Skip to content

સાધો…! સહજ સમાધિ ભલી…! સ્પાર્ક – વત્સલ વસાણી

February 15, 2012

ગુજરાત સમાચારની 12,ફેબ્રુઆરી, 2012 ને રવિ પૂર્તિં” માં શ્રી વત્સલ વસાણીની કોલમ “સ્પાર્ક”માં પ્રસિધ્ધ થયેલો લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે આપ સૌને પસંદ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે.

સાધો…! સહજ સમાધિ ભલી…!

સ્પાર્ક – વત્સલ વસાણી

સહજ યોગમાં સૌથી મોટી વસ્તુ છે વિવેક, પારદર્શી સમજ. જેની સમજ પરમ અને પરિશુદ્ધ છે એને પછી કશું જ કરવાનું રહેતું નથી. એ જે કાંઈ પણ કરે છે તે સહજ યોગ છે અને જે કાંઈ બોલે છે તે શાસ્ત્ર અને જ્યાં જીવે છે ત્યાં તીર્થ છે. આવી સહજ સ્થિતિ જ સર્વોત્તમ છે.
અર્થાત્ સહજાવસ્થા (સહજ યોગ) ઉત્તમ છે. ધ્યાન ધારણા મધ્યમ છે. જપ અને સ્તુતિનું સ્થાન અધ્યાત્મના ક્ષેત્રમાં અધમ કક્ષાનું છે અને હોમ હવન કે પૂજાપાઠ (ધર્મના નામે ચાલતો તમામ ક્રિયાકાંડ) એ અધમથી પણ અધમ કક્ષામાં આવે છે.

શ્લોક ક્રાંતિકારી છે, બેધડક રીતે બયાન કરવામાં આવ્યું છે. આજકાલ સાચો ધર્મ, અધ્યાત્મની સાચી અને ઊંડી વાતો ખોવાતી જાય છે. નિમ્ન કક્ષાના ને ધર્મનો કક્કો પણ ન જાણતા લોકો આજે ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રમાં સર્વેસર્વા થતા જાય છે. બસ થોડાક શ્લોકો કંઠસ્થ કરી લીધા; વેદ, ઉપનિષદ, ગીતા, ધમ્મપદ અને બાઇબલ કે સ્મૃતિ-પુરાણમાંથી કેટલાક અવતરણો ટાંકતાં આવડી ગયા; થોડા ક્રિયાકાંડ શીખી લીધા એટલે જાણે અધ્યાત્મના ‘ખેરખાં’ થઈ ગયા હોય એમ એ લોકો ‘દેકારો’ કરતા થઈ ગયા છે.

અધ્યાત્મના નામે થતા મોટા ભાગના પ્રવચનો અને ધર્મના નામે લખાતા લગભગ લેખો કે પુસ્તકો આ કક્ષામાં આવે છે. કરોડોમાં કોઈ એક જાગેલો પુરુષ (કે સંબુદ્ધ સ્ત્રી) સાચી વાત કરે છે અને ત્યારે એ વાતને પણ આ દેકારો મચાવતા લોકો આપણા કાન સુધી આવવા દેતા નથી. સાચી વાત જો આપણા સુધી આવી જાય અને આપણે પણ ધર્મ અને અધ્યાત્મની સારભૂત વાતના સમર્થક બની જઈએ તો એમની હાટડીઓનું શું થાય ? માટે ઇરાદાપૂર્વક ક્યારેક સાચી વાત આપણા સુધી આવવા દેવામાં આવતી નથી અથવા તો સાચી વાત જે સમજતા જ નથી એ સત્યના વાહક શી રીતે બની શકે ?

દરેક ધર્મની ઉત્તમ વાતો અને એના સારભૂત સૂત્રો એક બાજુ રહી જાય છે, અને ધર્મના નામે પોતાના અહંકારને પોષતા ધ.ધૂ.પ.પૂ.ઓ ક્રિયાકાંડની છીછરી વાતો લઈને લોકોના કાન ભંભેરવા આવી જાય છે.

