શિક્ષણનું માધ્યમ માતૃભાષા ( ગુજરાતી ) કે અંગ્રેજી ? ! ?? ! ( 2 )

શિક્ષણનું માધ્યમ માતૃભાષા ( ગુજરાતી ) કે અંગ્રેજી ? ! ?? ! ( 2 )

થોડા સમય પહેલા આ જ વિષય ઉપર મેં મારા વિચારો મારાં બ્લોગ ઉપર મૂકેલા છે તેના અનુસંધાને આ વિષે જ થોડું વધારે લખી રહ્યો છું. જાણવા મળ્યા પ્રમાણે ગુજરાત ભાષા પરિષદ દ્વારા “ગુજરાતી બચાવો” નું અભિયાન શરૂ કરવા માટે તા.14/02/2009 ના ગાંધીનગર મુકામે એક રેલી અને સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીને ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સર્વશ્રી સુરેશ દલાલ , ગુણવંત શાહ , રઘુવીર ચૌધરી, ગીરીશ પટેલ સહિત અન્યો સંબોધવાના છે. આ પ્રયાસ ખરેખર અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. તમામ ગુજરાતીઓએ આ પ્રયાસને હાર્દિક ટેકો આપવો તે નૈતિક જવાબદારી ગણાવી જોઈએ. આયોજકોને લાખ લાખ ધન્યવાદ્ !

*** સાથો સાથ એક વાત તરફ આયોજકોનું ખૂબજ નમ્રતા પૂર્વક ધ્યાન દોરવાની મને આવશ્યકતા જણાય છે કે, માત્ર આવી રેલી કે સભાથી ગુજરાતી બચી જશે તેવી ભ્રમણામાં રહેવા જેવું નથી. આ અભિયાન તેના ખરા અર્થમાં અને પૂરેપૂરી ગંભીરતા સાથે છેક તળીયાના ગુજરાતી સુધી પહોંચાડવું જોઈશે. અને આ અભિયાન સતત ચાલતી પ્રક્રિયા બની રહેવું જોઈશે માત્ર વન ટાઈમ રેલી અને સભા ધાર્યા પરિણામ હાંસલ નહિ કરી શકે. જો તેમાં નિષ્ફળતા મળી તો આવનારા દિવસોમાં વધારે હતાશા વ્યાપશે અને માતૃભાષા તરફ વળવાને બદલે વધુ જોશથી અંગ્રેજી તરફ વળવાનો મોહ વધશે..

*** જ્યાં સુધી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવાની ઘેલછા છેક તળીયેથી નહિ મીટાવાય ત્યાંસુધી “ગુજરાતી બચાવો” ના સમર્થકોએ આ પ્રવૃતિ પાછળ રીલીજીયસલી મચી રહેવું જોઈશે અને આ માટે જ સમર્પિત કાર્યકરોની ફોજને કામે લગાડવી જોઈશે.. ગુજરાતીઓનું સ્વત્વ અને સ્વમાન જગાડવાની હાકલ કરવી પડ્શે. આ માટે તમામ ગુજરાતી ભાષા વિદો- સાહિત્યકારો-ચિંતકો-વિચારકો –શિક્ષણશાસ્ત્રીઓ વગેરેને સંયુકત રીતે પ્રયાસોમાં એક્મતીથી જોડવાના રહેશે..ઉપરાંત શ્રેષ્ઠ શાળાઓ જ નહિ પણ ગુજરાતીને સમર્પિત શિક્ષકો (પૂરતા વળતરની ખાત્રી સાથે ) મેળવવા પડ્શે.

*** આજ સુધીમાં માતૃભાષામાં અભ્યાસ કરી કોણ ક્યા પદે પહોંચ્યું તેની વિગતોમાં નહિ જતા હું આ ઝ્ડપથી પરિવર્તન પામતી જતી આપણી સામાજીક જીવન શૈલી તરફ ધ્યાન દોરવા માંગુ છું.

*** આપણુ જીવન આપણે વિચારીએ તે કરતાં પણ ખૂબ જ ઝ્ડપથી બદલાય રહ્યુ છે. આજથી 10/15 વર્ષ પહેલાં જે જીવન આપણે જીવી ગયા અને આજે જીવી રહ્યા છીએ તેમાં આમુલ પરિવર્તન આવી ગયું છે. સંયુકત પરિવારો ખૂબજ્ ઝડપથી તુટી રહ્યા છે. આપણી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુની પ્રાથમિકતા ઝ્ડપથી બદલાય રહી છે .જીવન ધોરણ ઉંચુ અને ઉંચુ રોજ-બ-રોજ જઈ રહ્યું છે. અને સમય સાથે તાલ મીલાવવા અને બીજાથી પાછ્ળ ના રહી જઈએ માટે વધુ અને વધુ કમાવુ તે જાણે આપણા જીવનનું અંતિમ અને એક માત્ર લક્ષ્ય બની રહ્યુ હોય તેવું જણાય છે.

*** ખાસ કરીને આપણે ગુજરાતીઓ જાણ્યે અજાણ્યે એક લઘુતા ગ્રંથીથી પીડાય રહેલા હોઈએ તેમ લાગ્યા કરે છે. કદાચ આપણે જ સમગ્ર દેશમાં એક એવી પ્રજા છીએ કે જેને પોતાની માતૃભાષા ના આવડતી હોય અને તેનો કોઈ ગમ કે અફસોસ શરમ કે દુખ ના હોય પણ ક્યારેક તો ગૌરવ અનુભવતા જોવા મળે છે. આંધળું અનુકરણ સ્વત્વ અને સ્વમાનને ભોગે કદાચ આપણે ગુજરાતીઓ જ કરી શકીએ.

*** સાચા ખોટા બે શબ્દો અંગ્રેજીમાં બોલનારથી આપણે એટલા તો અભિભૂત અને પ્રભાવિત થઈ જઈએ છીએ કે બીજુ કંઈ વિચારતા જ નથી. અંગ્રેજી પાછળની ગુજરાતીઓની ઘેલછાએ તો અંગ્રેજી માધ્યમ સાથે સ્કૂલો ચાલુ કરવાનો એક જબર જસ્ત ધંધો શરૂ થયો અને જોત જોતામાં ચારે બાજુ અંગ્રેજી સ્કૂલો શરૂ થઈ ચૂકી.

*** આ ઘેલછાનો વધુ અને વધુ લાભ લેવા મેદાનમાં આવી ગયા મીશનરીઓ – રાજકારણીઓ- અને સંપ્રદાયો અને હવે બાકી રહેતું હતું તે દેશના મોટા ઉધ્યોગ પતિઓ અને ધંધાર્થીઓ પણ આ વ્યવસાયમાં ઘી-કેળાં ભાળી જતા મોટે પાયે જોડાઈ રહ્યા છે !!

*** ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવનારા પણ કેમ બાકી રહે તેઓ પણ આ ઘેલછાને ટંકશાળમાં ફેરવી રહ્યા છે. પરિણામે જે શિક્ષણ અંગ્રેજી અથવા ગુજરાતી માધ્યમમાં ખૂબ સસ્તુ હતું તે રોજ –બ્-રોજ મોંઘુ અને મોંઘુ થતું રહ્યું. ઉપરોકત કહ્યા તે તમામ તત્વોએ જાણે ગુજરાતીઓની આ અંગ્રેજીની ઘેલછાને રોકડમાં ફેરવી નાખવાની હોડ શરૂ કરી. અને હવે તો આ ઘેલછાને છેક ગામડાં સુધી પહોંચાડવામાં હરીફાઈ શરૂ થઈ ચુકી છે.

*** પરિણામે ગુજરાતી સમાજ છિન્નંભિન્ન થઈ રહ્યો છે તે તરફ કોઈનુ ધ્યાન કેન્ઢ્રિત થતું હોય કે ધ્યાન ખેંચાતું હોય તેમ જણાતું નથી.આ વિષે મારાં જે આગવા વિચારો છે તે અહિ રજૂ કરૂ છું.

*** આપ સૌ જાણતા જ હશો કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂ કરાવા માટે આજના આ સમયમાં લોઅર કે.જી થી બાળકને દાખલ કરવાનું રહે છે. અને આ લોઅર કેજીની માસિક કે છ માસિક ફી નો દર શું છે ? રુપિઆ 100-500 અને બહુ પ્રખ્યાત સ્કૂલમાં જો દાખલ કરવું હોય તો ડોનેશન પણ આપવું પડે અને તે આપવા છતાં ,અનેક ધક્કા ખાવાના અને કોઈ વગદાર વ્યક્તિની ભલામણ ચીઠ્ઠી સાથે હોવી અનિવાર્ય બની રહે ,એટ્લું જ નહિ મા-બાપે ઈંટર્વ્યુ પણ આપવાનો રહે ! અને તે પછી પણ પ્રવેશ માટે તો સંચાલકોનો જ આખરી નિર્ણય રહે. અને કદાચ જો પ્રવેશ મળી ગયો તો આટલી તકલીફ કે મોહતાજી કરીને મેળવાયેલા પ્રવેશ ને ગૌરવ ગણી ગાઈ બજાવીને સમાજમાં રજૂઆત કરવાની આપણી આ માનસિકતા ગુલામીની ધ્યોતક નથી ?

