન મફત મળે છે અને મુખ્ય વાત એ કે અહીં દાન વધી જતા સ્પષ્ટ બોર્ડ લખી ને લટકાવ્યું છે કે દાન લેવાનું બંધ કરવામાં આવ્યું છે તેથી કોઈ દાન આપવું નહીં!!(આ છે ગુજરાત ના સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડનું ખમીર!! તેથી જ વધુ સંતો અને મહાત્માઓ તે ધરતી પર પોતાની જન્મયા છે અને સદા જન સેવા અને માનવતાને મહેકાવતા રહ્યાં છે!..)

    Like

  5. aravindbhai have pachi please bhanatar(aducation) vishe lakhjo. karan hu fakt 10rs fee (monthly) ma bhanto ane aje mara chokarav ne 2000rs pan ocha pade che.chokarav ne english midium ma mukva mate donation pan apvu padiyu che ane aa badhu aaj ni mata(mom) na daban ma avi ne karvu pade che. to pls aa babat ma pan thodu apna blog ma lakhva maherbani karsho.

    Like

    1. ભાઈશ્રી
      ભણતર ઉપર મારાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા અને બાળપણ આશીર્વાદ કે લેખ વાંચશો બંને લેખમાં આપને મુંઝવતા સવાલનો જવાબ મળી રહેશે. સિક્ષણ ઉપર પણ લખી રહ્યો છું પણ હજુ વિગતો એકઠી કરું છું અને તે દરમિયાન આ લઠ્ઠાકાંડ અને સોનાનું મદિરે ધ્યાન ખેંચતા તેના ઉપર લખી નખાયું. ચાલો આવજો. આભાર્ મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિદ

      Like

    1. શ્રી સુરેશભાઈ

      આપ મારાં વિચારો સાથે સહમત છો તેજાણી આનંદ થયો. આપે આપેલી લીક ઉપરથી આપે સુચવેલ લેખ જરુર વાંચીશ અને આપને પ્રતિભાવ પણ જણાવીશ્ મારું નેટ 4 દિવસ થયા બંધ હોવાને કારણે જવાબ લખવામાં વિલંબ થયો છે. ફરી એક વાર આભાર્ મળતા રહીશુ !

      સ-સ્નેહ

      અરવિદ

      Like

Leave a comment