ધર્મનું આખું ક્ષેત્ર આજે પંડિત પુરોહિતોના હાથમાં આવી ગયું છે. ખોટા અને નકામા લોકોએ આ ઉત્તમ ક્ષેત્રને ધૂળથી રજોટી નાખ્યું છે. ઉકરડા ફંફોળવા સિવાય એ લોકો કશું કરતા નથી. ધૂળની ડમરી ઊઠી છે આ ક્ષેત્રમાં સાચાની શોધ કરવા જાવ તો શ્વાસ રુંધાય એવી સ્થિતિ છે.
ખજાના પર સાપ બેસે એમ એ લોકો બેસી ગયા છે. એમની ફેણ મોટી છે અને ફુંફાડા પણ કાચાપોચાને કંપાવી દે એવા (ભયંકર) હોય છે. આમ છતાં ડર્યા વિના જ એ લોકોને ઉઘાડા પાડવા જેવા છે. ધર્મ સાથે એમને નહાવા- નીચોવવાનો પણ સંબંધ નથી. બસ, લોકોના ટોળેટોળા એમનો ચરણસ્પર્શ કરતા રહે એમાં જ એમને રસ છે. એમનો દીવો હજુ પ્રગટયો નથી. એ પોતે પણ મહાઅંધકારમાં જીવી રહ્યા છે અને અંધારામાં અટવાતા લોકોની આંગળી પકડી સાચા રાહ પર લઈ જવાનું બીડું ઝડપી બેઠા છે. આવું કરવાથી એમને મહત્તા મળે છે. ઉદ્ધારક બનીને એ જગતમાં જીવી શકે છે. લોકો એમની વાહ વાહ કરે છે, પગ પૂજીને એમની ચરણરજ માથે ચઢાવે છે. આ કોઈ ઓછા આનંદની વાત નથી. ભલભલા એ ભૂલ-ભૂલામણીમાં અટવાઈ જાય એવી લપસણી એ દિશા છે. શ્રમ વિના, માથાને વધેર્યા વિના પરિણામ મળી જતું હોય તો કોણ જતું કરે ? સોમાંથી નવ્વાણુ લોકો અહંકારના આ અફીણને છોડવા તૈયાર કે શક્તિમાન નથી. અનુયાયીઓના ટોળેટોળા પાછળ આવી રહ્યા હોય તો ભલેને જહન્નમમાં જવું પડે પણ પાછા વળીને કેવી રીતે કહી શકાય કે, ભાઈઓ, ભોળી બહેનો ! અમારી પાછળ ન આવો. કેમ કે અમને પોતાને ય હજુ સત્યનો અનુભવ થયો નથી. ધર્મ અને અધ્યાત્મનું રહસ્ય શું છે એ હજુ અમે ય જાણતા નથી. બસ અમે તો આંધળુકિયા દોડી રહ્યા છીએ. અમારી પોતાની પણ આંખો હજુ ખૂલી નથી. અમારી પાછળ ન આવો. અમે ક્યાંક ખાડામાં પડી જઈશું તો પાછળ તમે પણ પડશો માટે અટકી જાવ… !

અધ્યાત્મનું આખું ક્ષેત્ર હોમહવન અને પૂજાપાઠમાં અટવાઈ ગયું છે. લોકો બહારના ક્રિયાકાંડોમાં જ અટવાઈને જીવે છે. ફલાણી વસ્તુ ખવાય ને ફલાણું ન ખવાય. ફલાણી તિથિમાં અમુક વસ્તુ ખાઈ લઈએ તો પાપમાં પડીએ. આને ને ધર્મને કોઈ સંબંધ નથી. બસ એ અધમ કક્ષાનો અહંકારને પોષતો રસ છે અને જો આવું બધું કરવાથી ધર્મ સિદ્ધ થઈ જતો હોય તો જગત કંઈક જુદું જ હોત ને ? જગતમાં કંઈ ઓછા લોકો વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ અને હોમહવન કરી રહ્યા છે ? ઠેર ઠેર આવા લોકોના જ ટોળા ઉભરાય છે અને ધર્મથી ધબકતું જીવન તો ક્યાંય જોવા મળતું નથી. ધર્મ હોય ત્યાં શાંતિ હોય, ધર્મની પાછળ પાછળ પ્રેમ અને મસ્તી પણ આવે. શું લોકોના જીવનમાં સાચો પ્રેમ, અવિચળ શાંતિ કે ધર્મમાંથી જન્મતી ખુમારી છે ?

શ્લોક પ્રમાણે ધ્યાન અને ધારણા પણ છેલ્લી સ્થિતિ નથી. એ છેલ્લો પડાવ નથી સમજદાર માણસે સતત ચાલતા જ રહેવાનું છે. ચાલતા ચાલતા શોધતા શોધતા સ્વયં પોતાનું જ ઘર ન આવે ત્યાં સુધી ચાલવાનું છે. બીજે ક્યાંય વિશ્રામ નથી., બહાર બહાર જે કંઈ પણ ચાલી રહ્યું છે તે ઉત્તમ સ્થિતિ સુધી લઈ જઈ શકશે નહીં. જે બહાર છે એ બધું જ વધુમાં વધુ મધ્યમ સ્થિતિ સુધી લઈ જાય છે. હજુ એક ડગલું આગળ, અને જ્યાં આ બધું જ છૂટી જાય ત્યાં ઉત્તમ સ્થિતિ છે. તમે જેવા છો તેવા બરાબર છો. સ્વયં પરમાત્માના જ તમારા પર હસ્તાક્ષર છે. આ બધા પગથિયા ચઢીને આગળ જવાનું છે. શિખર સુધી જવું જ હોય તો યાત્રા તો કરવી જ પડે છે. તમામ સાધના, ધ્યાન, ધારણાની તમામ વિધિ યાત્રાપથના નાના નાના પડાવ છે. આ બધું જ પાર કર્યા પછી જે મંઝિલ આવે છે તે સહજાવસ્થા છે. અહં શૂન્ય થયા પછી તમે જે કાંઈપણ કરો છો તે પૂજા છે. તમારા પ્રત્યેક શ્વાસની સાથે જપમાળા ચાલે છે. જ્યાં જ્યાં તમારા પગ પડે ત્યાં તીર્થયાત્રા છે કેમ કે સંપૂર્ણ સ્વીકાર અને સહજાવસ્થાના કારણે તમે અને પરમાત્મા જુદા નથી. તમારામાં એ જ છે અને એમાં પણ તમે જ છો. તમે અને એ જુદા નથી… હું અને તમે જુદા નથી. જુજવે રૃપે અનંત ભાસે.
ભારત પાસે અધ્યાત્મની પરમ ઊંચાઈ અને ધર્મની રહસ્યમય ઉંડી ને ઊંચી વાતો છે. આ બધી જ બોલવાની કે લખવાની વાતો નથી. પરમ સાથે લીન થઈને જીવવાની વિધિ છે.