*** અત્યંત મોંઘુ થતું જતું આ શિક્ષણ બંને પતિ-પત્નીને કામ કરવાની ફરજ પાડે છે કારણ કે એકની આવક તમામ ખર્ચને પહોંચી વળવા પૂરતી થતી નથી. અને જો ભૂલે ચૂકે એક કરતાં વધારે બાળકો હોય તો આવા મા-બાપની હાલત અત્યંત કફોડી બની રહે છે.

*** માંદગીમાં ડૉકટર પાસે જઈએ ત્યારે નિદાન કરી દવા લખી આપે છે અને જે તે દવાની જો કોઈ આડ અસર થતી હોય તો તે ના થાય અથવા ઓછી થાય તે માટે બીજી દવાઓ લેવાની ભલામણ કરતા હોય છે. અને દર્દીને ચેતવતા પણ હોય છે. આવું જ કંઈક મારા મતે અંગ્ર્રેજી માધ્યમમાં દાખલ કરતી વખતે શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. પણ આ કોણ કરે ? એ તો સ્પષ્ટ છે કે અંગ્રેજી માધ્યમના સંચાલકો તો આ વિષે તેમના હિત જોખમાતા હોય ના જ કહે કે ચેતવે. તો આ ફરજ ગુજરાતી બચાવો ના અભિયાન સાથે જ શરૂ કરવી રહી. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ માટે દાખલ કરતા મા-બાપો અને બાળકોને આવી આડ અસરથી માહિતગાર કરવા જ રહ્યા. આ આડ અસર કઈ છે ?

*** એ તો સર્વ વિદીત છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓ અતિ ખર્ચાળ હોય છે, અને કેજી થી જ, મોટી ફી-ડોનેશન-શાળાએ લેવા-મૂકવા વાહનનો ખર્ચ, ઉપરાંત ખાનગી ટ્યુશનનો ખર્ચ , પતિ અને પત્ની બંનેને કામ કરવાની ફરજ પાડે છે ,અને તેમ છતાં આ ખર્ચને અન્ય ક્રીમીલેયર વર્ગ જે ખર્ચ કરે છે તેને તો આંબી શકાતું નથી. વળી બંને કામ કરતા હોય બાળક શાળાએથી છૂટી ને આવે ત્યારે ઘેર કોઈ ના રહેતુ હોય કાં તો આયાની અથવા પાડોશીની સહાય લેવી પડ્તી હોય છે. કારણ સંયુકત કુંટુંબ લગભગ મૃતાવસ્થામાં જીવી રહ્યા છે. વળી આપણાં પુરૂષ પ્રધાન સમાજમાં પતિ ઘર કામમાં કોઈ સહાય કરતો જવલ્લેજ દેખાય છે અને તેથી પત્નિ સતત તનાવ ભર્યું જીવન જીવતી જોવા મળે છે. બે સમય રાંધવું-નાસ્તા બનાવવા- બાળકને તૈયાર કરી શાળાએ મોકલવું-પતિ દેવની તમામ ચીજ-વસ્તુઓ તૈયાર કરી દેવી ! અને અન્ય ઘરકામ , જેવાકે વાસણ સાફ કરવા-કપડા ધોવા અને ઘરમાં કચરા –પોતા કરવા કે કરાવવા વગેરે અને પોતાની ઓફિસે સમયસર પહોંચવું ,કામનુ આટલું ભારણ પત્નિને સતત વ્યસ્ત અને તાણમાં રાખે છે ,પરિણામે અનેક રોગની ભોગ બને છે .ઉપરાંત પતિ સાથે અવાર નવાર બોલા ચાલી પણ થઈ જતી હોય છે. જે સંબંધોમાં કડવાશ ઉમેરે છે અને કેટલાક કિસ્સામાં છૂટાછેડા સુધી પહોંચી જતી જોવામાં આવે છે.

*** પત્નિ ઘર બહાર કામ કરવા જતી હોય કેટલાક પુરૂષો પત્નિના ચારિત્ર્ય ઉપર પણ શંકા કરવા લાગે છે તો કેટલાક કિસ્સામાં લગ્ન બાહ્ય સંબંધો જાણ્યે- અજાણ્યે ચાલુ થઈ જતા હોય છે અને તે પણ લગ્નજીવનમાં ભંગાણ સર્જે છે.

*** આમ ના થાય એટ્લે કેટલાક યુગલો બાળક જ પેદા નહિ કરવાની સમજ પેદા કરે છે. તો કોઈક એક જ બાળક હોવું જોઈએ તેવી વિચારસરણી અપનાવી લે છે.

*** સામાન્ય રીતે અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં ક્રીમીલેયરના અને ઉચ્ચ મધ્યમ વર્ગ અર્થાત છેલ્લા 10-15 વર્ષમાં ધનિક થયેલ પરિવારના બાળકો મોટી સંખ્યામાં હોય છે, અને આ વર્ગના મા-બાપો બાળકોને શાળાએ લેવા-મૂકવા ગાડીઓમાં, તો કેટલાક રીક્ષા કે સ્કૂલ બસમાં , આવતા-જતા હોય છે ,તો જે સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને લેવા-મૂકવા મા કે બાપ જે ને અનૂકુળતા હોય તે પ્રમાણે બંને ગોઠવણ કરતા હોય છે. અને બાળક થોડું મોટું થતા સાયકલ ઉપર આવતું જતું થતું હોય છે. અંગ્રેજી માધ્યમને કારણે ખાનગી ટ્યુશન અનિવાર્ય બન્યુ હોય તે ટ્યુશનમાં પણ લેવા- મૂકવા આવો જ ક્રમ ગોઠવાતો હોય છે .અને બાળક નિર્દોષ ભાવે આવી અસમાનતા જોતો રહેતો હોય છે. અને ક્યારેક પોતાના મા કે પિતાને આ ભેદ ભાવ વિષે પૂછ્તો પણ હોય છે. અને ત્યારે આ આર્થિક અસમાનતા બાળકને સમજાવવી તે મા-બાપ માટે અતિ કઠિન બની રહેતી હોય છે. અરે ! કેટલાક મા-બાપ પણ લઘુતા ગ્રંથીના શિકાર બને છે અને જો તક મળેતો આવા ખર્ચને પહોંચી વળવા કોઈ પણ ગેરરીતિ કરતા અચકાતા નથી. લાંચ અને ભ્રષ્ટાચાર વધવાનું આ પણ એક મુખ્ય પરિબળ છે જે આખરે તો સમ્રગ સમાજને જ ભ્રષ્ટ અને ચારિત્ર્યહિન બનવા તરફ દોરી જતો હોય છે..

*** આ ઉપરાંત એક અન્ય પરિબળ પણ જાણ્યે અજાણ્યે મધ્યમ વર્ગના પરિવારને આવી ખર્ચાળ શાળાઓમાં બાળકને પ્રવેશ અપાવ્યા બાદ પરેશાન કરતું રહેતું હોય છે અને તે છે જેમને ન્યુ રીચ ફેમીલી તરીકે ઓળખવામાં આવી રહેલ છે તેવા ફેમીલી કંઈકને કંઈક બહાના હેઠળ અવાર નવાર પાર્ટીઓનું આયોજન કરતા રહે છે .જેમાં વિશેષ કરીને પોતાના બાળકની બર્થ્-ડે ની પાર્ટીમાં તેની સાથે એક જ વર્ગમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકોને પણ નિમંત્રણ આપતા રહે છે. આવી પાર્ટીઓ કોઈક મોટી હોટેલમાં કે પાર્ટી હોલમાં ગોઠવાતી હોય છે ,અને અતિ ખર્ચાળ પણ હોય છે. જે પાર્ટીઓમાં હાજરી આપતી સમયે કંઈક ગીફ્ટ પણ લઈ જવી પડતી હોય, અને આ સમાજમાં સસ્તી ગીફ્ટ તો આપી ના શકાય અને તેથી મોંઘી ગીફ્ટ માટે રકમ ફાળવવી પડતી હોય માસિક બજેટ અસ્તવ્યસત થઈ જતું હોય છે. આ સિવાય કેટ્લાક તો આવી પાર્ટીમાં પણ ક્યારેક ડ્રેસ કોડ પણ રાખતા થયા છે. મને ખબર છે કે અમારા જ એક મિત્રએ આવી ડ્રેસકોડ અને તે પણ ( બોલીવુડ જેવો )સાથે પાર્ટી યોજેલી. આવા મા-બાપ 8-10 વર્ષના બાળકોને કયો સંદેશો આપી રહ્યા છે ? આ પાર્ટીમાં જવાનું ટાળવું પડેલુ. આવી હોટેલમાં કે હોલ કે ઘરે પણ યોજાતી પાર્ટીઓમાં પીરસાતા સ્નેકસ્/જમવાના એક પ્લેટના રૂપીયા અંદાજે 125/-થી 250/ સુધી જતા હોય છે.

*** આવી પાર્ટીમાં જે બાળકો ભાગ લેવા જાય છે તે ઘરે આવી મા-બાપને પોતાના બર્થ્-ડેની પણ આવીજ પાર્ટી યોજવા જણાવે તે ખૂબ સ્વાભાવિક છે અને મા-બાપ આ કરી શકવા સમર્થ નથી તેવી સમજ બાળકમાં હજુ પ્રગટ થઈ હોતી નથી. પરિણામે મા-બાપને બાળકને સમજાવવું ખૂબ કઠિન બની રહે છે અને તેથી બાળક સહિત મા-બાપ પણ લઘુતા ગ્રંથીનો ભોગ બનતા રહે છે.

*** ઉપરોક્ત બાબતો વાંચી કોઈને પણ પ્રશ્ન થાય કે આ બાબતો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસને શું સંબંધ છેં ? તેના જવાબમાં એટ્લું કહેવાનું કે અંગ્રેજી માધ્યમ સાથે જ જે કલ્ચર જાણ્યે-અજાણ્યે આપણે અપનાવી રહ્યા છીએ તેની આ આડ પેદાશ જ છે અને તે વિષે કોઈ પણ આંખ મીચાંમણા ના કરી શકે.

*** એક બીજો પણ અણીયારો પ્રશ્ન મારે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસને વ્યાજબી ઠરાવતા મા-બાપને પૂછવો છે કે, આપ આપના બાળક પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો ? આપ એને શું બનાવા માંગો છો ? આપ તેના ઉપર બાળપણથી જ અભ્યાસનો અમાનુષી બોજો નાખી શું સિધ્ધ કરવા જઈ રહ્યા છો ? બાળકનું બાળપણ છીનવી રહ્યા છો અને તેને માત્ર એક ( TOOL ) સાધન તરીકે ઉછેરી રહ્યા હો તેમ લાગ્યા કરે છે. માફ કરજો પણ મને તો ક્યારે ક આજના આ મા-બાપો જ ખરા આતંક વાદી લાગે છે ! ! !

*** હું જાણું છું મારા પ્રશ્નના જવાબમાં મને કહેવામાં આવશે કે આપણા જમાનામાં આટલી હરીફાઈ નહિ હતી ,અને હવે આ જમાનો તીવ્ર હરીફાઈનો હોય જો બાળક તેની સાથે કદમ નહિ મીલાવે તો ટકી નહિ શકે. માટે એને એ રીતે તૈયાર કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. બાળકને મોટા થઈ શું બનાવા વિચાર્યું છે તેના જવાબમાં 90% મા-બાપ ડૉકટર્/ એંજીનીયરની જ વાત કરશે. અને તે માટે અંગ્રેજી માધ્યમ જ હોવું અનિવાર્ય પણ ગણાવશે !

*** હવે જો વાસ્તવિક રીતે જોવા જઈએ અને આ વિષેના આંકડા તપાસી એ તો જણાશે કે, આ માટે લેવાતી પરીક્ષા અને તેમાં બેસતા પરીક્ષાર્થીઓની સંખ્યા અને તેની સામે સીટોની સંખ્યા એટલી તો ઓછી હોય છે કે તેમાં પ્રવેશ મેળવવો તે અત્યંત કઠિન બની રહે છે.

*** આ માટે તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા આંકડા તપાસતા જાણવા મળે છે કે દેશની શ્રેષ્ઠ એંજિનીયરીંગ કોલેજ આઈઆઈટીમાં પ્રવેશ મેળવાવા માટે જે 60 વિધાર્થીઓ જોઈંટ એંટ્રસ એક્ક્ષામ આપે છે તેમાંથી માત્ર 1 પાસ થાય છે જ્યારે બાકીના 59 ને તનતોડ મહેનત કરવા છતાં પ્રવેશ મળતો નથી. આવીજ પરિસ્થિતિ અન્ય અભ્યાસ ક્ર્મોમાં પ્રવર્તે છે.

*** આના કરતાં ઉતરતી એંજિનિયરીંગ કોલેજો માટે એંટ્રસ પરીક્ષા લેવાય છે .ગયે વર્ષે આ પરીક્ષામાં આશરે અઢી લાખ વિધાર્થીઓ એ આ પરીક્ષા આપેલી .જેમાંથી 7500 વિધાર્થીઓ પાસ થયેલા અર્થાત દર 33 વિધાર્થીઓએ માત્ર એક જ વિધાર્થી પાસ થયેલ. જે મા-બાપ પોતાના બાળકોને બચપણથી જ ટેકસ્ટ બુકો-દફતર્-હોમવર્ક્-ટ્યુશન અને પરીક્ષાના બોજા હેઠળ સતત કચડતા રહે છે તેમને ખબર છે ખરી કે આ બાળકે ભવિષ્યમાં એક એવી પરીક્ષામાંથી પસાર થવાનું છે કે જેમાં દર 60 કે 33 માંથી એકજ પાસ થાય છે ? અને બાકીના જે ફેલ થાય છે તેમની વર્ષોની જહેમત પાણીમાં જવાની છે અને સાથોસાથ આજ સુધી એ માટે મા-બાપે કરેલો ખર્ચ પણ્ પાણીમાં જાય છે અને બંને હતાશાના શિકાર બને છે તે નફામાં.

*** એંજીનીયરીગની આવી પરિસ્થિતિ છે તો મેડિકલની કદાચ તેના કરતાં પણ બદતર છે. ગયા વર્ષે સીબીએસઈના આશરે 1.70.000/- એક લાખ સીતેર હજાર વિધાર્થીઓએ મેડિકલ અને ડેંટલમાં પ્રવેશ માટેની પરીક્ષા આપી હતી અને માત્ર 1600 વિધાર્થીઓને જ પ્રવેશ મળ્યો હતો. આમ એક બેઠક માટે 100 કરતાં પણ વધુ વિધાર્થીઓ અહિ સ્પર્ધામાં હતા.

*** આવું જ કંઈક સરકારી નોકરીમાં ઉચ્ચ હોદા મેળવવા માટે પણ સ્પર્ધાનો સામનો કરવો પડતો હોય છે. આ ક્ષેત્રમાં આઈએએસ-આઈપીએસ અને આઈએફએસની સૌથી વધારે જરૂરીયાત રહેતી હોય છે. ગયા વર્ષે આ પ્રકારના હોદાઓ માટે આશરે બે લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપેલી જેની સામે માત્ર 385 જગ્યાઓ ભરવામાં આવેલી.

*** આજ રીતે રીઝ્રર્વ બેંક અને અન્ય બેંકોમાં કારકૂનની નોકરી મેળવવા કૂલ જગ્યા 200/500ની સામે અંદાજે 6-7 લાખ ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે. અન્ય સરકારી નોકરી જેવીકે કારકૂન કે પટાવાળા જેવી તદન નીચી કક્ષાની નોકરી મેળવવા માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો લાઈન લગાડતા હોય છે. અને નોકરી તો માત્ર 1000 ઉમેદવારને જ નસીબ થતી હોય છે.

*** આવી કઠોર વાસ્તવિકતાથી સભાન નવ્-દંપતિ બાળક જ નહિ તેવી લાઈફ સ્ટાઈલ અપનાવી લે છે. અને જ્યારે બાળક વગરનું જીવન ના ગમે ત્યારે વહાલ ઠાલવવા કૂતરું કે બિલાડી પાળવા લાગે છે.

*** કેટલાક દંપતિઓ વન ચાઈલ્ડ અર્થાત એક જ બાળક પેદા કરે છે જેથી બાળકના ઉછેર અને અભ્યાસના થનારા ખર્ચ અને પોતાની લેટેસ્ટ લાઈફ સ્ટાઈલના ખર્ચને પહોંચી વળી શકાશે તેમ માનતા રહે છે. એ પણ નરી હકિકત છે કે હાલની જીવન પધ્ધ્તિએ અગાઉની જીવન શૈલીને સમૂળી બદ્લી નાખી છે. !

*** જે ગઈકાલની લક્સરી ગણવામાં આવતી તે આજની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકી છે .એટલું જ નહિ પણ દિન પ્રતિ દિન નવી નવી જરૂરિયાતો વધી રહી છે જે આખરે દેખાદેખી અને આંધળા અનુકરણમાં, તેમજ સમાજમાં પોતાનો મોભો ( STATUS ) અન્યની સરખામણીમાં ઉતરતો નથી ,તેવું દેખાડવા અનેક પ્રકારના બીન જરૂરી ખર્ચ તરફ આ વૃતિ જાણ્યે-અજાણ્યે દોરી જતી જોવા મળે છે પરિણામે બચત થતી હોતી નથી અને કરજ વધ્યે જતું હોય છે. અને તેથી સતત તનાવ ભર્યું જીવન બની રહે છે.