ઓશો કહે છે ઃ સહજ યોગ કે તંત્ર એ કોઈ ક્રિયા કે વિધિ નથી. સહજના માર્ગ પર જનારે કશું જ કરવાનું નથી. યાત્રા તો ત્યાં છે જ નહીં. આથી તો સહજયોગી કહ છે ઃ ‘એક પણ ડગલું આગળ ચાલ્યા તો મંઝિલથી દૂર નીકળી રહ્યા છો તેમ માનજો. સહજયોગમાં સૌથી મોટી વસ્તુ છે સમજ. જેની સમજ પરમ અને પરિશુદ્ધ છે એને પછી કશું જ કરવાનું રહેતું નથી. એ જે કાંઈ પણ કરે છે તે સહજયોગ છે અને જે કાંઈ બોલે છે તે શાસ્ત્ર અને જ્યાં જીવે છે ત્યાં તીર્થ છે. આવી સહજ સ્થિતિ સર્વોત્તમ છે. સાધો ! સહજ સમાધિ ભલી !’

ક્રાન્તિબીજ
Let go Ego
Wait and watch
Stop and see !

5 Comments leave one →
  1. vkvora Atheist Rationalist permalink
    March 4, 2012 7:47 am

    આ તીથીએ આ ખાવું કે ન ખાવું, ઉપવાસ, રોઝા અને ઠેર ઠેર કર્મ અને ક્રીયા એટલે ધર્મ

    અને

    જેની સમજ પરમ અને પરીશુદ્ધ છે એને પછી કશું જ કરવાનું રહેતું નથી.

    વાહ!!! વાહ !!!!!!!

  2. DHARMA permalink
    February 17, 2012 6:02 pm

    जीवन का पथ अंधकार पूर्ण है। लेकिन स्मरण रहे कि इस अंधकार में दूसरों का प्रकाश काम न आ सकता। प्रकाश अपना ही हो, तो ही साथी है। जो दूसरों के प्रकाश पर विश्वास कर लेते हैं, वे धोखे में पड़ जाते हैं।

  3. osho permalink
    February 17, 2012 6:01 pm

    शब्दों या शास्त्रों की सीमा में सत्य नहीं है। असल में जहां सीमा है, वहीं सत्य नहीं है। सत्य तो असीम है। उसे जानने को बुद्धि और विचारों की परिधि को तोड़ना आवश्यक है। असीम होकर ही असीम को जाना जाता है। विचार के घेरे से मुक्त होते ही चेतना असीम हो जाती है। वैसे ही जैसे मिट्टी के घड़े को फोड़ दें, तो उसके भीतर का आकाश असीम आकाश से एक हो जाता है।

  4. February 16, 2012 3:56 am

    અધમ .. મધ્યમ .. અને .. ઉત્તમ કક્ષાની ચિત્તવૃતિ કે મનોસ્થિતીને સાક્ષીભાવે જોવાનો અનૂભવ પણ લેવા જેવો. અવાર નવાર આપણે કહેતા હોઇએ છીએ કે રસ્તો જરા ધ્યાનથી ઓળંગજો ,, શાકભાજી જરા ધ્યાનથી સમારજો … વાહન જરા ધ્યાનથી ચલાવજો …. અને આમ જ પ્રત્યેક દૈનિકક્રિયા જરા ધ્યાનથી જ કરવાની ટેવ પડતી જાય છે … અને સતત 24 કલાક સભાન પણે ધ્યાનસ્થ અવસ્થાનો અનૂભવ થાય છે. પ્રકૃતિ સાથે એકાત્મતા સાધી શકાય છે. આ બાબતે હું વિદ્યાર્થી છુ… અખતરા કરતો રહું છુ.

  5. February 15, 2012 3:59 pm

    કબીરજીનું સહજ સમાધિ અવસ્થાનું વર્ણન કરતું આ પદ અહીં વાંચી શકાશે -

    http://gopalparekh.wordpress.com/2010/09/22/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7-%E0%AA%AD%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0/

    જો કે સહજાવસ્થા સહજ રીતે આવી જાય છે તેમ માનવું ભૂલ ભરેલું છે. જ્યાં સુધી અંત:કરણમાં દોષો છે ત્યાં સુધી સહજાવસ્થા તો શું પણ યોગ્ય અવસ્થાએ આવતી નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 79 other followers