*** પોતાની ઈચ્છા કે બાકી રહી ગયેલ મહત્વાકાંક્ષા બાળકમાં આરોપી પૂરી કરવાનું ભારણ બાળકના મગજમાં એ હદે ભરી દેવામાં આવે છે કે જો બાળક તેમાં નિષ્ફળ જાય તો એ હદ સુધીની હતાશા અનુભવે છે કે પોતાને મા-બાપનો ગુન્હેગાર માનવા લાગે છે અને કેટ્લાક આત્મહત્યા કરી લે છે તો કેટ્લાક નાસી જાય છે અથવા ખોટા રવાડે ચડી જતા હોય છે. અને કેટ્લાક મા-બાપ તેની પાછળ કેટ્લો ખર્ચ કર્યો કે તેઓએ ભોગ આપ્યો તેવા મ્હેણાં-ટોણાં મારી હતાશા તરફ ધકેલતા રહે છે.

*** આને બદલે શરૂઆતથી જ બાળકની સક્ષમતા અને વલણ કે ઝુકાવ ( APTITUDE ) જાણી ,કોઈ વ્યવસાય લક્ષી અભ્યાસ કરાવામાં આવે તો છેક કેજી થી શરૂ થયેલું ખર્ચ કે જે બાળક અભ્યાસ પૂરો કરી લે ત્યાં સુધીમાં કદાચ લાખો રૂપિયા થતો હશે તેમાં થી અર્ધું તો જરૂર બચે ! અને તે નવો વ્યવસાય શરૂ કરવામાં ઉપયોગી થઈ પડે. કમનસીબે આપણા સમાજમાં કેટ્લાક વ્યવસાયને હલકા ગણવામાં આવે છે અને પરિણામે બાળક બેકાર રે તે મંજૂર રાખી તેને તેની પસંદગીનો વ્યવસાય કરવા દેવામાં આવતો નથી.

*** કોઈ પણ વ્યવસાય શરૂ કરવામં ક્યારેય ભાષા અવરોધ રૂપ થતી નથી. માત્ર વ્યકતિની કાબેલીયત અને તેની સૂઝ જ વ્યવસાયમાં સફળતા તરફ દોરી જાય છે. મેં એવા અનેક ઉધ્યોગ પતિઓ જોયા છે કે જેમને પોતાની સહી કરતા પણ નહિ આવડતી હોવા છતાં અને માત્ર બ્રાસ-પાર્ટના કારખાનામાં થડા ઉપર કારીગર તરીકે કારકીર્દિ શરૂ કરનાર સમય જતાં પોતાની આવડત અને કૂનેહ ને કારણે ખૂબજ ટૂંકા સમયમાં કારખાનાના માલિકો બની ગયા હોય . અને આજની તારીખે મોટી ફેકટરીઓ ધરાવનાર બની રહ્યા હોય્ !!

*** આવનારા દિવસો અત્યંત કપરા આવવાના એંધાણ તો વર્તાય રહ્યા છે. ત્યારે અંગ્રેજી માધ્યમનું આંધળું અનુકરણ કરી માત્ર એક મોભા ( STATUS ) ખાતર કે સમાજમાં અને પોતાના વર્તુળમાં અમારું બાળક પણ અંગ્રેજી માધ્યમમાં ભપકાદાર સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમ કહેવડાવવું અને પોતાનો અને બાળકનો વર્તમાન સખ્ત તનાવ ભર્યો રાખવો કે બાળકને સહજ રાખી અભ્યાસ કરાવી કોઈ પણ વ્યવસાયલક્ષી કોર્સ કરાવવો , તે બે પૈકી, એક ની પસંદગી કરી લેવા, ગંભીર વિચારણા માંગી લે છે. બીજું આપણો અને સમ્રગ સમાજનો અભિગમ તમામ પ્રકારના વ્યવસાયને માન અને આદરથી જોવાની દ્રષ્ટિ કેળવવી પડશે.

*** ઉદાહરણ તરીકે જો કોઈ બાળક કહે કે મારે તો હેર્-કટીંગનો અભ્યાસ કરવો છે કે હૉટેલના વ્યવસાયમાં પડવું છે. ત્યારે મા-બાપ આવા વ્યવસાયો હલકા ગણી તે શરૂ કરવાનો ઈંકાર કરતા જોવા મળશે.. આજે આવા પ્રકારના અનેક વ્યવસાયમાં જો બાળકમાં સક્ષમતા હશે તો સફળ બની ધરખમ કમાણી કરી શકવાની શક્યતાઓ ભરપૂર રહેલી છે. હું શાક્ષી છું કે મજ્બૂરી થી શરૂ કરેલી અને મર્યાદિત વ્યકતિઓ પૂરતી જ ટિફિન પહોચાડવાની પ્રવૃતિ દિવસો જતાં એટ્લી ફાલી-ફૂલી કે આખરે તે શહેરની પ્રતિષ્ઠત હોટેલમાં ફેરવાઈ ગઈ ! આવા તો અનેક ઉદાહરણો મળી આવશે. અને તેથી જો આપણા સહિત સમગ્ર સમાજની કોઈ પણ વ્યવસાયને મૂલવવાની અને માન આદરથી જોવાની માનસિકતા કેળવાય તો અનેક પ્રકારના વ્યવસાય શરૂ કરી શકવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. અને મને કહેવાદો કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો હોવા છતાં અનેક યુવકો અને યુવતીને આવો વિકલ્પ સ્વીકારવાની- જ્યારે કોઈ જગ્યાએ પ્રવેશના મળે કે નોકરી ના મળે ત્યારે- ફરજ પડતી જ હોય છે.

*** આ અગાઉના મારા વિચારોમાં મેં સ્પષ્ટતા કરેલી જ છે છતાં ફરીને કોઈ ગેર સમજ ના થાય માટે પુનરાવર્તન થતું હોવા છતાં મને કહેવા દો કે હું કોઈ પણ ભાષા શીખવાનો-જાણવાનો વિરોધી નથી જ નથી. સાથો સાથ માત્ર ગુજરાતી જ ગુજરાતી ,માટે ,રણહાક બોલાવતો ભાષા ભકત કે અસ્મિતા ભક્ત પણ નથી. અંગ્રેજી પ્રત્યે કોઈ પૂર્વ ગ્રહ પણ નથી. આજના સમયમાં અંગ્રેજી જાણવું અનિવાર્ય બની રહ્યું હોઈ તે વિષે આંખ્-મીંચામણા કે અવગણના પણ નહિ કરવી જોઈએ તેવી દ્ર્ધ માન્યતા ધરાવું છું. સાથોસાથ અંગ્રેજી શીખવા માટે તે માધ્યમ જ બની રહે તો જ શીખી/જાણી શકાય તે વાત્/વિચાર મને મંજૂર નથી. કોઈ પણ ભાષા ખરા અર્થમાં શીખવી/જાણવી હોય તો તેમાં રસ પેદા કરવો પડે અને કોઈ સંજોગોમાં બોજો /ભારણ નહિ બની રહેવું જોઈએ તો જ શીખી/જાણી શકય તેમ પણ દ્રધ રીતે માનું છું ! જ્યારે કોઈ પણ બાબત કોઈ પણ વ્યક્તિ ઉપર ઠોકી બેસાડી શીખવાની ફરજ પાડવામાં આવે ત્યારે તેની મનોમન પ્રતીક્રિયા વિરોધી રહે છે અને તે સ્વેચ્છાએ સ્વીકારતો ના હોય તેમાં મન લાગતુ હોતું નથી. એક પ્રશ્ન એવા મા-બાપને કે જે અંગ્રેજી માધ્યમમાં જ બાળકે અભ્યાસ કરવો જોઈએ તેવું ધરાર માનતા હોય છે તેમને યાદ આપવાની લાલચ રોકી શક્તો નથી. આવા મા-બાપના જીવનમાં તે જ્યારે બાળક હશે ત્યારે તેમના મા-બાપે પણ ક્યારેક તેમને રસ ના પડ્તો હોય તેવી પ્રવૃતિ કરવાની ફરજ પાડી હશે ત્યારે તેમની કેવી પ્રતિક્રિયા રહેલી તે મનોમન યાદ કરી લે તો મારી વાત સ્પષ્ટ સમજાય જશે.

*** ટૂંકમાં ખરેખર બાળકને અંગ્રેજી શીખવવું જ હોય તો તેને તેમાં રસ લેતો કરવો રહ્યો . હું દ્રધ રીતે માનું છું કે અભ્યાસના માધ્યમ તરીકે રસ લેતો કરવો તે સાચો રસ્તો નથી. તેને એક મહત્વની ભાષા તરીકે ગણાવી શીખવવામાં આવશે તો તે અચૂક તેમાં રસ લેતો થશે અને મને ખાત્રી છે કે તેનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ,અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલા વિધાર્થી કરતા વધારે સારું હશે !!

*** ખાસ કરીને આપણી ગુજરાતીઓની માનસીકતા અંગ્રેજી ને બુધ્ધિ માપવાનું યંત્ર/સાધન ગણવાની રહી છે ,તે ને જડમૂળથી ઉખેડી ફેંકી દેવાની આવશ્યકતા છે. આપણું ગુજરાતી તરીકેનું સ્વત્વ અને સ્વમાન જગાડ્વું જ રહ્યું .અને વિદેશની કઈ બાબતોનું અનુકરણ કરવું અને કઈનું નહિ તે વિવેક બુધ્ધિ પણ જાગૃત કરવાની આ “ગુજરાતી બચાવો” અભિયાન સાથે જ ઝુંબેશને સામેલ કરવી રહી…

*** અંતમાં પણ આખરી નહિ, આ ગુજરાતી બચાવો અભિયાન શરૂ કરનાર એટ્લી કાળજી તો અચૂક રાખશે જ કે ,આ અભિયાનમાં સક્રિય રીતે જોડાનારા, પ્રવચનો આપનારાઓમાંના કોઈના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ ના કરતા હોય કે વિદેશમાં અભ્યાસ ના કરતા હોય ! તથા રખે ને આ અભિયાન નો દોર કોઈ રાજકારણીના હાથમાં ના ચાલ્યો જાય !. અને તેથી આ અભિયાનના આયોજકોએ સતત સતર્ક અને સ્ભાન રહેવું પડ્શે કે રખે ને આ સમગ્ર અભિયાન નો દોર આવા કોઈ તત્વનો હાથમાં ચાલ્યો ગયો તો આ અભિયાનનું બાળ-મરણ થઈ જશે તેવી મને ભીતિ લાગી રહી છે.!

અસ્તુ.

50 comments

  1. અરવિંદ કાકા હું આપના લેખ થી હું સહમત છું.
    અને આવી ગુજરાતી ભાષા જૂનુની વ્યક્તિ મળવી આજકાલ દુર્લભ થઇ ગઈ છે.
    મારુ શિક્ષણ મારા સ્વર્ગવાસી પિતાજી ના હઠ ને લીધે, અને મારા સદ્નસીબ ને લીધે ગુજરાતી માધ્યમ દ્વારા થયું છે.
    પરંતુ મારુ શિક્ષણ પત્યું ત્યાં સુધી મારા શહેર ની (મુંબઈ) ઘણી ખરી ગુજરાતે શાળાઓ પણ સ્વર્ગવાસ પામવા મંડી. અને હવે ભવિષ્ય માં મારા બાળકો ને પણ ગુજરાતી શાળા માં જ્ઞાન અર્જિત કરવા પ્રવેશ આપું એવી મારી પ્રબળ ઈચ્છા અને મારુ સ્વપ્ન પણ મારણ પામતું થયું છે. આ એક પરિબળ પણ અંગ્રેજી માધ્યમ તરફ પ્રયાણ કરવા માતા પિતા ને મજબુર કરે છે.
    તમારા અનુભવ માંથી આ મુશ્કેલી તરફ એક માર્ગદર્શન મળે એવી ઈચ્છા છે.

    તમારા ઉત્તર ની અપેક્ષા રાખું છું.
    કપિલ રાઠોડ

    Like

    1. ભાઈશ્રી કપિલ,

      આપ મારાં બ્લોગ ઉપર આવ્યા આભાર. આપને જવાબ લખવમાં મારી ના દુરસ્ત તબિયતને કારણે વિલંબ થયો છે તો દરગુજર કરશો.

      આપે પ્રસ્તુત કરેલી સમસ્યા વિષે વિચારતા આપ જ્યાં રહો છો ત્યાં સારી ગુજરાતી માધ્યમની નિશાળ ના હોય તો કોઈ સારા ગજરાતી જાણતા શિક્ષકનું ટ્યુશન રાખી ગુજરાતીનું બાલકોને જ્ઞાન અપાવવુ રહે, જે રીતે અંગ્રેજીના સિક્ષકનું ટ્યુશન રાખી અંગ્રેજીનું જ્ઞાન આપતા રહીએ છીએ, બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય તો પણ આવો ખર્ચ અનિવાર્ય બની રઅહે છે જે આપ જાણતા જ હશો તેમ ધારું છું. ફરીને વિલંબ થવા બદલ દરગુજર કરશો. બ્લોગની મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો જણાવત્તા રહેશો મને ખૂબા જ આનંદ થશે.

      ગઈકાલે જ અત્યારના ગણેશના માહોલ વિષે ” ગણપતિ ” ઉપર મારાં વિચારો દરશાવ્તો લેખ મૂકયો છે જરૂર વાંચશો અને પ્રતિભાવ પણ જણાવશો.

      શુભેચ્છાઓ સાથે,

      આપનો ભવદીય

      અરવિંદ

      Like

    1. આભાર, કલ્પનાજી ! આપને લેખ ગમ્યો તે જાણી ખુશી થઈ. ફરી પણ અનૂકુળતાએ મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવતા રહેશો તો મને આનંદ થશે,

      Like

  2. પ્રિય અરવિંદભાઈ
    આપનો આ લાંબો લેખ પણ મને વાંચવામાં ટુંકો લાગ્યો . હું તો એવું માનું છું કે બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા જોઈએ અંગરેજી આ જમાનામાં બહુ જરૂરી છે એવાત માની પણ એતો બીજી ભાષા તરીકે શીખી લેવાય .પણ ઇંગ્લિશની પકડ એટલી જોરદાર છે કે વર્ણન થઇ શકે એમ નથી . હું 40 કરતાં વધુ સમય થી અમેરિકામાં રહુ છું . છેલ્લા વીસેક વરસથી એકલો રહુ છું .અંગ્રેજી તો મારે બોલવું પડતું હશેજ ને ? પણ હું મારા ગામડાની ભાષા પણ ભુલ્યો નથી . બે વરસ પહેલા હું દેશમાં ગયેલો . ત્યારે કેટલાક ઉત્સાહી જુવાનો મારી સાથે ઈંગ્લીશ બોલવા મંડેલા હું દેશમાં મિત્રો સાથે વાતો કરવામાં ભૂલથી પણ ઈંગ્લીશ શબ્દ ન બોલી જવાય એની કાળજી રાખતો હતો . એક છોકરે મને પૂછ્યું કે દાદા તમને ઈંગ્લીશ બોલતા આવડે છે ? અરે દેશીંગાની એક છોકરીએ મારી સાથે ઇંગ્લીશમાં વાત કરી . હું તેઓના મને ઈંગ્લીશ આવડે છે ?એ પ્રશ્નના જવાબમાં ઉત્તર આપતો કે મને થોડું ઘણું કામ ચલાવ ઈંગ્લીશ આવડે છે .

    Like

  3. પ્રિય અરવિંદ ભાઈ
    પ્રારંભિક શિક્ષણ તો પોતાની માતૃ ભાષામાંજ હોવું જોઈએ એવું હું દૃઢ પણે માનું છું . ઈંગ્લીશ વગેરે બીજી ભાષાઓતો
    પછી જરૂર પડ્યે શિખાઈ જવાતી હોય છે .

    Like

  4. પ્રિય અરવિંદ ભાઈ તમે મારી વાતો વાંચો છો એથી મને ખુશી થાય છે . મેં મારા ગામડાનો ઈતિહાસ લખ્યો છે એની રીતેશ મોકસના નામનો યુવક બુક છપાવવાનો છે .

    Like

  5. રીતેશે દેશીંગા ના ઇતિહાસની મેં “આતાવણી” માં લખેલું એના ઉપરથી બુક બનાવવાનો છે . મેં એને કીધું કે હું તુને ખર્ચો આપીશ તો રીતેશ બોલ્યો . બુક સરસ બનશે ..આ બુકતો આતા ને અર્પણ હોય આતા પાસેથી પૈસા લેવાના ન હોય . રીતેશે આ પહેલાં પણ મુવી બનાવતી વખતે મારા ઉપર એવી તો ગહરી છાપ પાડી કે રીતેશ માટે મારા હૃદયના દ્વાર ઉઘડી ગયા અને રીતેશ અંદર આવી ગયો . અને મારું હૃદય પણ વિશાળ કરી નાખ્યું , કે જેથી કરી મૌલિક ભાઈ જેવા પણ પ્રવેશ કરી શકે તમારા જેવા પ્રેમાળ ભાઈઓનો પ્રેમ મને જલ્દી સારો કરી દેશે .

    Like

  6. પ્રિય અરવિંદ ભાઈ
    તમારા લખાણો મેં વાંચ્યા છે . અને કોમેન્ટ પણ આપી દીધેલી છે।
    એ બાબત મારે શું લખવું એ હું વિચારું છું .
    મારા લખાણ વિષે બે શબ્દ તમે લખતા હો તો હું એના વિષે જવાબ હું આપી શકું .આતો તમે મારું શીર્ષક વાંચીને ઇંગ્લીશમાં ફક્ત એટલુંજ લખો કે” પ્રીટી અવેસમ “અને હવે તમે મારું લખાણ વાંચો એપણ તમને ગમશે આનો અર્થ હું એવો સમજુ કે હું તમારા ખીસામાં ઉંદરડીની નાની પૂંછડી ઘાલું અને તમે મારા ખિસ્સામાં દોઢ વાંભનું ઘોડાનું પુંછડું ઘાલી દ્યો . તમને માઠું લાગ્યું હોય તો આ બાબત મારે શું કરવું ?

    Like

  7. આદરણીયશ્રી. મુ. અરવિંદભાઈ

    આપનો લેખ અને તેના કોમેન્ટસ વાંચીને ઘણું જ જાણવાનું મળ્યુ.

    મારા મતે એક જ વાક્યમાં જવાબ આપવાનો હોય તો …..!

    ” બાળક જે ભાષામાં સૌ પ્રથમવાર ” મા ” શબ્દ બોલે તે ભાષામાં

    શિક્ષણ આપવું જોઈએ.”

    Like

  8. Arvindbhai,

    Very good thoughts.Here is my opinion.

    It does not matter, what’s the medium of study as long as standard subjects and examination methods are same in both mediums. English medium school should teach Gujarati as one subject through out all school years and Gujarati medium school should do the same with English.

    How about Hindi???Oh….. our Rashtrabhasha??? What does Indian constitution say about this?

    First of all India needs simple national language script and that is Gujarati script.

    English is an international language but we are forced to study in cluttered Hindi which is non technical and it’s script is not computer-usable simple like Gujarati. Hindi states taught us Hindi in our own school at our own expense. why we can’t teach them a simple Gujarati script.Why not convert all Hindi school books in Gujarati script and publish Hindi papers in Gujarati Script.

    If we can write Sanskrit in Gujarati why not Hindi?

    As you know China has simplify it’s language to make it computer usable.Also most of European countries and other world countries use English Script for their national languages.

    It’s good to learn English along with mother language to understand world better.If we don’t teach English/Gujarati to our children who is going to translate all books for our schools?How we know it’s correct translation without other’s opinions?

    In the near future all the world languages will be inter-translatable through computer.If any language is not translatable may get lost for ever.Gujarati media is very behind in promoting Gujarati Script.

    http://kenpatel.wordpress.com/
    http://saralhindi.wordpress.com/

    Like

  9. Thank you, Sir !!!! I am so much relieved after reading your article ! I am an asst prof in one of the reputed engg colleges and my husband is a surgeon-doctor. Our 5-year old son studies in gujarati medium.
    We were quite in dilemma when we had to take decision about the medium of study. So many people around us try to make us repent for our decision, and sometimes I am compelled to think also, whether I have taken correct decision for my kid or not !
    Your article is indeed a great help to me, I am more firm about what we thought 3 years back.
    Keep writing, sir ! It would help people like me!

    Like

    1. ઉર્વીજી
      આપે બ્લોગની મુલાકાત લીધી અને સુંદર પ્રતિભાવ જણાવ્યો, ખૂબ ખૂબ આભાર. શિક્ષણના માધ્યમ વિષે આપના વિચારોને મારાં વિચારો દ્વારા બળ મળ્યું તે જાણી વધુ ખુશી થઈ. માત્ર સમાજ્માં પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યું છે તેવો મોભો પ્રદર્શિત કરવા જે મા-બાપો બાળકના ભવિષ્ય સાથે ચેડાં કરે છે તેઓને બાળક પુખ્ત થયા પછી જો જીવનમં સફળતા ના મળી તો ક્યારે ય માફ નહિ કરે તે ચોક્ક્સ વાત છે. ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી પ્રદિપસિંહજી
      આપ બ્લોગ ઉપર પધાર્યા અને મારી વાત ગમી તે જાણી આનંદ સાથે આપનો આભાર ! ચાલો આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈ તેજસ
      આપે બ્લોગની મુલાકાત લીધી અને એકી સાથે ત્રણ લેખ ઉપર પ્રતિભાવો આપ્યા ( 1 ) માતૃભાષા ( 2 ) ગુજરાત બિહાર બની——- ( 3 ) વહુ દિન —– વિષે આભાર ! માતૃભાષામાં શિક્ષણ મેળવવું સહેલુ અને સરળ બની રહે જેમાં કોઈ મતભેદ ના હોવા છતાં આજના મા-બાપ દેખા દેખી અને સમજમાં મોભો મેળવવા બાળકોને ફરજિયાત અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવે છે જે આપણી ગુલામી માનસિકતા સીવાય બીજું કંઈ નથી. અંગ્રેજી ભણાવનાર શિક્ષકનું અંગેજી મોટે ભાગે રેઢિયાળ હોય છે સાથોસાથ મોટાભાગના મા-બાપો પણ અલ્પ જ્ઞાન્ અથવા બિલકુલ જ્ઞાન ધરવતા હોતા નથી અને તેથી આવી થઈ પડેલી અંગ્રેજી માધ્યમની શાળાઓનો ધંધો પૂર જોશમાં ચાલ્તો રહે છે. ( 2 ) જે રીતે અપરાધ/ગુન્હાનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે તે જોઈ ડર લાગે છે કે ગુજરાત પણ બિહારમાં વ્યાપેલી ગુન્હાખોરી તરફ આગળ તો નથી વધી રહ્યું ને ? કેટલીક વાર ભય લાગે છે કે ગુજરાતના મુ.પ્ર. પોલીસ તંત્ર ઉપરનો કાબુ ગુમાવ્યો છે. નહિ તો પોલીસ કે તેના મલતીયાઓને આરટીઓ વાહન માટે નંબર પ્લેટ આપે છે તે લાલ્/બ્લ્યુ રંગમાં બનાવવાની કે વાહન ઉપર સાંકેતીક નામો જેવા કે સરકાર, જય આશાપુરા, જય માતાજી, ખોડિયાર કૃપા, માં, વગેરે ચીતરાવવાની કોઈની હેસિયત કે હિમત કેમ થઈ શકે ?
      ( 3 ) આપની વાત સાચી છે હજુ પણ અનેક પરિવારો સંયુકત રીતે રહે છે અને વહુ-સાસુના સંબંધો મા-દીકરી જેવા જ જોવા મળે છે પરંતુ આ સંબંધો વધુ પરિવારોમાં ફેલાય અને સંયુકત પરિવારો સુદ્ર્ધ બને તે માટે મેં સુચન વહેત્તું કર્યું છે કે વર્ષમાં એક વાર સાસુ દિન અને એક વાર વહિ દિન તરીકે ઉજવવો શરૂ કરવો જોઈએ.
      ફરી આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  10. Namaskar….

    sauthi prathan hu/ ame aapni dirgh ayu ane tandurasti matlab nirogi jivan ni prabhu ne hyadyathi prarthana….

    aapni vaat bilkul sachi chhe k balak potani matrubhasha ma jetlu saralta thi samji, shikhi sake te beji bhasha ma samjvu, shikhvu aetlu saral nathi…

    aa eng med. na pravah ma ghani vakhat ghana family chahe to pan kutumb, relative, family members guj. ma mukva taiyar thata nathi ane ma-baap a na chhutke eng med. ma mukva pade chhe..

    mari moti bebi std. 9 ma guj med. ma bhane chhe….

    jyare nani bebi ne eng. med. ma mukvi paid te haal ma std.1 ma chhe..

    tame khub saru kam kari rahya chho.. prabhu tamari kalam vadhe ne vadhare chotdar banave…

    hu matrubhasha nu mahatva nu thodu sahitya bhegu kari rahyo chhu to jarur pade, aapni anukulta hashet to tamari madad laish

    farithi khub khub dhanyavad….

    -Priyesh GAndhi

    Like

    1. શ્રી પ્રિયેશ ભાઈ
      સૌ પ્રથમ આપનો હાર્દિક આભાર આપની શુભેચ્છાઓ માટે ! આપ મારી વાત સમજ્યા છો તે જાણી આનંદ. આમ છતાં આપે જણાવ્યા પ્રમાણે આપની નાની દીકરીને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા દાખલ કરેલ છે તે હું સમજું છું ત્યાં સુધી કદાચ આપની મજબુરી બની હશે ! હું જાણું છું કે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમ માટે પાગલ પણાં જેટલી ઘેલછા અને તે પણ ખાસ કરીને સ્ત્રીઓમાં પ્રવર્તે છે ! અને મારા તમારા જેવા લોકોએ રોજ નો કકળાટ ટાળવા આ સ્વીકારવું પડતુ હોય છે. હું દ્રધ રીતે માનું છું કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવી મા-બાપ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ક્રે છે અને જેની ખબર આવનારા 20 વર્ષ બાદ સમજાશે ! અંગ્રેજી જરૂર શીખવાડો પણ એક ભાષા તરીકે નહિ કે અભ્યાસના માધ્યમ તરીકે ! ખેર આ ચર્ચા અંતહીન હોય વધુ લખતો નથી. ફરીને આપ મારાં બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ જણાવ્યો તે બદલ આભાર ૴ અન્ય વિષય ઉપરના પણ આપના પ્રતિભાવો જાણવા ઉત્સુક રહીશ ! અને આપને જે કોઈ મદદ કે સહાયની જરૂર હોય તે અલબત્ત મારી મર્યાદામાં રહી આપ માગશો ત્યારે આપીશ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. જયાજી
      આપ મારાં બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપની વાત સાચી છે આજે સ્વતંત્ર રીતે વિચરવાને બદ્લે માત્ર દેખા દેખી વધુ ચાલે છે ! બાળકની રસ રૂચી કરતાં મા-બાપની ઈચ્છા સર્વોચ્ચ બને છે અને તે પણ મા-બાપ પોતાના વર્તુળમાં માભો મારવા અર્થાત સ્ટેટસ માટે બાળક્ના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય છે અને પરિણામે આપણે વાંચીએ છીએ પરીક્ષા અને પરીક્ષા બાદ બાળકોની આત્મહત્યાના વધતા જતા આંકડાઓ ! એક અહેવાલ પ્રમાણે 1998-99માં વિધાર્થીઓએ 800 ની સંખ્યામાં આપઘાત કરેલા તે સંખ્યા 2007 -2008માં વધીને 5857 સુધી પહોંચી ગઈ છે. 2008-2009ના આંકડા ઉપલબ્ધ નથી પણ તે આથી તો વધરે જ હશે તેમ માનવા આજનું વાતાવરણ અને મા-બાપનું વલણ દર્શાવે છે. હું જાણું છું ક્રે આપણું આ અરુણ્યરૂદન છે આજના મા-બાપને તે વિષે વિચારવાની ફુરસદ નથી અથવા વૈચારિક રીતે માત્ર દેખાદેખી સીવાય વિચારી શકતા નથી. ખેર ! ફરીને બ્લોગની મુલાકત લેતા રહેસો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો જે મને પ્રોત્સાહન આપશે !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  11. આદરણીય અરવિંદકાકા

    હું આપની સાથે સહમત છુ

    અંગ્રેજો ગયા પણ અંગ્રેજી મુકતા ગયા હજુ પણ આપણે ગુલામ તો છીએ જ.

    અંગ્રેજીને આટલુ બધું મહત્વ શા માટે ?

    એક વિષય તરીકે અંગ્રેજી ભણાવવો એ કબુલ પણ માધ્યમ તો ગુજરાતી માં જ હોવુ જોઇએ.

    માતૃભાષાને વખોડતી કોઇ પણ દલીલ પછી એ સાચી હોય તો પણ એ અસ્થાને છે.

    અંગ્રેજી નો વિરોધી નથી પરંતુ માતૃભાષાનુ અપમાન સાખી ન લેવાય.

    — મયુર —

    Like

  12. આ લેખમાં કોઈ નિસબત વગર હવનમાં હાડકા નાખનાર ઊંઝા જોડણીના ઝોડ આવી ને ધુણવા માંડે છે અને વાતને આડા પાટે ચડાવે છે એ દુ:ખની વાત છે. તમારા લેખનો મુખ્ય સાર પણ આ કહેવાતા ગુણીજનો સમજી શકતા નથી: નિરંજન ભગત કહે છે તેમ ‘માધ્યમ ગુજરાતી પણ અંગ્રેજી ઉત્તમ’ !

    Like

    1. ભાઈ ભરત
      આપના પ્રતિભાવ માટે આભાર . આપે જે ઊંઝા જોડણીના ઝોડ વિષે ઉલ્લેખ કરેલ છે તે મારી સમજમાં આવેલ નથી તો આપ એ અંગે સ્પષ્ટતા કરશો તો મને ગમશે. ફરી ને આભાર અને અન્ય લેખો ઉપર પણ આપના પ્રતિભાવોની રહ જોઈશ્ આપની અનૂકુળતાએ મુલાકત લઈ વાંચી પ્રતિભાવો જણાવવા વિનંતિ.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈ શૈલશ
      આપને જવાબ મોડો લખી રહ્યો છું કારણકે હું બહારગામ હોઈ ત્યાં નેટની સુવિધા પણ નહિ હતી. આપે જે નિર્ણય કર્યો છે તે માટે અભિનંદન પાઠ્વું છું અને મને તો ચોક્કસ વિશ્વાસ છે કે આ માટે તમારે કે બાળકોએ ક્યારેય પસ્તાવું નહિ પડે. આપ મારાં અન્ય વિષય ઉપરના લેખો આપની અનૂકુળતાએ વાંચી આપના પ્રતિભાવો મોકલશો તો હું આભારી થઈશ્ જરૂર મુલાકત લેવાનું રાખજો અને પ્રતિભાવો પણ મોકલતા રહેશો. ફરીને આભાર્
      સ-સ્નેહ

      અરવિંદ્

      Like

  13. મધુકર ભાઈની વાત સાચી છે. ભાવ અને જ્ઞાન અગત્યનાં છે. બાકી તો …….
    ભાષાને શું વળગે ભુર , જે રણમાં જીતે તે શુર.
    ડાહી ગુજરાતી પ્રજા ભુલવાળું ગુજરાતી ખમી ખાય પણ જોડણીના લોકકલ્યાણ કારી સુધારા સ્વીકારવા કેમ તૈયાર નથી – તે નથી સમજાતું.
    આ બાબત ચર્ચા કરવી હોય તો મને ઈમેલ કરો

    sbjani2006@gmail.com

    Like

  14. માધ્યમ ! નોલેજની માતા સંસ્કૃત હતી.નાલંદા અને તક્ષશીલા એ વિશ્વકક્ષાની યુનિવર્સીટી હતી.ત્યારે માધ્યમ સંસ્કૃત હતું………સૈકાઓ બદલી ગયા પરિવર્તન આવ્યું. જ્ઞાનનું ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ બન્યું અને ત્યાં અંગ્રેજી ભાષા સમૃધ્ધ બની છેં સત્ય સ્વીકારવુ પડ્શે જો ટકવું હશે તો અંગ્રેજી શીખવું પડ્શે.જ્ઞાન આપે તે ભાષા માધ્યમ્. આપણે મરાઠી ભાષા બોલનાર કે મદ્રાસીભાષા જણનાર મદ્રાસી જેવા રૂઢિ ચુસ્ત નથી. આ બંને જાતીનો વિકાસ સીમીત છે. તેઓ માધ્યમમાં બંધાયેલા છે જ્યારે ગુજરાતી ઓબામાના સલહ કાર છે. જેને ભણવું છે ડગલું ભર્યા પછી હઠવું નથી તેને માધ્યમ નડતું નથી. બુધ્ધિક્ષમતા ને ગુજરાતી શં કે અંગ્રેજી શું ? બસ આગળ વધવું છે તો પછી કોઈ પણ ભાષા હોય !
    વિશ્વ નાનું બની ગયું છે ત્યારે ભાષા તેના કલેવર બદલીને પણ જ્ઞાન પીરસવાનું છે. કોમ્પુટ્રાઈઝ્ડ ટ્રાંસલેટર તૈયાર થશે માટે જલસા કરો જય હો !!! અંગ્રેજો પણ ડોલવા મંડ્યા ! રીંગા રીંગા અને જય હો ના તાલે !!!

    Like

  15. sir aapni vat dam chej mate to hu tene vachu chu ane jagruti to avi j che kadach aetla mate to atla badha gujrati BLOG che ane tamri mari jeva ne potana vichro raju kari shkiye chiye shu aa jagruti nathi? ane koi jagruti ratorat to nathi j aavti ne. pan english vagar pan aaj na samay ma chalva nu nathi ane hu gujarti ma j bhanyo chu ane 12th sudhij ane maru english pan khub khhrab cheje mane ghani vakhat nade che pan mene teno koi afsosh nathi mane gujarti to avde j che ane tamri ane bija gujrati blog ni madad thi hu maro vachva no shokh puro kari shaku chu jene mate tamne darek gujrati blog owener ane read gujarati ne THANK YOU VERY MUCH.

    Like

    1. આપને મારો લેખ ગમ્યો તે જાણી આનંદ થયો. આપને ઈ-મેલથી આવતીકાલે મોક્લી આપીશ્ મારા અન્ય વિષયના લેખો માટે પણ આપના પ્રતિભાવની અપેક્ષા રાખું છું
      આભાર.
      અરવિંદ

      Like

  16. ભાઈ તેજસ પટેલની વાત એકદમ સાચી છે. ગુજરાતી બચાવવાનો પ્રશ્ન કોઈ સાહીત્યકાર કે ભાષાશાસ્ત્રીનો નથી. એ તો સામાજીક પ્રશ્ન છે. બહુ ઝડપથી બદલાતા જતા સમાજના પ્રવાહનો પ્રશ્ન છે.
    એ ઉકેલવા કોણ તૈયાર થશે?

    Like

  17. sir.
    tame saru ane sachu j lakhyu che pan mane 1 vat samjati nathi 1 gujrati bachavo abhiyan chale che k english bhagavo? karan k te banne alag vat che.baki to aapdi sikshan paddhati j sav alag che exemple. tarike gujarti vishay ni koi pan dhoran ni exam ma gujrati bhasha ane tena vyakran le lagta savalo karta vadhu to lakhan patti ke pachi gokhanpatti(memory)ne lagta saval vadhu hoy che. ane mane aevu lagyu che ke gujrati bachvo abhiyan chalavnara dareke pela to gujarti bhasha na sara techers tayar karavni jarur che.sabha ane relly kadhava thi koi bhasa kyarey bachti nathi tene mate je te janta ne tema ras leti karvi pade khas to balko ne jene english midium ma besadi ne pan gujrati ma ras leta karij sakay che jo ma bap pashe samay ane ichha hoy to.

    Like

    1. ભાઈ તેજસ આપની વાત સાથે હું સહમત થઈ શક્તો નથી. ગુજરતી બચાવોનો અર્થ કોઈપણ સંજોગોમાં અંગ્રેજી ભગાવો નથી જ નથી. આપે કયા માધ્યમમાં અભ્યાસ કર્યો છે તે મને જાણ નથી. પરંતુ મને કહેવાદો કે ગોખણ પટ્ટી એ આજના સમયમાં અંગ્રેજી માધયમની દેન છે.કારણ બાળક મૂળભુત અને સહજ રીતે માતૃભાષામાં ગ્રહણ કરી શકે છે તેટ્લી સહજતા કે સરળતા અંગ્રેજી માધ્યમમાં કરી શકતું નથી.વધુ માર્ક અને ક્રમ મેળવવા અત્યારના સ્પર્ધાના માહોલમાં ગોખણ પટ્ટી જણ્યે-અજાણ્યે વિકલ્પ બની રહી છે. અને બાળક મા-બાપની અપેક્ષાને આંબવા તેનો આશરો લે છે. અલબત્ત આ પ્રશ્ન સામાજિક છે. અને મારી દ્રશ્ટિએ માત્ર ગુજરાતીઓને જ વધારે સ્પર્શે છે.બીજા રાજ્યોમાં માતૃભાષાની ગુજરાત જેટ્લી અવગણના કે અવહેલના થતી દ્ર્ષ્ટિ ગોચર થતી નથી.મરાઠી-બેંગાલી કે દક્ષિણના લોકો હંમેશા માતૃભાષાનું ગૌરવ કરતા આવ્યા છે. કમનસીબે આપણી ગુજરાતીઓની ગુલામી માનસિકતા અને અંગ્રેજી અને ધોળી ચામડી પ્રત્યેનો અહો ભાવ માતૃભાષા નહિ જાણતા હોવાનું સ્વીકારવામાં ગૌરવ અનુભવે છે. જે કરૂણતા છે. રહી વાત વ્યાકારણની આપે અમેરિક્નોને બુશ અને ઓબામા સહિત અંગ્રેજીમાં પ્રવચન કે વાતચીત કરતા સાંભળ્યા હશે-અને વ્યાકરણ વગર પણ પોતાને કહેવાની વાત સ્પષ્ટરીતે કહી શકાય છે અને સાંભળનાર બરાબર સમજી પણ શકે છે જે મારી વાતનો નક્કર પુરાવો છે. સારા શિક્ષકો તૈયાર કરતા પહેલાં પ્રાથમિકતા આપણી માનસિકતા બદલવાની જરૂરી છે. હવે આ બાબત જાગૃતિ -સભાનતા લાવવા કોઈકે તો પહેલ કરવી જ પડશે અને તે માટે સાહિત્યકાર કે લેખકોથી વધારે સારો કયો વિકલ્પ હોઈ શકે ? હું તો આ વિચાર વહેતો કરનારને લાખ લાખ ધન્યવાદ આપું છું. જો વ્યકતિમાં સમર્થતા અને સક્ષ્મતા હોય તો પોતાના વિકાસમાં ભાષા ક્યારે ય અવરોધ બની શકે નહિ. અને જે અમેરિકા અને બ્રિટનમાં જઈ વસેલા અને અંગ્રેજીનો કકો પણ નહિ જાણનારા અરે ! પૂરુ ગુજરાતી પણ નહિ જાણતા અનેક ગુજરાતી લોકોએ સાબિત કરી આપ્યું છે. આજની તારીખે હજારો ગુજરાતીઓ આ બને દેશો સિવાય પણ અનેક દેશોમાં વસી સફળ ધંધાર્થી બની ચૂકયા છે. હું ધારું છું આપને મારી વાતમાં જરૂર દમ દેખાશે. પ્રતિભાવો મોક્લતા રહેશો. આભાર. સ-સ્નેહ

      Like

  18. Dear Arvindbhai,
    You write with conviction and with realistic/rational approach to issues. Most of the comments are valid from the social point of view as well. My only complain is the same could have been done in lesser words. The unnecessary length of anarticles can put off the reader. But content is very powerful, compliments.

    The pit holes you shown to the organisors of “Guj Bachav Zumbesh” are real and we are aware of it. (I can say this as the secretary of Guj Bhasha Parishad, who is behind this movement.) And nobody is under illusion that one rally would solve all the problems of our mother tongue Gujarati. Reforms are a slow process, perticularly reforms of language. Not many are concerned, most give a damn. As you rightly said, career, earnings and survival are the main issues of human beings. At Guj Bhasha Parishad, we – and WE are very few – are working towards making Unza Jodni acceptable since more than a decade now.

    So, this new approach of working towards the upliftment of Gujarati language in toto, will also be followed dogadly. Be assured. But we need supporter like you everywhere to promote the cause of TRUE human need of being attached to their MotherTongue.
    – Kiran Trivedi

    Like

    1. ભાઈ શ્રી

      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી. આભાર. અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો મોકલી મને પ્રોત્સાહિત કરતા રહેશો.

      આભાર્

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  19. ગુજરાતી માધ્યમમાં શિક્ષણ એ આગ્રહ બીનજરૂરી છે. હા – માતૃભાષા તરીકે ગુજરાતી બાળકોને જરૂર ભણાવવી જોઈએ. ગુજરાતમાં સારામાં સારી અંગ્રેજી મિડીયમની શાળાઓ જરૂરી છે જેમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ભણાવવામાં આવે. મારાં બન્નેં બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણે છે અને સાથે ગુજરાતી પણ વિષય તરીકે ભણે છે – એ બન્નેં સારી રીતે ગુજરાતી બોલી, વાંચી અને સમજી શકે છે.

    જે બીજા દૂષણો જેવાકે મોંઘી બર્થડે પાર્ટીઓ વગેરે – આવા દૂષણોથી બચવું હોયતો જરૂર છે સારી સંગતની.

    આપણાં ઘરનું વાતાવરણ અને કૌટુંબિક સંસ્કારો આમાં મોટો ભાગ ભજવતા હોય છે.

    Like

    1. ભાઈ શ્રી નિલેશ

      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ મોક્લ્યો આભાર્ આપ ગુજરાતીને માધ્યમ તરીકે જરુરી નથી માનતા અને અંગ્રેજી માધ્યમ સાથેની સારી સ્કૂલોની આપને ગુજરાતમાં જરૂર જણાય છે તે વાત કંઈ બહુ જામતી નથી. અંગ્રેજીને એક વિષય તરીકે શીખવી શકાય અને તે રીતે અમે અર્થાત મારા સહિત અભ્યાસ કર્યો છે. આપના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે અને ગુજરાતી પણ સારી રીતે બોલી-લખી અને વાચી શકે છે તે ખુઉબ જ આનંદની વાત છે. આપ ગુજરાતમાં જ રહો છો કે ગુજરાતની બહાર અન્ય રાજ્યમાં કે વિદેશમાં તેની સ્પષ્ટતા નહિ હોવાથી વધારે આ વિષે લખતો નથી. રહી વાત પાર્ટી વગેરેની આપની વાત સાથે સહમત છું કે પરિવારના સંસ્કાર અને સંગત બહુ જ અગત્યનો ભાગ બાળકોના જીવનમાં ભજવે છે અને તે માટે કદાચ મા-બાપે ઉછરી રહેલા બાળકો હાલના પવનના પ્રવાહમાઆ6 ભળી ના જાય માટે સતત વોચ્-ડૉગ તરીકેની ભૂમિકા નીભાવવી પડી રહી છે અને તે માટે બંને મા અને બાપ કમાવા જતા હોય તો સમયને અભાવે આ ફરજ નીભાવવામાં નિષ્ફળ થતાં જોવા મળે છે.

      આપનો ફરી આભાર્ અને મારાં બ્લોગ ઉપરના અન્ય વિષયો ઉપરના આપના પ્રતિભાવોની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યો છુ તો આપની અનુકૂળતાએ મુલાકત લઈ જરૂરથી પ્રતિભાવો મોકલશો.

      આભાર

      સ-સ્નેહ

      અરવિંદ

      – Arvind Adalja

      Like

  20. આપ ગુજરાતમાં છો એટલે વાસ્તવીકતા વધારે સારી રીતે જાણો છો.
    લખવામાં થતી ભુલો વીશે પણ વાસ્તવીકતા શું છે, તે જરુર લખશો.

    જો પ્રુફ રીડરો ન હોય તો કેવું છપાય તે, બ્લોગોમાં લખાતા લેખ અને કોમેન્ટ પરથી ખબર પડશે.

    Like

Leave a comment